
આજે 6 જુલાઈ ગુરૂવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
EDએ પુણેની સેવા વિકાસ કો-ઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ ચેરમેન અમર મૂળચંદાનીની ધરપકડ કરી હતી અને નકલી દસ્તાવેજો દ્વારા તેમના નજીકના લોકોને લોનની વહેંચણીના સંબંધમાં કોર્ટમાં રજૂ કર્યો હતો. 429 કરોડના આ કૌભાંડ મામલે કોર્ટે મૂળચંદાનીને EDની કસ્ટડીમાં મોકલી દીધો છે.
કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે બે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદના કારણે ત્રણ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ભારતીય હવામાન વિભાગે આજે કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને અન્ય સાત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આજે સવારના 6 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા 33 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટના જેતપુરમાં 3, સુરતના ચોર્યાસી અને રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અંજાર, મહેસાણાના વડનગર, જામનગરના કાલાવાડમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.
આજે અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ રાત્રે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદના જોધપુર, આનંદનગર, શ્યામલ, વસ્ત્રાપુર, મેમનગર સહીતના વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ વરસ્યો છે.
રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે ફટકારેલ સજાને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટ આવતીકાલ 7 જુલાઈના રોજ ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને ટ્રાયલ કોર્ટે સંભળાવી હતી બે વર્ષની સજા. જસ્ટિસ હેમંત પ્રચ્છક ચુકાદો સંભળાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલ બે વર્ષની સજાના આધારે રાહુલ ગાંધીએ સંસદ સભ્ય પદ ગુમાવ્યું હતું
સૂત્રાપાડાની કોર્ટે, વન્યપ્રાણીઓનો શિકાર કરતી ગેંગના સાત સભ્યોને, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે ત્રણને નિર્દોષ જાહેર કર્યા છે. 2021માં સૂત્રાપાડાના ખાંભા ગામે શિકાર માટે જંગલમાં ફાંસલા સહીતના સાધનો ગોઠવ્યા હતા. જેમાં એક સિંહ બાળ અને એક શિયાળ ફસાઈ જવા પામ્યુ હતું. આ બનાવ સંદર્ભે વનવિભાગે સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતા શિકારી ગેંગના 10 સભ્યોને ઝડપી પાડ્યા હતા. જે કેસ સૂત્રાપાડા કોર્ટમાં ચાલી જતા, 10 પૈકી સાત આરોપીને ત્રણ વર્ષની કેદની સજા તેમજ 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. હિમાચલના લાહૌલ સ્પીતિ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. ભૂંકપની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.7 નોધાઈ હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.
વડાપ્રધાન નિવાસસ્થાને આ સમાચાર લખાઈ રહ્યાં છે તેના દોઢ કલાક પૂર્વેથી એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢથી પરત આવતા જ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા.
ભાજપે આવતીકાલે સાંજે મુંબઈમાં મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક મુંબઈની ગરવારે ક્લબમાં યોજાશે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હાજર તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આ બેઠક તેના આંકડાઓને સમર્થન આપવા અને આગામી દિવસોમાં બદલાતા સમીકરણ અંગે ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બનાસકાંઠાના અંબાજીમાં આજે સાંજે વરસાદ તુટી પડ્યો હતો. પાંચ દિવસના વિરામ બાદ વરસેલા વરસાદે, યાત્રાધામ અંબાજીમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. અંબાજીના બજારમાં નદીની જેમ વહેતા પાણી જોવા મળ્યાં હતા. જ્યારે અંબાજીનો મુખ્ય હાઈવે માર્ગ ઉપર વરસાદને કારણે પાણી ફરી વળ્યાં હતા.
કેન્દ્ર અને આસામ સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરનાર આઠ આદિવાસી વિદ્રોહી સંગઠનોના કુલ 1,100 સભ્યોએ ગુરુવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને તેમના શસ્ત્રો સોંપ્યા હતા. અહીં એક સમારોહમાં દરેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ તેમના હથિયારો સોંપ્યા. આ સંગઠનો દ્વારા સોંપવામાં આવેલા 300 થી વધુ હથિયારોમાં એકે શ્રેણીની રાઈફલ્સ, લાઇટ મશીનગન અને અન્ય હથિયારોનો સમાવેશ થાય છે.
રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ હવે શાંત થઈ જશે. કોંગ્રેસ નેતૃત્વએ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે સમાધાન કરાવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન પાયલટની ત્રણ માંગણીઓ હતી. આ ત્રણેય માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. વસુંધરા સરકારના ભ્રષ્ટાચાર સામે ગેહલોત સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે.
દૂધીવદર ગામ પાસે આવેલા ફોફળ ડેમમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઇ છે. ડેમની કુલ જળ સપાટી 26 ફુટ છે, જેમાંથી 25.5 ફુટ સુધી ડેમમાં પાણીની આવક થઇ છે.
તાઈવાને (Taiwan) ગઈકાલે એટલે કે બુધવારે એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે, તેઓ આગામી થોડા સમયમાં ભારતમાં તેની ત્રીજી રાજદ્વારી ઓફિસ ખોલશે. TECC ની એટલે કે તાઈપે ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર નામની ઓફિસ મુંબઈમાં ખોલવામાં આવશે. આ નવી ઓફિસ સાથે ભારતમાં તાઈવાનની આ ત્રીજી રાજદ્વારી કચેરી થશે. મુંબઈ પહેલા દિલ્હી અને ચેન્નાઈમાં તાઈવાનની રાજદ્વારી કચેરીઓ કાર્યરત છે.
સુરેન્દ્રનગરના (Surendranagar) લખતરના લીલાપુર પાટડી રોડ પર અંડર બ્રિજમાં પાણી ભરાઇ ગયા હતા. રેલવેના અંડરબ્રિજમાં (Underbridge) વરસાદી પાણી ભરાતા ખાનગી સ્કૂલ બસ તેમાં ફસાઇ ગઇ હતી અને બસ બંધ પડી ગઇ હતી.
વડોદરાના (Vadodara) વાઘોડિયામાં ગુરૂકુળ ચાર રસ્તા પાસે જ મસમોટો ખાડો પડ્યો છે. જેમાં રિક્ષા ખાબકી ગઇ હતી, સદનસીબે રિક્ષા ચાલકનો તો આબાદ બચાવ થઇ ગયો, પરંતુ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. CBI અને ED બંને કેસમાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. દિલ્હી હાઈકોર્ટે બંને કેસમાં તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અસામાજિક ઈસમોનો ત્રાસ સતત વધી રહ્યો હતો ત્યારે સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વાયરલ થયા હતા. આ સીસીટીવી ઉધના પોલીસને હાથ લાગતાની સાથે જ ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ એનએસ દેસાઈ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફને સીસીટીવી બાબતે તપાસ કરવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે સૂચન કર્યું હતું. આ ઈસમને પકડીને જાહેરમાં માફી મંગાવી હતી.
ગુજરાતમાં રાજ્યસભાની (Rajya Sabha) 3 બેઠક માટેની ચૂંટણીને લઈને કેન્દ્ર ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. ગુજરાતની 3 બેઠક માટે 24 જુલાઈએ ચુંટણી યાજાશે. રાજ્યસભાની ચૂંટણી મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ થાય એવી શક્યતા છે. ગુજરાતની 3 બેઠક માટે 13 જુલાઇ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્રણ કરતા વધુ ફોર્મ આવશે તો મતદાન યોજાશે. તેમજ ત્રણ જ ફોર્મ ભરાશે તો બિનહરીફ જાહેર કરાશે. તેથી લગભગ 17 જુલાઇ સુધી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
એક તરફ જ્યાં તમામ ટીમો વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ બાંગ્લાદેશને ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન અને તેના વિસ્ફોટક ઓપનર તમીમ ઈકબાલે નિવૃત્તિ લઈ લીધી છે. તમીમ ઈકબાલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિ (Tamim Iqbal Retirement)ની જાહેરાત કરી હતી. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે તમીમ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તે રડતો જોવા મળ્યો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 122.52 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે. સી.એચ.પી.એચ. નું 1 ટર્બાઇન વીજ ઉત્પાદન માટે ચાલુ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ તેમની સાથે વાત કરી. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
Mehsana: આજે આપણે જે ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. આ ગામ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ચાંદણકી (Chandanki) ગામ છે. ચાંદણકીમાં આખા ગામના લોકો એકસાથે ભોજન લે છે. ગામમાં કોઈના ઘરે ચૂલો સળગાવવામાં આવતો નથી. બધા સામૂહિક ભોજન લે છે.
ગુજરાત હાઇકોર્ટના ખાલી પડેલી મુખ્ય ન્યાયમૂર્તિની જગ્યા માટે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું નામની ભલામણ મોકલવામાં આવી છે. તેની સાથે સાથે જ હાલના ગુજરાતના એક્ટિંગ ચીફ જસ્ટીસ એ જે દેસાઈના નામની ભલામણ કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પણ મોકલવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે.
દિલ્હી પોલીસે મનીષ સિસોદિયાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે. સિસોદિયાના વકીલનું કહેવું છે કે તેમને સુનાવણી માટે શારીરિક રીતે હાજર થવાનો અધિકાર છે. કોર્ટમાં હાજર થવાના અધિકારને રોકવો જોઈએ નહીં. કોર્ટે કહ્યું છે કે મનીષ સિસોદિયોને હવે આગામી સુનાવણી પર શારીરિક રીતે રજૂ કરવામાં આવે. આગામી સુનાવણી 31મી જુલાઈએ થવાની છે.
Mahisagar : ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે (Meteorological department) આપેલી આગાહી અનુસાર મહિસાગર જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) છે.
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં વહેલી ચૂંટણીની માંગણી કરતી અરજી પર સુનાવણી મોકૂફ રાખી છે. CJIએ કહ્યું કે બંધારણીય બેંચે કલમ 370 હટાવવાની વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી 11 જુલાઈએ કરવાની છે. તે પછી જોશે.
લાલુ પ્રસાદ યાદવ પટના એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેણે કહ્યું કે હું બ્લડ ટેસ્ટ કરાવવા માટે દિલ્હી જઈ રહ્યો છું. આ તપાસ દિલ્હીમાં જ થાય છે. તપાસ કરાવીને પાછા આવશે અને પછી વિપક્ષની બેઠક માટે બેંગલુરુ જશે.
પાડોશી દેશ ચીન તેની હરકતોથી બાજ આવી રહ્યું નથી. પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદ વચ્ચે, ડ્રેગને ભારતીય સરહદની જાસૂસી કરવા માટે સરહદની નજીક તેના અત્યાધુનિક WZ-7, વિંગ લૂંગ 2 ડ્રોનને તૈનાત કર્યા છે. TV9ને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, ચીને આ જાસૂસી ડ્રોનને એવી જગ્યાએ તૈનાત કર્યા છે જ્યાંથી તે ભારતીય પૂર્વ લદ્દાખની સરહદ પર જાસૂસી કરી શકે છે અને સેનાની 14મી કોર્પ્સ અને 33મી કોર્પ્સની હિલચાલ પર નજર રાખી શકે.
મોડી રાતથી અવિરત વરસાદને કારણે નૈનીતાલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના પ્રસિદ્ધ રાજભવન રોડનો મોટો હિસ્સો ધરાશાયી થવાની ભીતિ છે.
India-Japan Maritime Exercise 2023: ભારતીય નૌકાદળે ચીનના દાંત ખાટા કરવાની તૈયારી કરી લીધી છે. વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળ દ્વારા દ્વિપક્ષીય જાપાન-ભારત મેરીટાઇમ એક્સરસાઇઝ એટલે કે JIMEX 23નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન 5 જુલાઈથી 10 જુલાઈ સુધી ચાલશે. બંને દેશો વચ્ચે આ સંયુક્ત દરિયાઈ અભ્યાસ 2012માં શરૂ થયો હતો.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર એક અનૌપચારિક GoM એટલે કે વરિષ્ઠ મંત્રીઓના મંત્રી જૂથની રચના કરવામાં આવી છે. જેમાં કિરેન રિજિજુ, સ્મૃતિ ઈરાની, જી કિશન રેડ્ડી અને અર્જુન રામ મેઘવાલનો સમાવેશ થાય છે. બુધવારે આ મંત્રીઓની બેઠક યોજાઈ હતી.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. ખેડાના નજિયાદમાં ભારે વરસાદ વરસતા પાણીમાં કાર ફસાઈ હતી. નડિયાદના શ્રેયસ ગરનાળામાં કારમાં સવાર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો.
રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 173 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ આણંદ જિલ્લાના ખંભાતમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદ શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તો ખેડાના નડિયાદમાં વરસ્યો સવા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાના કારણે અનેક સ્થળોએ ગરનાળાઓમાં પાણી ભરાતા બંધ થયા છે.
Monsoon 2023 : હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
ચૂંટણી પંચ ટૂંક સમયમાં NCP પરના દાવા અંગે અજિત પવારની અરજી પર સુનાવણી શરૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનરની આગેવાની હેઠળની પંચની સંપૂર્ણ બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે. અરજી પર શરદ પવાર પક્ષને નોટિસ આપવામાં આવશે અને દસ્તાવેજો સાથે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવશે.
મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દેશના કોઈને કોઈ ભાગમાંથી દરરોજ હિંસાના સમાચાર આવી રહ્યા છે. આ વખતે તોફાનીઓના ટોળાએ સિક્યુરિટી ગાર્ડના ઘરને આગ લગાડી દીધી છે. મણિપુર હિંસા રોકવા માટે સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. આ એપિસોડમાં, ઇન્ટરનેટ પ્રતિબંધની અવધિ લંબાવવામાં આવી છે. તે જ સમયે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે મહિના પછી ફરીથી શાળાઓ ખોલવામાં આવી છે. કોંગ્રેસે ફરી એકવાર મણિપુરના મુદ્દે સરકારને ઘેરી છે.
શરદ પવાર મુંબઈથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સુપ્રિયા સુલે પણ તેમની સાથે છે. આજે દિલ્હીમાં NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવાની છે.
ઉત્તરાખંડમાં મનેરી નજીક ગંગોત્રી નેશનલ હાઈવે પર પહાડોમાંથી સતત પથ્થરો આવી રહ્યા છે. જેના કારણે રસ્તો બંધ છે. BRO રસ્તો ખોલવામાં વ્યસ્ત છે.
દક્ષિણ આફ્રિકાના બોક્સબર્ગ શહેરમાં ગેસ લીક થવાને કારણે લગભગ 24 લોકોના મોત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, એકુરહુલેની નગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે એન્જેલો સ્ક્વોટર કેમ્પના એક યાર્ડમાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થયો હતો. રિપોર્ટ અનુસાર, આ ઘટના ગેરકાયદેસર ખનન સાથે પણ સંબંધિત હોઈ શકે છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે મૃતકોમાં ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ છે કે કેમ.
મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પ્રતિબંધ પાંચ દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. હવે મણિપુરમાં ઈન્ટરનેટ 10 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. સરકારનું કહેવું છે કે શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવું કરવામાં આવ્યું છે. મણિપુરમાં હિંસા બાદ 3 મેથી ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
શહેરમાં જળ બંબાકાર, રસ્તાઓ પાણી પાણી થયા
શહેરના સાળંગપુર રોડ રેલ્વે અંડર બ્રીજમા ભરાયા વરસાદી પાણી
ભાવનગર રેલ્વે ફાટક અંડર બ્રીજમાં પણ ભરાયા પાણી
શહેરની મધ્યમાં આવેલી ઉતાવળી નદીમાં આવ્યા નવા નીર
Monsoon 2023 : રાજ્યભરમાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી એક વાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ( Gujarat Rain) વરસાદ વચ્ચે આજે ગુરુવારે આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ,નર્મદા,નવસારી, પંચમહાલ,પાટણ,સાબરકાંઠા, સુરત અને તાપી જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
શહેરના વાતાવરણમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમજ સમગ્ર શહેરમાં વિજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 6 જુલાઈ સાત જુલાઈ અને આઠ જુલાઈને લઈને વરસાદની આગાહી કરી છે. સાત અને આઠ જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરી છે.
Published On - 6:51 am, Thu, 6 July 23