અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વાસણા વિસ્તારમાં આવેલી GB શાહ કોલેજના મતદાન મથક પર EVMમાં ગડબડીની ફરિયાદ સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાતું નથી તેવી ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને કોંગ્રેસ ઉમેદવાર જીજ્ઞેશ જોશીએ લેખિતમાં ફરિયાદ કરી છે. તેમની ફરિયાદ મુજબ EVMના અન્ય બટનો કાર્યરત છે, પરંતુ માત્ર કોંગ્રેસ ઉમેદવારનું બટન પ્રતિસાદ આપતું નથી. આ ઘટનાને લઈને મતદાન મથક પર થોડો સમય માટે ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
EVM fault reported at GB Shah College booth in Ahmedabad Polls#Ahmedabad #EVM #LocalElections #VotingDay #Election2026 #CivicElections #GujaratLocalElection2026 #GujaratLocalPoll2026 #TV9Gujarati pic.twitter.com/O9ZDnSdVqD
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2026
રાજકોટ જિલ્લામાં ચૂંટણી દરમિયાન રાજવી પરિવારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજવી માંધાતાસિંહ જાડેજા વિન્ટેજ કાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ વોર્ડ નંબર 7ની મુરલીધર સ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર પરિવારજનો સાથે પહોંચીને મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે લોકશાહી પ્રક્રિયામાં સૌને સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી અને મતદાનને દરેક નાગરિકની ફરજ ગણાવી હતી.
Rajkot Royal Mandhatasinh Jadeja casts vote in Vintage Style#Rajkot #MandhatasinhJadeja #LocalElections #VotingDay #Election2026 #CivicElections #GujaratLocalElection2026 #GujaratLocalPoll2026 #TV9Gujarati pic.twitter.com/OBaVlS95Fq
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2026
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારનો મામલો સામે આવ્યો છે. ગામજનો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશ અને જમીન બચાવવાના મુદ્દે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પરિણામે મતદાન શરૂ થયા બાદના બે કલાકના સમયગાળા દરમિયાન એકપણ મત પડ્યો નથી. દેલા ગામમાં આવેલા બે મતદાન મથકો પર મતદારો મતદાનથી દૂર રહેતા સમગ્ર પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં જ ઠપ્પ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ ઘટનાએ સ્થાનિક પ્રશાસનનું ધ્યાન આકર્ષ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પૂર્વ આઈપીએસ અધિકારી અને ભાજપના ઉમેદવાર મનોજ નિનામાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ શામળાજી નજીકના જાબચિતરીયા ગામે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. મનોજ નિનામા ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. નોંધનીય છે કે તેઓએ આઈજી સ્તરના પોલીસ અધિકારી પદેથી રાજીનામું આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને રાજકીય સફર શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઇડરના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ ઇડર ખાતે મતદાન મથક પર પહોંચ્યા અને પોતાના પુત્ર સાથે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે નાગરિકોને લોકશાહીની ફરજ અદા કરીને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને મતદાનને દરેક નાગરિકની જવાબદારી ગણાવી હતી.
મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પૂર્વ સાંસદ મોહન કુંડારીયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ નીલકંઠ વિદ્યાલય ખાતે આવેલા મતદાન મથક પર પહોંચ્યા અને મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 12 માટે મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે લોકશાહી પ્રક્રિયામાં સૌ નાગરિકોને સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી હતી અને મતદાનને ફરજ તરીકે નિભાવવા ભાર મૂક્યો હતો.
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જસદણમાં પરિવાર સાથે તેઓ વિંછીયાના ઉગમણી બારી બુથ મથક પર પહોંચ્યા અને મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રાજકોટ જિલ્લામાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પોતાના વતન જૂની સાંકળી ગામે જઈ મતદાન કર્યું હતું. તેઓ ઢોલ નગારા અને ઉત્સાહભેર માહોલ વચ્ચે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. મતદાન બાદ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી હતી.
અમરેલી જિલ્લામાં ચૂંટણી દરમિયાન સાંસદ પરષોત્તમ રૂપાલાએ પોતાના વતન ઈશ્વરીયા ગામે જઈ મતદાન કર્યું હતું. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીમાં ભાગ લીધો અને સ્થાનિક મતદાન મથક પર પહોંચીને પ્રક્રિયામાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે નાગરિકોને કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહેલા સમય પર મતદાન કરવા અપીલ કરી હતી, જેથી સૌ કોઈ સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને લોકશાહી પ્રક્રિયા સફળ બને.
ગુજરાતમાં પ્રથમ કલાકમાં સરેરાશ 5 ટકા મતદાન નોંધાયુ છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં મતદાનનો માહોલ ઉત્સાહભેર જોવા મળી રહ્યો છે. 86 વર્ષના અશક્ત વૃદ્ધે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીમાં ભાગ લીધો હતો અને 100 વર્ષ સુધી પહોંચ્યા હોવા છતાં દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી. બીજી તરફ કેનેડામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પણ મતદાન માટે આવીને પોતાના હકનો ઉપયોગ કર્યો હતો. બંનેએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88માં EVM મશીન અચાનક બંધ પડી ગયું હોવાની ઘટના સામે આવી છે. મશીન બંધ થતા મતદાન કરવા આવેલા મતદાતાઓને થોડો સમય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક સ્થિતિને સંભાળવામાં આવી અને અન્ય વિકલ્પ તરીકે નવા EVM મશીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્થળ પર પહોંચી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે ચાલુ રહે તે માટે કાર્યવાહી શરૂ કરી છે.
Voting disrupted after EVM failure in Surat#Surat #EVM #VotingDay #LocalElections #VotingDay #Election2026 #CivicElections #GujaratLocalElection2026 #GujaratLocalPoll2026 #TV9Gujarati pic.twitter.com/E8hVc57fUK
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2026
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે શહેરમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે મતદાન યોજાયું છે. આ બેઠકો માટે કુલ 652 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 190, કોંગ્રેસના 185 અને AAPના 151 ઉમેદવારો વચ્ચે કટોકટીની ટક્કર છે. ઉપરાંત AIMIMના 30 અને 46 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. મતદારોને સુવિધા મળે તે માટે ચૂંટણી પંચ દ્વારા મોટા ભાગના પોલિંગ બુથ સોસાયટીઓની નજીક ગોઠવવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં 4,257 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 1,539 સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક પૂર્ણ થાય તે માટે આશરે 24,000 સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે 15,422 કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત છે. સુરક્ષા દૃષ્ટિએ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 9 SRP અને 1 BSF કંપનીને પણ તૈનાત કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે શહેરમાં ઉત્સાહભેર મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. શહેરમાં 343 સ્થળોએ 2,609 જેટલા મતદાન મથકો પર મતદાન યોજાયું છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા માટે શહેર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. આજની ચૂંટણીમાં 13,000થી વધુ કર્મચારીઓ ફરજ પર મુકાયા છે. કુલ 483 ઉમેદવારો વચ્ચે ટક્કર છે, જ્યારે 24,76,392 મતદારોમાંથી 13,02,941 પુરુષ અને 11,73,451 મહિલા મતદારો પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે.
આણંદ શહેરમાં ચૂંટણીના તંગ માહોલ વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી છે. કરમસદ–આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. આરોપ છે કે ભાજપના ઉમેદવાર કેતન બારોટના સમર્થકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન આવી હિંસક ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને સ્થાનિક રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે.
આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. કુલ 9,292 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જ્યારે 730 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં 15 મહાનગરપાલિકાઓમાં 1 કરોડ 10 લાખથી વધુ, 84 નગરપાલિકાઓમાં 33 લાખ 66 હજાર અને વિવિધ પંચાયતોમાં 2 કરોડ 74 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે 9 નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત મતદાન યોજાઈ રહ્યું છે. ઉપરાંત 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં પણ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને ભાગીદારી દર્શાવે છે.
રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.
Published On - 7:11 am, Sun, 26 April 26