વરસાદ ખેંચાતા સરકાર એકશનમાં, પાણી-ઘાસચારાને લઈને જિલ્લા પ્રભારી પ્રધાનોને સોંપી જવાબદારી

કેબિનેટ બેઠકમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આ વર્ષે થયેલા ઓછા વરસાદની સ્થિતિની મુખ્યમંત્રીએ ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. ઓછા વરસાદના કારણે આગામી સમયમાં પીવાના પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય તે માટે સંબંધિત તમામ વિભાગોને જરૂરી વ્યવસ્થા કરવા કડક સૂચના આપવામાં આવી છે.

વરસાદ ખેંચાતા સરકાર એકશનમાં, પાણી-ઘાસચારાને લઈને જિલ્લા પ્રભારી પ્રધાનોને સોંપી જવાબદારી
| Edited By: | Updated on: Sep 02, 2026 | 7:46 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, પાણી-ઘાસચારાની વ્યવસ્થા તેમજ ગુજરાતની આર્થિક પ્રગતિ સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધીને મહત્વની માહિતી આપી હતી.

કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓછા વરસાદની સમીક્ષા

કેબિનેટ બેઠકમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આ વર્ષે થયેલા ઓછા વરસાદની સ્થિતિની મુખ્યમંત્રીએ ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. ઓછા વરસાદના કારણે આગામી સમયમાં પીવાના પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય તે માટે સંબંધિત તમામ વિભાગોને જરૂરી વ્યવસ્થા કરવા કડક સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત ઓછા વરસાદની અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવા પ્રભારી મંત્રીઓને પણ વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.

GST કલેક્શનમાં ગુજરાતની મોટી છલાંગ

હર્ષ સંઘવીએ ગુજરાતની આર્થિક પ્રગતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, વિશ્વભરમાં આર્થિક પડકારોની સ્થિતિ વચ્ચે ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે. તેમણે આ આંકડાને ભારતીય અર્થતંત્રની મજબૂતાઈનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ નાગરિકોના હિતમાં GST દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ગુજરાતમાં GST કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાતનો GST ગ્રોથ ગયા મહિને 20 ટકા હતો, જે ચાલુ મહિને વધીને 28 ટકા થયો છે.

ગુજરાતના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં વધારો

કેબિનેટ બેઠક દરમિયાન રાજ્યના બંદરોની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાતના પોર્ટ સેક્ટરમાં કાર્ગો હેન્ડલિંગમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, માત્ર એક જ પોર્ટ દ્વારા 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો છે, જે અગાઉની સરખામણીએ સવા ગણો વધારો દર્શાવે છે.

બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં થયેલો આ વધારો ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ અને રાજ્યમાંથી નિકાસમાં થયેલા ઉછાળાનો સંકેત હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના પોર્ટ પર વધી રહેલી કાર્ગો મૂવમેન્ટને કારણે ગુજરાતની ઔદ્યોગિક અને નિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં પણ તેજી આવી હોવાનું સરકારનું માનવું છે.

પાણીથી લઈને અર્થતંત્ર સુધી કેબિનેટમાં મંથન

આમ, આજની કેબિનેટ બેઠકમાં એક તરફ ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પીવાનું પાણી અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો, તો બીજી તરફ GST કલેક્શન અને પોર્ટ પર વધેલા કાર્ગો હેન્ડલિંગના આંકડાઓના આધારે રાજ્યની આર્થિક પ્રગતિની પણ ચર્ચા કરવામાં આવી હતી.

Breaking News : અમરેલીનો ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ : ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે રૂ. 7.5 લાખ ચુકવવા માનવ અધિકાર પંચનો સરકારને આદેશ

Published On - 7:09 pm, Wed, 2 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.