Gujarat Municipal Election 2021 : કેમ ચૂંટણી પરિણામો કોંગ્રેસ તરફી નહીં ? શું છે કોંગ્રેસની હારના કારણો ?
Gujarat Municipal Election 2021 : 6 મહાનગરની કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની લહેરમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા. કોંગ્રેસ આબરુ બચાવવામાં પણ નિષ્ફળ સાબિત થયું છે.
Gujarat Municipal Election 2021 :
6 મહાનગરની કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની લહેરમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા. કોંગ્રેસ આબરુ બચાવવામાં પણ નિષ્ફળ સાબિત થયું છે. મોટાભાગના કોંગ્રેસના દિગ્ગજો બેઠક પણ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે કોંગ્રેસ હવે મહાનગરોમાં અંતિમ શ્વાસ લઇ રહી છે. લોકોને હવે કોંગ્રેસમાં રસ રહ્યો નથી.
સુરતમાં કોંગ્રેસના સૂપડાં સાફ
સુરતના પરિણામો આ વાતની સાક્ષી છે. ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી, છતાં આપ પક્ષે સુરતમાં કોંગ્રેસને હંફાવી દીધું છે. તો, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ બે આંકડામાં પણ કોંગ્રેસને પહોંચવામાં મશ્કત કરવી પડી છે.
આ ચૂંટણી પરિણામો પરથી કહીં શકાય કે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયા છે. હાર્દિક પટેલનો જાદુ પણ કયાંક જોવા મળ્યો નથી. કોંગ્રેસની તમામ રણનીતિ ધુળધાણી થઇ ગઇ છે. કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર પણ મતદારોને અસર કરી શક્યો નથી. ઓછા મતદાનની ટકાવારીમાં પણ કોંગ્રેસ પક્ષ પરિણામો બદલી શક્યું નથી.
કેમ હાર્યું કોંગ્રેસ ?
કોંગ્રેસની હારના અનેક કારણો હોઇ શકે છે. જેમાં મહાનગરોમાં નબળું સંગઠન હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાઇ રહ્યું છે. સાથે જ ઉમેદવારોની પસંદગીને લઇને પણ વ્યાપક અસંતોષ પણ હારનું કારણ હોય શકે છે. કેટલાક દાવેદારો ટિકિટ ન મળવાથી નિષ્કિય બન્યા હતા. અને, ચૂંટણી પ્રચારમાં નારાજ દાવેદારો એકસંપ રહ્યા ન હતા. જેથી પ્રજાની સમસ્યાઓને વાચા આપી શક્યા ન હતા. તો યુવાનોમાં કોંગ્રેસ પ્રત્યે રસ જાગૃત કરવામાં પણ પક્ષ નિષ્ફળ સાબિત થયો છે. સાથે જ કોંગ્રેસ બુથ મેનેજમેન્ટમાં ફરી એકવારા નિષ્ફળ સાબિત થયું છે.
આમ આદમી પાર્ટી બની નડતરરૂપ ?
આમ આદમી પાર્ટી અને AIMIM આ બંને પાર્ટીઓએ કોંગ્રેસની કારમી હારમાં મોટી ભૂમિકા અદા કરી છે. પ્રથમ વખત ચૂંટણીમાં આ બંને પાર્ટીએ ઝંપલાવ્યું. જોકે કોંગ્રેસની બાજી બગાડવામાં આ પાર્ટીઓ સફળ સાબિત થઇ હોય તેવું લાગે છે.
હાર્દિક પટેલનો જાદુ થયો ફેઇલ ?
મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા. કોંગ્રેસને આશા હતી કે પાટીદારોના મત કોંગ્રેસને મળશે. પરંતુ 2015 અને 2021ની રાજનીતિમાં જમીન આકાશનો ફેર આવી ગયો છે. હાર્દિક પટેલે જે-જે મહાનગરોમાં પ્રચાર કર્યો. ત્યાં ત્યાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો. સુરતમાં તમામ દિગ્ગજ નેતાઓની હારી ગયા. અને, આપ દ્વારા પાટીદારોને ટિકિટ આપવાનું ફળ્યું છે.
કોંગ્રેસને શું છે સંકેત ?
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મહાનગરોમાં સારી બેઠક મેળવી હતી. અને, પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ નિષ્ફળ સાબિત થઇ છે. જે દર્શાવે છે કે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને ખુબ જ સંઘર્ષ કરવો પડશે.