21 ઓગસ્ટથી PM મોદી પોલેન્ડ-યુક્રેનના પ્રવાસે જશે. 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડનો કરશે પ્રવાસ. તો યુદ્ધની સ્થિતિ વચ્ચે 23 ઓગસ્ટે યુક્રેનની લેશે મુલાકાત. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ ટીમ પર હુમલો કર્યો. CRPFના અધિકારી શહીદ થયા છે. હુમલા બાદ સેનોએ વળતો પ્રહાર કર્યો છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ફાયરિંગથી દોડધામ મચી. રાજસ્થાનથી આવેલા લોકોએ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યાની આશંકા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના પાલડીની જય સિયારામ સ્વિટ્સના પેંડામાંથી ફૂગ નીકળી છે. મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આજથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે તો ઉત્તર-મધ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. 2
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરીયાદ કાર્યક્રમ આગામી ગુરૂવાર 22 ઓગસ્ટે યોજાશે નહી. ગુજરાત વિધાનસભાના ત્રિ-દિવસીય સત્રને અનુલક્ષીને સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ 22 ઓગસ્ટ ગુરૂવારને બદલે 29 ઓગસ્ટના ગુરૂવારે યોજાશે. સૌ સંબંધિતોને રાજ્ય સ્વાગતના આયોજનના આ ફેરફારની નોંધ લેવા મુખ્યમંત્રીના જન સંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે બદલાપુરની શાળામાં વિદ્યાર્થીનીઓના યૌન શોષણના મામલામાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ, ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. યુપીના સુલ્તાનપુરની અદાલતે 23 વર્ષ જૂના કેસમાં સંજય સિંહની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ જાહેર કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી ઓક્ટોબરના રોજ, કેવડિયા એકતાનગર ખાતે આવશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 31મી ઓક્ટોબરના રોજ એકતા પરેડ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર ગોવિંદ મોહને આજે એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલ પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. આ બન્ને અધિકારીઓએ એકતા પરેડને લગતી વિગતો મેળવી હતી.
ભિલોડાથી ખંભાત જતી બસને કપડવંજના રેલીયા ગામ પાસે અકસ્મતા થયો છે. બાઈક ચાલકને બચાવવા જતા બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 50 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.
મોરબીના જિલ્લા કલેકટરે નગરપાલિકાની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન 20 જેટલા કર્મચારીઓ ગેરહાજર જણાયા હતા. ગેરહાજર 20 કર્મચારીને નોટીસ ફટકારવામાં આવી છે. જિલ્લા કલેકટર કે બી ઝવેરીએ, ગેરહાજર રહેલા કર્મચારીઓને કારણદર્શાવો નોટીસ પાઠવી છે.
રાજસ્થાનના અજમેરના ચર્ચાસ્પદ રેપ-બ્લેકમેલિંગ કેસમાં કોર્ટે 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બાકીના 6 આરોપી નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસ જે તે સમયે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. આશરે 100 છોકરીઓ પર બળાત્કાર કરીને તેમને બ્લેકમેલ કરવામા આવતી હતી.
ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે રિલ્સ બનાવનારા 4 યુવાનોની પોલીસે અટકાયત કરી છે. ગિફ્ટ સીટી રોડ બ્લોક કરીને બે કારમાં 4 જેટલા ઈસમો રિલ્સ બનાવતા હતા. ઇન્ફોસિટી પોલીસે રિલ્સ બનાવતી બે કાર સાથે ચારેયની ઝડપી પાડ્યા છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ જય સિયારામ પેંડાવાલાની દુકાનમાંથી ખરીદેલા પેંડામાંથી ફૂગ નીકળવાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, સિયારામ પેંડાવાલાની દુકાનને સીલ કરી દીધી છે. રક્ષાબંધન પર્વ પર એક ગ્રાહકે જય સિયારામ પેંડાવાલાને ત્યાંથી પેંડા ખરીદ્યા હતા. આ પેંડામાં ફૂગ જણાતા તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. એએમસીના હેલ્થ વિભાગે ગ્રાહકની ફરિયાદના આધારે દુકાન સીલ કરી દીધી છે.
નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે બપોરના સમયે પલટો આવ્યો હતો. જિલ્લાના ગણદેવી અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ નવસારી શહેરમાં પણ બપોરના સમયે વરસાદ વરસ્યો છે. કબીલપોર કાલિયાવાડી, જુનાથાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી.
મુંબઇ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામાનની ચોરી કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી બુલેટ ટ્રેન લાઇનના પ્રોજેકટમાંથી લોખંડના કિંમતી મટીરીયલની ચોરી કરતો હતો. અહેમદખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસે 7.19 લાખનો મુદ્દામાલ પકડયો છે. આરોપી અહેમદખાન પઠાણ ઘરફોડ ચોરી, રાયોટિંગ હત્યાની કોશિશ જેવા 18 જેટલા ગુન્હામાં સંડોવાયેલા છે.
બનાસકાંઠાઃ ભાભરમાં ભરબપોરે જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ થયો છે. રક્ષાબંધનની બપોરે બે શખ્સોએ સાધ્વીની છેડતીનો પ્રયાસ કર્યો હતો. સાધ્વીએ બૂમાબૂમ કરતા અજાણ્યા શખ્સો ભાગી છૂટ્યા હતા, સાધ્વીની છેડતીના પ્રયાસની ઘટનાથી જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે બંને શખ્સોની શોધ શરૂ કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સહિત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ભરૂચ: શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાંચબત્તી, સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પાણી-પાણી થતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે. અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
લેટરલ એન્ટ્રી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું પગલું ભર્યું છે. હવે પીએમના નિર્દેશ પર ભરતીની જાહેરાત રદ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ બાબતનો વિરોધ વિપક્ષ તેમજ સરકારના સહયોગી પક્ષોએ વિરોધ કર્યો હતો. લેટરલ એન્ટ્રીમાં અનામત ન આપવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઇ છે. બંધ બારણે આ બેઠક યોજાઇ હોવાની માહિતી સામે આવી છે. આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. જો કે બેઠક બાદ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતા આ માત્ર ઔપચારિક બેઠક હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક, લાંબા સમય બાદ બેઠકથી અનેક તર્ક વિતર્ક | TV9Gujarati#gandhinagar #amitshah #shankarsinghvaghela #gandhinagarcircuithouse #meeting #gujaratpolitics #gujarat #tv9gujarati pic.twitter.com/UDtCBQtO6w
— Tv9 Gujarati (@tv9gujarati) August 20, 2024
રાજકોટના જન્માષ્ટમીના મેળાને લઈને તૈયારીઓ ચાલુ છે ત્યારે અગ્નિકાંડ બાદ પ્રથમ વખત આ મેળો યોજાવા જઈ રહ્યો છે. રાઈડ સંચાલકો દ્વારા SOPને લઈને અનેક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અનેક બેઠક બાદ રાજકોટનો મેળો યોજાવા જઈ રહ્યો છે.
આવતીકાલે ભાજપમાં બેઠકોનો ધમધમાટ છે. સવારે 9 કલાકે ભાજપ ધારાસભ્યદળની બેઠક મળશે. સત્રની કાર્યવાહી, બિલની ચર્ચાને લઈ બેઠક મળશે. બપોરે 12 કલાકે પ્રદેશ ભાજપની કાર્યશાળાની બેઠક મળશે. ગાંધીનગર ટાઉન હોલ ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાશે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યશાળાની બેઠક મળશે. બેઠકમાં સદસ્યતા અભિયાન અંગે ચર્ચા થશે.
વડોદરા: વિશ્વામિત્રી પાસે 19 વર્ષીય યુવકની હત્યા થઇ છે. પ્રેમ પ્રકરણની બાબતે ઘાતકી હુમલો થયાના અહેવાલ છે. તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા શખ્સોએ હુમલો કર્યો છે. ઘટનામાં અન્ય 3 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. બંને પક્ષે રાવપુરા પોલીસ મથકે સામસામે ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ: ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે. બે કાર વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ ત્રણના મોત થયા છે. અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ છે. રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો છે. કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની બીજા બાજુ જઈ સામેની તરફ આવતી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ. મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
દિલ્લી: અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે. ધોધમારને લીધે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થયું છે. દિલ્લીમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ ચોમાસામાં દિલ્લીમાં વરસાદે 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ભારે વરસાદની આગાહીએ લોકોની ચિંતા વધારી છે.
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય સત્ર યોજાયુ છે. આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે. આજે બપોરે 12:30 કલાકે બેઠક મળશે. ચોમાસું સત્રમાં ગૃહની કામગીરી અંગે ચર્ચા થશે. વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક મળશે.
વડોદરા: ડભોઈના શિમળી ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. ઈકો કારે બાઈક અને એક્ટિવાને અડફેટે લેતાં ભયાવહ અકસ્માત થયો છે. અકસ્માતમાં બે એક્ટિવા સવારનું ઘટનાસ્થળે મોત થયુ છે. બાઈક પર સવાર 3 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત સર્જનાર કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. શિનોર પોલીસે ઈકો કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે.
PM મોદી 21 અને 22 ઓગસ્ટના રોજ પોલેન્ડની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. છેલ્લા 45 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મંગળવારે સવારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજના ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધવામાં આવી હતી. આ સાથે જ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
અમદાવાદ: ઈસનપુરમાં સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી થઇ છે. ચોરે દાનપેટીની ઉઠાંતરી કરતાં દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. સ્થાનિકોએ ચોરી કરનાર ચોરને રંગેહાથે ઝડપ્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં ચોરીની ઘટનાથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઈસનપુર વિસ્તારમાં છેલ્લા 5 દિવસમાં 8થી વધુ ચોરીની ઘટના બની છે. ચોરીની વધતી ઘટનાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
Published On - 7:22 am, Tue, 20 August 24