ખેડૂતેનો સ્માર્ટ ફોન વસાવવા માટે સરકાર 40 ટકા સહાય આપશે, 15000 સુધીનો મોબાઈલ 9 હજારમાં મળી જશે
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોન ઉપલબ્ધ કરાવવાની યોજના અંતર્ગત 15 હજાર સુધીના મોબાઈલ ફોન પર 10 ટકા સહાય અપાતી હતી તે હવે વધારીને 40 ટકા કરી દેવામાં આવી છે.
રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) ખેડૂતોમાં મોબાઈલ ફોનની ખરીદીમાં મળતી સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અત્યારે જે 10 ટકા સહાય મળે છે તે વધારીને 40 ટકા કરવામાં આવશે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ અંગે સત્તાવાર પરીપત્ર જાહેર કરશે.
ખેતીમાં નવી નવી ટેક્નોલોજી અને નવી પદ્ધતિઓની માહિતી સ્માર્ટ ફોનમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકતી હોવાથી સરકાર ઇચ્છે છે કે દરેક ખેડૂત (Farmer) સ્માર્ટ ફોન વાપરતો થાય. આ માટે સરકારે 15 હજાર સુધીના મોબાઈલ ફોન (Mobile phone) માં 10 ટકા સહાય આપતી યોજના લાગુ કરી હતી. જોકે આ યોજનાને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નહોતો.
અત્યારે જે યોજના લાગુ છે તેમાં ખેડૂતને આ સહાય (assistance) મેળવવા માટે ઘણી મથામણ કરવી પડે છે જાત જાતના દસ્તાવેજ જમા કરાવવા પડે છે અને તેના બદલામાં વધુમાં વધુ 1500 રૂપિયાની સહાય મળે છે તેથી ખેડૂતો આ યોજનાનો લાભ લેવાનું ટાળે છે.
કેમ ખેડૂતો યોજનાનો લાભ લેતા નથી?
અત્યારે આ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે અને ત્યાર બાદ તેની પ્રિન્ટ કઢાવવી પડે છે. આ મંજૂરી હુકમ દર્શાવતી પ્રિન્ટ, 7/12 અને 8/અ નો દાખલો, જે મોબાઈલ ખરીદવાનો છે તેનું જીએસટીવાળું બિલ વગેરે જેવા લગભગ 12 દસ્તાવેજો આપવા પડે છે અને જો આ અરજી મંજૂર થાય તો 2 મહિને સહાયની રકમ ખેડૂતોના બેંકના ખાતામાં જમા થાય છે.
ખર્ચો અને મહેનત વધી જાય છે
આ બધી પ્રક્રિયામાં ખેડૂતોએ ઘણી મથામણ કરવી પડે છે અને કચેરીના ધક્કા ખાવા પડે છે. ઓનલાઈન અરજી કરવી અને ત્યારે બાદ તેની પ્રિન્ટ કઢાવવાનો ખર્ચો અને ત્યારે બાદ બીજા દસ્તાવેજો જમા કરવા પડતા હોવાથી ખેડૂતો આ યોજનાનો લાભ લેવાનું ટાળે છે.
પહેલાંથી યોજના હતી તેમાં સુધારો કરાયોઃ કૃષિમંત્રી
કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું કે ખેતીવાડી ખાતા દ્વારા આ યોજના પહેલાંથી જ જાહેર કરેલી છે. તેમાં સુધારો કરીને સહાયની રકમ વધારાઈ છે. આ યોજના અંતર્ગત 15 હજારની કિંમત સુધીનો મોબાઈલ ખરીદી શકાય છે. તેના પર જે 10 ટકા સહાય મળતી હતી તે વધારીને 40 ટકા કરી દેવાઈ છે, જેથી ખેડૂતોને રૂ. 6 હજાર સુધીની સહાય મળશે.
વધુમાં વધુ 6000 સુધીની સહાય મળશે
તેમણે જણાવ્યું કે જો ખેડૂત 15 હજારથી ઓછી કિંમતનો મોબાઈલ ખરીદે તે તેને તેની કિંમતના 40 ટકા સહાય મળશે અને જો ખેડૂત 15 હજારથી વધુ કિંમતનો મોબાઈલ ફોન ખરીદવા માગે તો તેમના વધુમાં વધુ 6 હજારની સહાય મળી શકશે.
અત્યારે વધુમાં વધુ 1500 રૂપિયા સહાય મળે છે.
ગુજરાતનાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદીમાં 10 % સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં તેને વધુમાં વધુ 1500 રૂપિયા મળતા હતા. જેમાં હવે વધારો કરી ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદી પર હવેથી 40% સહાય આપવામાં આવશે.
યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા સરળ બનાવાઈ
તેમણે જણાવ્યું કે અત્યારે 12 જેટલા દસ્તાવેજોની જરૂર રહે છે પરંતુ હવે તેમાં સરળતા કરવામાં આવી છે. હવે જે ખેડૂત મોબાઈલ ખરીદે તે મોબાઈની વિગત, બિલ અને 7/12નો દાખલો રજૂ કરે તેને આ સહાય ચૂકવી આપવામાં આવશે
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.95 લાખ કરોડનું રોકાણ કરશે
આ પણ વાંચોઃ ઊર્જા વિભાગની ભરતી મુદ્દે યુવરાજસિંહની CBI તપાસની માગ, 14મી જાન્યુઆરીએ બેરોજગાર પતંગોત્સવનું આયોજન