આજે 2 જુન અને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે જાણો વરસાદ અને હવામાનનો હાલ. આ સાથે જ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Gandhinagar: દેશની વિધાનસભાઓને ડીજીટલ બનાવવા ભારત સરકાર દ્વારા ‘વન નેશન, વન એપ્લીકેશન’ અંતર્ગત નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન એટલે કે NeVA પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાને પણ ડિજિટલ અને પેપરલેસ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નેવા પ્રોજેક્ટને અમલી બનાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.
ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
PM Modi announces ex-gratia of Rs 2 lakh to the kin of deceased in the train accident in Odisha and Rs 50,000 to injured#TV9News #TrainAccident pic.twitter.com/pjqPLdf23s
— Tv9 Gujarati (@tv9gujarati) June 2, 2023
ટ્રેન દુર્ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતીય વાયુસેના પણ આ કામમાં લાગી ગઈ છે અને બચાવ માટે એરલિફ્ટિંગ માટે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ભુવનેશ્વરમાં સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) કંટ્રોલ રૂમમાં અકસ્માતની સ્થિતિ અને બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. ઘાયલ અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પર મોટુ દુઃખ વ્યક્ત કર્યું છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના નજીકના પરિજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. NDRFની ટીમ પહેલાથી જ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.
હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાના કારણે ગોવા-મુંબઈ વંદે ભારત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી અડસેમાં 50 લોકોના મોત થયા છે જ્યારે 350થી વધુ લોકો ઘાયલ થયા છે.
Dahod: હેવાન બનેલા પિતાએ તેમના જ સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઝાલોદના ડુંગરી ગામે આ ઘટના બની છે. સાસરિયાઓ સાથેના કૌટુંબિક ઝઘડામાં પિતાએ તેમની 12 વર્ષની પુત્રી અને 8 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યા છે. તેણે પોતાના જ સંતાનોનું ગળુ દબાવી હત્યા કરી નાખી. બાદમાં પિતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પરંતુ પરિવારજનો તેમજ અન્ય લોકોએ તેમને આત્મહત્યા કરતા અટકાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે હત્યારા પિતાને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan) પર પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે રઘુરામ રાજન 2014 પહેલા કેવા હતા અને 2014 પછી શું બની ગયા છે. તેઓ આ વાત સારી રીતે જાણે છે. વાસ્તવમાં, રાજને થોડા મહિના પહેલા રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન આગાહી કરી હતી કે જો ભારત આવતા વર્ષે 5 ટકાનો વિકાસ દર હાંસલ કરે છે તો પણ તે એક મોટી વાત હશે, જ્યારે તેમની આગાહી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આ વર્ષે જીડીપીનો વિકાસ દર 7.2 ટકા રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે પણ રઘુરામ રાજન ભારતના મોબાઈલ મેન્યુફેક્ચરિંગની ટીકા કરે છે, ત્યારે એવું લાગે છે કે જે વ્યક્તિ આટલી સારી શિકાગો યુનિવર્સિટીમાં જઈને પણ જ્ઞાન જાળવી શકી નથી તેનો શું ઉપયોગ છે. તેમણે કહ્યું કે આજે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં 25 લાખ નોકરીઓ છે. દરેક ફેક્ટરીમાં 20-20 હજાર લોકો કામ કરે છે. લગભગ 70-80 ટકા મહિલાઓ કામ કરે છે. આટલુ મોટુ પરિવર્તન આવ્યુ છે.
Ahmedabad: અમદાવાદમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકીભર્યા મેસેજ મોકલવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. UP, MP બાદ સાયબર ક્રાઇમે હવે મહારાષ્ટ્રના ભિવંડીથી ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું છે. પોલીસે મુદ્દામાલ સાથે બે આરોપી મશીદ ગુલશેર ખાન અને મોહમ્મદ શાહિદ આલમની પણ ધરપકડ કરી છે. સાથે જ સાયબર ક્રાઇમે દરોડા પાડીને 4 સિમ બોક્સ, 3 રાઉટર, 3 મોબાઇલ, લેપટોપ અને 605 સિમકાર્ડ પણ જપ્ત કરી લીધા છે.
Coromandel Express Train Accident: હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં (Coromandel Express Train) શુક્રવારે સાંજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. માલગાડી સાથે અથડાયા બાદ 3 સ્લીપર કોચ સિવાય બાકીના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રારંભિક માહિતીમાં આ કોચની સંખ્યા 18 જણાવવામાં આવી રહી છે.
અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેઓ કોઈપણ માન્ય દસ્તાવેજો વિના અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા અને કામ કરતા હતા. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ તેમજ ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ તાજેતરમાં શહેરની SOGને શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે, પાંચ ટીમો બનાવી હતી અને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, બાપુનગર, ઓઢવ, ઇસનપુર અને ચાણક્યપુરી જેવા અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે, રામનાથ પરા ખાતે જાણીતા ઈશ્વર ઘૂઘરાવાળાને ત્યાં દરોડા પાડીને, અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગને, 40 કિલો સૂકવેલા વાસી ઘૂઘરા, વાસી બટાટાનો માવો, મરચાંની ચટણી માટે કલર, 60 કિલો બળેલ તેલ મળી આવ્યુ હતું. આરોગ્ય વિભાગે, કુલ 145 કિલો જથ્થાનો નાશ કર્યો હતો.
અમદાવાદ વન મોલમાં, ગ્રાહકની ફરિયાદના આધારે AMC દ્વારા KFCના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. પાણીના નમૂનાની ચકાસણી કરાતા તે અનફિટ જાહેર થયા હતા. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે, અમદાવાદ વન મોલમાં આવેલ KFC આઉટલેટને સીલ કરી દેવાયું છે. AMC દ્વારા ચકાસવામા આવેલ KFCના પાણીના નમૂનામા કોલીફોર્મ અને ફિકલ ઇકોલાઇ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે માત્રામાં મળી આવ્યુ હતું. જે આરોગ્ય માટે જોખમરૂપ હોવાથી KFC આઉટલેટને સીલ કરાયું છે.
ગુજરાત સરકારે જાહેર કરેલ નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિ રૂપે, રાજ્યમાં સ્થપાશે દેશની સૌપ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી. ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર અને ટાટા ગ્રુપ વચ્ચે સમજૂતી કરાર કરાયા છે. આ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીને કારણે 13 હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. પ્રથમ તબક્કે રૂ. 13 હજાર કરોડના રોકાણ સાથે 20 ગીગાવોટનો પ્લાન્ટ સ્થપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2030 સુધીમાં 100 ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગ અને 50 ટકા કાર્બન ઉત્સર્જન-નેટ ઝિરો કાર્બન ઇમિશનના આપેલા લક્ષ્યને સાકાર કરવામાં ગુજરાતનું આગવું કદમ
દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ચોક્કસપણે મનીષ સિસોદિયાને આવતીકાલે થોડા કલાકો માટે વચગાળાની રાહત આપી છે. દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને પોલીસ કસ્ટડીમાં પત્નીને મળવાની મંજૂરી આપી છે. દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાને આવતીકાલે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી વચગાળાની રાહત આપી છે.
વેરાવળમાં જાણીતા તબીબ અતુલ ચગે કરેલ આત્મહત્યા કેસમાં, વેરાવળ સેશન્સ કોર્ટે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના પિતા નારણભાઈ ચુડાસમાની જામીન અરજી ના મંજૂર કરી છે. અતુલ ચગની આત્મહત્યા કેસમાં, વેરાવળ પોલીસ સ્ટેશનમાં નારણ ચુડાસમા અને તેના પુત્ર સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપી નારણ ચુડાસમાએ ગઈકાલે વેરાવળ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે વેરાવળ કોર્ટે ના મંજૂર કરી છે.
હવામાન વિભાગે, અમદાવાદ શહેર માટે નાઉકાસ્ટ ફોરકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સર્જાવાની શક્યતા છે. જેના પગલે, શહેરમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવા સાથે વરસાદ વરસી શકે છે.
1983ના વિશ્વકપ વિજેતા ટીમના ક્રિકેટરઓએ સંયુક્ત નિવેદન બહાર પાડીને આંદોલન ચલાવી રહેલા કુસ્તીબાજોને તેમના પદક ગંગામાં ના વહેવડાવવા અપીલ કરી છે. વિશ્વ કપ વિજેતા ટીમના સભ્યોએ, સંયુક્ત નિવેદન બહાર પાડીને તેમની સમસ્યાના નિરાકરણ માટે ધીરજ રાખવા પણ જણાવ્યું છે.
1983 Cricket World Cup winning team issues statement on wrestlers’ protest – “We are distressed and disturbed at the unseemly visuals of our champion wrestlers being manhandled. We are also most concerned that they are thinking of dumping their hard-earned medals into river… pic.twitter.com/9FxeQOKNGj
— ANI (@ANI) June 2, 2023
હરિયાણાના કુરુક્ષેત્રની ખાપ મહાપંચાયતમાં ભારે હંગામો થયો હતો. ભીડને કાબૂમાં લેવા માટે રાકેશ ટિકૈતને ઉભા થવું પડ્યું. ખાપ પ્રતિનિધિઓ દ્વારા માઈક પર આપવામાં આવતા ભાષણોથી ઉપસ્થિત લોકો ગુસ્સે થયા હતા અને નિર્ણયની જાહેરાત ન કરતા હોબાળો મચાવ્યો હતો. ઘણી મહેનત પછી વાતાવરણ થોડું શાંત થયું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાંચીમાં જણાવ્યું હતું કે આજે હેમંત સોરેન સાથે તેમની ચર્ચા થઈ હતી. તેમણે અમને સંસદની અંદર અને બહાર સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. હું તમામ પક્ષોને વિનંતી કરું છું કે જ્યારે આ વટહુકમ સંસદમાં આવે ત્યારે તેનો વિરોધ કરે.
ભારતીય જનતા પાર્ટીએ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. રાજસ્થાનના અજમેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વિશાળ જાહેર સભાથી શરૂ થયેલું આ અભિયાન આખા જૂન મહિના સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ભાજપ દેશભરમાં મોદી સરકારની 9 વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરશે. તેમજ આ અભિયાન દ્વારા એવા લોકોને પણ યોજનાઓ સાથે જોડવામાં આવશે જેઓ કોઈ કારણસર વંચિત રહી ગયા છે.
આ અભિયાનમાં કેટલાક અનોખા પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. જેથી નારાજ કાર્યકરો અને નેતાઓને મનાવીને ફરીથી સક્રિય કરી શકાય અને ચૂંટણીમાં ટાણે કોઈ વિવાદ ન સર્જાય. આ નવતર અને અનોખા પ્રયોગને ‘ટિફિન મીટિંગ’ એટલે કે ટિફિન પર ચર્ચા નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઉદ્ધાટન બાદ ભાજપના દરેક ધારાસભ્ય અને સાંસદને આ ટિફિન બેઠકો યોજવા સૂચના આપવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં હથિયારો લૂંટનારા લોકોને પરત કરવા કહ્યું હતું. તેની અસર થઈ છે. અત્યાર સુધીમાં અલગ-અલગ જગ્યાએ 140 હથિયારો પરત કરવામાં આવ્યા છે.
દેશની નવી સંસદમાં અખંડ ભારતનો નકશો પાડોશી દેશોને પસંદ નથી આવી રહ્યો. પહેલા નેપાળે આના પર વાંધો ઉઠાવ્યો, પછી હવે પાકિસ્તાનને આ નકશાને કારણે મરચા લાગ્યા છે. અખંડ ભારતનો આ નકશો જોઈને જ પાકિસ્તાન સરકાર તણાવમાં આવી ગઈ છે.
નેપાળના બે પૂર્વ વડાપ્રધાનો કેપી શર્મા ઓલી અને બાબુરામ ભટ્ટરાઈએ, ભારતની નવી સંસદમાં મુકાયેલા અખંડ ભારતના નકશા અંગે ઝેર ઓક્યું છે. ભારતની નવી સંસદનું ઉદઘાટન ગયા રવિવારે જ થયું છે. આ ભવ્ય ઈમારતમાં પ્રાચીન ભારત સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે. સંસદ સંકુલમાં અખંડ ભારતનો નકશો પણ છે, જેમાં નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તિબેટ અને શ્રીલંકાને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
મુંબઈમાં બુધવારે એક પાંચ માળની ઈમારતના ભોંયરામાં લાગેલી મોટી આગ 30 કલાક પછી શુક્રવારે સવારે કાબૂમાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પાલિકાના અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 12.15 વાગ્યે ઉપનગરીય અંધેરીના SEEPZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેને શુક્રવારે સવારે 6.15 વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) રથયાત્રાની (Rathyatra) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે યાત્રા પહેલા CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. વહેલી સવારે મુખ્યપ્રધાને મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા. તેમણે ભગવાનની આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી. જનસંપર્ક હેતુ અંતર્ગત રથયાત્રા પહેલા મુખ્યપ્રધાને મંદિર પહોંચી સરકારની 9 વર્ષની કામગીરીની બૂક મહંત દિલીપદાસજીને અર્પણ કરી હતી. તો મહંત દ્વારા CM ભૂપેન્દ્ર પટેલને ભગવાન જગન્નાથજીની તસવીર ભેટ સ્વરૂપે અપાઈ હતી.
બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી થઇ છે. નિયામક મંડળીની બેઠકમાં બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે.
IITE સાથે જોડાયેલ બીએડ કોલેજોને સરકારી યુનિવર્સિટી સાથે જોડાણ અપાયુ છે. IITE માથી 40 કોલેજોનુ જોડાણ રદ કરી સ્થાનિક યુનિવર્સિટી સાથે જોડાણ અપાયુ છે,
4 સરકારી જ્યારે 36 ગ્રાન્ટ ઇન એઈડ કોલેજોને યુનિવર્સિટીઓ સાથે જોડાણ અપાયુ છે. અગાઉ 2019મા આ કોલેજોનુ IITE સાથે જોડાણ કરાયુ હતું. 2019થી 2022 દરમિયાન અભ્યાસ કરતા વિધ્યાથીઓના અભ્યાસ, પરીક્ષા વગેરે IITEએ કરવાનુ રહેશે
શિક્ષણ વિભાગે કોલેજોના જોડાણ અંગે ઠરાવ કર્યો
Surat : સુરત(Surat) જ્વેલરી ઉદ્યોગે આ નવા સંસદ ભવનને(New Parliament Building) લઈને એક એવી પહેલ કરી છે કે દેશ-વિદેશમાં રહેતા લોકોના હાથમાં નવા સંસદ ભવનની જવેલરી (Jewelry)જોવા મળશે. સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે આ માટે નવા સંસદ ભવનના આકારના હિપહોપ જ્વેલરી બનાવી છે. પોતાની એક એક ડિઝાઇન થી વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં મુકી દેનાર સુરત જ્વેલરી ઉદ્યોગ એ હાલમાં જ નવા સંસદ ભવનના આકારની જ્વેલરી તૈયાર કરી છે.
Weather News : ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં મોડુ બેસવાની સંભાવના છે. આમ તો 1 જૂને કેરળમાં વરસાદ થાય તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સત્તાવાર એન્ટ્રી લે છે. જો કે, આ વખતે વરસાદી સિસ્ટમ પર વાવાઝોડું જોખમી સાબિત થાય તેવી સંભાવના છે. એટલે વરસાદી વાતાવરણ તો રહેશે, પરંતુ આ વાતાવરણ ચોમાસાનું નહીં હોય, તે વાવાઝોડાની અસર હશે.
ભીમ અગિયારસે જુગાર રમવાની પરંપરા હોય અને ભીમ અગિયારસના રોજ જુગારીઓ શાસ્ત્રમાં જાણે જુગાર રમવાનું કહ્યું હોય તેમ જુગાર રમતા હોય છે. ત્યારે સુરત પોલીસ (Surat Police) પણ સતર્ક બનીને આવા જુગારીઓને પકડી પાડવા વોચ ગોઠવીને બેઠી હતી. સુરત પોલીસે શહેરભરમાંથી ભીમ અગિયારસ જુગાર (Bhim Agiyaras gamblers) રમતા સંખ્યાબંધ જુગારીઓને પકડ્યા છે. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પોલીસ સ્ટેશનોમાં જુગારીઓને રાખવા જગ્યા ખૂટી પડે તેટલા જુગારી ઝડપી પાડવામાં આવ્યા હતા.
Share Market Today : કારોબારી સપ્તાહના છેલ્લા સ્તરની જોરદાર શરૂઆત થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ મજબૂત સ્થિતિમાં ખુલ્યા છે. આજે સેન્સેક્સ 62,601.97 ઉપર ખુલ્યો છે. આ સમયે ઈન્ડેક્સ 173.43 પોઇન્ટ અથવા 0.28%નો વધારો દર્શાવી રહ્યો હતો. કારોબારના અંત સમયે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 193.70 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 62,428.54 પોઈન્ટ પર બંધ થયા છે. બુધવારે સવારે 62,736.47 પોઈન્ટના નજીવા વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પઆ પહેલા મંગળવારે સેન્સેક્સ વધારા સાથે 62,969.13 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીની વાત કરીએતો 63.10 પોઇન્ટ અથવા 0.34% તેજી સાથે 18,550.૮૫ ઉપરકારોબારનો પ્રારંભ કર્યો હતો. આજે વૈશ્વિક સંકેત ખુબ સારા મળ્યા હતા.
GST Collection May 2023: નાણા મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે મે મહિનામાં ભારતનું ગ્રોસ GST રેવન્યુ કલેક્શન રૂ. 1,57,090 કરોડ રહ્યું છે. GST રેવન્યુ કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12 ટકાનો વધારો થયો છે. ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું GST કલેક્શન એપ્રિલમાં થયું હતું, જ્યારે સરકારે 1.87 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સરકાર માટે સારા સમાચાર એ છે કે મે એ સતત 14મો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂ. 1.4 લાખ કરોડને પાર કરી ગયું છે.
સુરતમાં કાપડના વેપારી હની ટ્રેપમાં ફસાયા છે. જેમાં આરોપીઓએ પોલીસના નામે 50 લાખ પડાવી લીધા હતા.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. સાબરકાંઠા અને બનાસકાંઠા તરફ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. તેમજ આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે છે.
ખેડૂતો માટે સારા સમાચાર છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પાકના નુકસાન માટે વળતર જાહેર કર્યું છે. તેમણે કમોસમી વરસાદ (Rain) અને અતિવૃષ્ટિને કારણે પાકના નુકસાનના બદલામાં રૂ. 181 કરોડની રકમ જાહેર કરી છે. રાજ્યના હજારો ખેડૂતોએ તેનો લાભ લીધો છે. ખાસ વાત એ છે કે આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓ બેંક કે એટીએમ જઈને પોતાનું બેલેન્સ ચેક કરી શકે છે. જો તેમના મોબાઈલમાં મોબાઈલ બેંકિંગ એપ્સ હોય તો તેઓ ઘરે બેસીને પોતાનું એકાઉન્ટ ચેક કરી શકે છે.
Vadodara : રાજકોટ બાદ વડોદરામાં 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો (Baba Bageshwar) દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ધર્મગુરુ, મહાનુભાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન અને ગૃહરાજયમંત્રીને દરબારમાં આવવા આયોજકો આમંત્રણ આપવામાં આવ્યુ છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રના ભિવંડીમાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઝડપ્યું છે.3 સીમ બોક્સ સાથે બે આરોપી મશીર ખાન અને મહોમ્મદ શાહિદની ધરપકડ કરી છે..,, આ ઝડપાયેલા શખ્સો આતંકી પ્રવૃત્તિના ઈરાદે પ્રિ રેકોર્ડ મેસેજ મોકલવા સીમ બોક્સનો ઉપયોગ કરતા હતા..,, ખાલિસ્તાન આતંકવાદીની સીમ બોક્ષ મારફતે ઓડિયો ક્લિપ મોકલી હતી..,, આ પૂર્વે પણ સાયબર ક્રાઈમ બ્રાંચે 15 સીમ બોક્ષ સાથે 3 આરોપી ધરપકડ કરી હતી.
Nagpur: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશની સરહદો પર દુશ્મનો સામે આપણી તાકાત બતાવવાને બદલે આપણે અંદરોઅંદર લડી રહ્યા છીએ. નાગપુરમાં આયોજિત ‘સંઘ શિક્ષા વર્ગ’ (IAS કેડર માટે અધિકારી તાલીમ શિબિર) ના વિદાય સમારંભમાં બોલતા, ભાગવતે કહ્યું, દેશના દરેક નાગરિકે ભારતની અખંડિતતા જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મોહન ભાગવતે તેમના સંબોધનમાં કહ્યું કે વૈશ્વિક આર્થિક સંકટ અને બાદમાં કોરોના વાયરસ રોગચાળા (COVID-19) દરમિયાન ભારતે તમામ દેશો વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે આપણા સમાજમાં ધર્મ અને પંથથી લઈને અનેક પ્રકારના વિવાદો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભારતીય સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા છે. એક દિવસ પહેલા રાહુલ અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતા. અહીં તેઓ વિદ્યાર્થીઓને મળ્યા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. રાહુલે વિદ્યાર્થીઓને ચીન, રશિયા, યુક્રેન સહિત અનેક પ્રશ્નો પૂછ્યા હતા. રાહુલે સરકાર પર સ્વતંત્ર સંસ્થાઓ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો. આજે રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબ પહોંચ્યા હતા. અહીં તેણે અનેક સવાલોના જવાબ આપ્યા.
Vadodara : વડોદરામાં આજે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હસ્તે થશે બે બ્રિજનું લોકાર્પણ થશે. જેના લીધે અમદાવાદથી સુરત જતાં વાહનચાલકોને ફાયદો થશે. કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari) શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. જેમાં તેવો વડોદરામાં 48 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.જેમાં 1 વાગે વડોદરા એરપોર્ટ આવશે, 2 વાગે દેના ચોકડીના નવા પુલનું લોકાર્પણ કરશે. 2 :15 દુમાડ ચોકડી સર્વિસ રોડ રેમ્પ અને પુલનું લોકાપર્ણ કરીને 54 કરોડના વિકાસ કાર્યોની વડોદરાને ભેટ આપશે અને ત્યાર બાદ જાહેરસભાને સંબોધશે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે 2024માં ફરી એકવાર મોદી સરકાર આવશે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર વિજયી બનશે. ગુરુવારે (1 જૂન) એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, સરકારે છેલ્લા 9 વર્ષમાં દેશના વિકાસ માટે નોંધપાત્ર કામ કર્યું છે. ઉપરાંત, ગરીબી નાબૂદી અને ભારતને 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનાવવાના PM મોદીના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે રોજગાર વધારવાની જરૂર છે.
અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. જેના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો તોળાય રહ્યો છે.ચોમાસું જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું 1 જૂનના રોજ આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે. માલદીવ અને કોમોરિન વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે. હવે ચોમાસા પર અરબી સમુદ્રમાં સર્જાવા જનારી સિસ્ટમનો પણ ખતરો પેદા થયો છે. આવતા અઠવાડિયામાં આ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે
અમેરિકાના પ્રવાસે ગયેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે. ભારતીય સમય અનુસાર, ગુરુવારે મોડી રાત્રે તેમણે પીએમ મોદી વિશે ફરી એકવાર મોટી વાત કરી. અહીં વોશિંગ્ટનની નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણી જીતશે.
Banaskantha : બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી કરવામાં આવશે. અઢી વર્ષની મુદત હતી. જે હવે પૂર્ણ થઇ ગઇ છે. જેને કારણે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. જો કે, હવે ચેરમેન પદ માટે મેન્ડેટ કોને આપવું તે ભાજપ માટે મોટો સવાલ બની ગયો છે.
Surat : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi) વિદેશમાં મોદી સરકાર પર કરેલા પ્રહારનો ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે(CR Paatil) વળતો જવાબ આપ્યો છે. જેમાં સી. આર. પાટીલે પ્રહાર કરતા કહ્યું હતું કે વિદેશમાં જઈ ભારતનું અપમાન કરવાની રાહુલ ગાંધીની આદત છે. તેમજ બહાર જઈ દેશનું કઈ રીતે અપમાન થાય તેવો હોય છે રાહુલ ગાંધીનો પ્રયાસ હોય છે.
જો કે તેમણે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં પીએમ મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે.
હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આગામી કેટલાક દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 48% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.
Published On - 6:40 am, Fri, 2 June 23