
આજે 7 જુલાઈ શુક્રવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલમાં કાચા કામના આરોપીઓના બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બન્યો છે. જેલર સહિતનો સ્ટાફ હાજર હોવા છતાં છુટા હાથની મારામારી થવા પામી હતી. LCB અને સ્થાનીક પોલીસ મુખ્ય સબજેલમાં પહોંચી હતી. જિલ્લા પોલીસવડાએ જેલમાં જ આરોપીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણ અંગે તપાસના આદેશ આપ્યા છે. સામાન્ય બાબતે બોલાચાલી બાદ અથડામણ થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
ફરજ પરથી ઘરે જતી વખતે કેનાલ વાળા માર્ગે કારમાં આવેલ 3 અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરાયુ હોવાનું સામે આવ્યું છે. મહિલા કોન્સ્ટેબલ મણિબેન ચૌધરી મૈત્રી કરારથી પોતાના પ્રેમી સદ્દામ ગરાસીયા નામના ઈસમ સાથે રહેતી હતી. અગાઉ મહિલા કોન્સ્ટેબલ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ડભોઇ પોલીસ મથકે ફરજ બજાવતી હતી ત્યારે લિવ ઇન પાર્ટનર સદ્દામ સાથે ભાગી જવાના કારણે વિવાદમાં આવી હતી. ડેસર પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ડીવાયએસપી, સીપીઆઈ, એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ડેસરના વેજપુર ગામે મહિલા પોલીસ મકાન ભાડે રાખી રહેતી હતી. મણીબેન ચૉધરી મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસાની વતની છે.
ગુજરાતમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન અને ઓફશોર ટર્ફને કારણે, આજે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 166 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે દિવસ દરમિયાન સૌથી વધુ વરસાદ અમદાવાદના ધંધુકામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પોરબંદર અને જામનગરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 60 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 107 તાલુકામાં 10 મિલીમીટર કરતા વધુ વરસાદ વરસ્યો છે.
આજ રોજ સાંજે અમદાવાદ શહેરમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી નદી ઉપર વાસના બેરેજના 9 દરવાજા સાડા સાત વાગ્યાથી ખોલીને 25263 ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવેલ છે. આજે સાંજે વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ નિકોલમાં નોંધાયો છે. નિકોલમાં પોણા ત્રણ ઈંચ, સરખેજમાં બે ઈંચ, જોધપુરમાં દોઢ ઈંચ, ઓઢવ અને વિરાટનગરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.
પ્રફુલ પટેલ અને અજિત પવાર આગામી 18મી જુલાઈએ દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠકમાં ભાગ લેશે. આ સાથે અજિત પવાર, મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ, પહેલીવાર રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરશે.
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું છે કે, ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળવાથી થયેલ ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાશે. સરવેના આધારે નુકસાનની સહાય ચૂકવવામાં આવશે. ઘેડ પંથકમાં થયેલા ખેતીના નુકસાનને લઈને સર્વે કરાશે અને તે મુજબ સહાય ચૂકવાશે તેમ જણાવીને, રાઘવજી પટેલે કહ્યું કે, સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ સાથે હું મુખ્યમંત્રીને મળ્યો હતો, ઓઝત નદીને ઊંડી કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય મંત્રીએ પણ આ બાબતને લઈને ગંભીર છે, તેમ તેમણે જણાવ્યું હતું.
દિવસ દરમિયાન અસહ્ય બફાળા અને ઉકળાટ બાદ, સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે, આજે અમદાવાદ સહીત ઉતર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરી હતી. આ આગાહી અનુસાર અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ વરસ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજીમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે જેમાં ટ્રાયલ કોર્ટને એક સપ્તાહની અંદર તોશખાના ભ્રષ્ટાચારના કેસ પર પુનર્વિચારણા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અભિનેતાની માતા શાંતિરાણી ચક્રવર્તીનું નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. 7મી જુલાઈએ તેમણે અંતિમ શ્વાસ લીધા.
ચોમાસાની શરુઆત થતા જ શાકભાજીના વધતા ભાવો ગૃહિણીઓને પરેશાન કરી દેતા હોય છે. અમદાવાદવાસીઓ પણ વધતા ભાવોથી પરેશાન બન્યા છે. મોંઘવારીમા એક તરફ વધારો થઈ રહ્યો છે, ત્યાં જ શાકભાજીના ભાવો વધી રહ્યા છે. જેને લઈ ગૃહિણીઓ પરેશાન બની છે. તો વળી હજુ પણ એક મહિના લગી અમદાવાદ વાસીઓને મોંઘા શાકભાજી ખાવા માટે તૈયારીઓ રાખવી પડશે. તમને આ વાત સાંભળીને આંચકો જરુર લાગશે, પરંતુ આગામી એક મહિના કરતા વધારે સમય સુધી મોંઘાદાટ શાકભાજી ખરીદવા પડશે.
સુરતના મોટા વરાછા ખાતે આવેલા આદિત્ય કોમ્પ્લેક્સમાં લીફ્ટ ખોટકાતા 3 બાળકો સહીત 8 જેટલા લોકો લીફ્ટની અંદર ફસાઈ ગયા હતા તો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને તમામ લોકોનું સહી સલામત રેસ્ક્યુ કરી લીધું હતું.
Junagadh : જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ(Rain) બાદ તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. ઘેડ પંથકમાં આવેલા કેશોદના બામણાસા ગામે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. જેમાં ભારે વરસાદના કારણે ઓઝત નદીનો પાળો તૂટી જતા ખેડૂતોની હજારો વીઘા જમીનમાં ધોવાણ થયું છે. ઓઝત નદીનો પાળો તૂટી જતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા.
પંજાબના લુધિયાણામાં શુક્રવારે એક જ પરિવારના ત્રણ સભ્યોની તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ ચમન લાલ (75), તેની પત્ની (70 વર્ષ) અને માતા (90 વર્ષ) તરીકે થઈ છે. જણાવી દઈએ કે જ્યારે દૂધવાળાએ સવારે ડોરબેલ વગાડી તો કોઈએ દરવાજો ખોલ્યો નહીં. થોડા સમય બાદ પડોશીઓ દિવાલ કુદીને અંદર પ્રવેશ્યા ત્યારે પરિવારના ત્રણ સભ્યો લોહીથી લથપથ પડેલા હતા.
અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વેપારી કમલ ડોગરાને વ્યાજખોરના ચૂંગલમાં ફસાવનાર મિત્ર ફાલ્ગુન મહેતા અને રઘુવીરસિંહ ચંદ્રાવંશીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. વ્યાજખોરો ફરિયાદ બાદ અમદાવાદ માંથી ફરાર થઈ ગયા હતા અને દ્વારકા, ગીર, મુંબઈ અને બેગલોર સહિત અલગ અલગ જગ્યાઓ પર નાસતા ફરતા હતા.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જાતીય સતામણી કેસમાં WFIના ભૂતપૂર્વ અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી છે. કોર્ટે તેમને સમન્સ જાહેર કરીને 18મી જુલાઈના રોજ કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.
ત્રિપુરા વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન જોરદાર હંગામો થયો છે. ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટીપરા મોથાના 3 ધારાસભ્યો અને કોંગ્રેસ-સીપીઆઈના 1-1 ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે તેમનાથી આ જ અપેક્ષા હતી. હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે.
રાહુલ ગાંધી પર હાઈકોર્ટના નિર્ણય પર પ્રિયંકા ગાંધીએ કહ્યું- સત્યની જીત થશે, જનતાના અવાજની જીત થશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે NCC ઈન્ટીગ્રેટેડ સોફ્ટવેર લોન્ચ કર્યું છે.
હવામાન વિભાગે 8 જુલાઇએ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.
Surat : ઈસરોના ચંદ્રયાન 3ને (Chandrayaan 3) લઈ વૈજ્ઞાનિકો અને દેશભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ચંદ્રયાન-3નું લોન્ચિંગ 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે થવાનું છે. અંતરિક્ષ ક્ષેત્રમાં ચંદ્રયાન-3નું લોન્ચિંગ એ ભારતની જ નહીં ગુજરાત અને સુરત માટેની પણ મોટા ગૌરવની વાત રહેશે. જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે. ચંદ્રયાન 3માં સ્કિવબ્સ નામના પાર્ટ્સ હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે. ચંદ્રયાન 2માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યસભાની ચૂંટણી સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
આજે એટલે કે શુક્રવારે સવારે 3 કોચમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિ નથી. આગ લાગ્યા બાદ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જુઓ વીડિયો.
છત્તીસગઢના રાયપુરમાં વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનો પંજો છત્તીસગઢમાંથી તેના અધિકારો છીનવી રહ્યો છે. આ પંજો છત્તીસગઢને લૂંટવાનું કામ કરી રહ્યો છે. કોંગ્રેસે ગંગાજીના ખોટા શપથ લીધા.
1984 સુલ્તાનપુરી શીખ રમખાણ કેસ: રૂઝ એવન્યુ કોર્ટમાં આજે ચુકાદો મોકૂફ રાખવામાં આવ્યો છે ત્યારે હવે 25 જુલાઈએ ચુકાદો આવશે.
રાહુલ ગાંધીના માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસે કહ્યું છે કે સત્યને પરેશાન કરી શકાય છે, હરાવી શકાય નહીં. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. માનહાની કેસમાં સજા પર રોક લગાવવાની અરજી ફગાવાઈ દેવામાં આવી છે.
Dwarka : ગુજરાતમાં મેઘરાજાની અવિરત કૃપા વરસી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની (Rain) આગાહી આપી છે. તે અનુસાર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે. કલ્યાણપુર અને દ્વારકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. દ્વારકામાં રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.
જુલાઈ મહિનામાં વરસાદે હવે જમાવટ કરી છે તો બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. અમીરગઢ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો આ તરફ ઈકબાલગઢ વિસ્તારમાં વરસાદ બાદ દોઢ ઈંચ સુધી પાણી ભરાઇ ગયા હતા. ચારેય તરફ માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોએ વાવેલા મગફળીના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
NCP (અજિત પવાર જૂથ)એ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ડ્રામા વચ્ચે 13 થી 15 બેઠકોનો દાવો કર્યો છે. તેમાંથી ચાર લોકસભા બેઠકો હાલમાં NCP પાસે છે. આ સિવાય બાકીની બેઠકો એવી છે કે જેના પર ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અથવા વિપક્ષના ઉમેદવારો જીત્યા હતા.
Banaskantha : બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદને (Rain) કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે. ધોધમાર વરસાદને કારણે પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. શહેરના અનેક રસ્તા પાણીમાં ગળાડૂબ થયા છે. નીચાણાળા વિસ્તારોમાં પણ ચોતરફ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. બીજી તરફ અનેક હાઇવે પાણીમાં ડૂબ્યાં છે. આબુરોડ, અમદાવાદ હાઇવે, અંબાજી હાઇવે સહિતના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં રોડ પર પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિક સર્જાયો. કલાકો સુધી ટ્રકચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા.
PM નરેન્દ્ર મોદી આજથી 4 રાજ્યોનો પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી આજે સૌથી પહેલા છત્તીસગઢ જશે. તેઓ રાજધાની રાયપુરમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. છત્તીસગઢ બાદ પીએમ ઉત્તર પ્રદેશ આવશે. તેઓ યુપીના ગોરખપુરથી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરશે. આ વંદે ભારત એક્સપ્રેસ ગોરખપુરથી લખનૌ સુધી દોડશે. ગોરખપુર બાદ તેઓ વારાણસી પણ જશે. આવતીકાલે તેઓ તેલંગાણા અને રાજસ્થાનની પણ મુલાકાત લેશે.
Monsoon 2023 : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 157 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. 47 તાલુકામાં એક ઇંચથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના (Junagadh) ભેંસાણમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાટણમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના વીરપુરમાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છ મુંદ્રામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખાણીમાં 3.1 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અંજારમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. આગામી થોડા કલાકો 40 કિલોમીટર ઝડપે પવન ફુંકાઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે. તેમજ ભાવનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં આવેલા જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ રહી છે. ધરોઈ ડેમમાં શુક્રવારે સવારે પાણીની નવી આવક નોંધાઈ હતી. વહેલી સવારથી જ પાણીની આવકમાં વધારો થયો હતો. પાણીની આવક વધવાને લઈ સપાટીમાં આંશિક વધારો નોંધાયો છે. જૂન મહિના દરમિયાન સારો વરસાદ નોંધાવાને લઈ ધરોઈ ડેમમાં સારી આવક નોંધાઈ હતી. શુક્રવારે સવારે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. ઉપરાંત માઝમ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ હતી.
ઉત્તરાખંડમાં હવામાન હજુ પણ ખરાબ છે. ચમોલી પોલીસનું કહેવું છે કે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છિંકા પાસે પહાડી પરથી ભારે પથ્થરો પડતાં માર્ગ બંધ થઈ ગયો છે.
Ahmedabad : રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે ચુકાદો આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વકીલ દ્વારા સુરતની ટ્રાયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે. રાહુલ ગાંધીને ( Rahul Gandhi ) ટ્રાયલ કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ બે વર્ષની સજાના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવી છે. આ આદેશને પડકારતી અરજી હાઈકોર્ટમાં ( Gujarat High Court) અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે બધાની નજર આ ચુકાદા પર રહેલી છે.
ગુજરાતમાં આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ,પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા, અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે.
Published On - 6:27 am, Fri, 7 July 23