
ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન ભારેથી અતિ ભારે વરસાદથી પ્રભાવિત બન્યું હતું. ખાસ કરીને અમદાવાદ શહેરમાં નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ચલાવતા લોકો અને રસ્તા કિનારે ધંધો કરતા પરિવારોને વરસાદના કારણે ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. હવે આ અસરગ્રસ્તોને રાહત આપવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, તાજેતરમાં સુરતમાં આવેલા વરસાદી પૂરના કારણે થયેલા નુકસાન સામે રહાત આપવા સરકારે અપનાવવામાં આવેલા ઠરાવના આધારે હવે અમદાવાદમાં પણ વરસાદથી અસરગ્રસ્ત નાના વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને સહાય આપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સહાય પ્રક્રિયા પારદર્શક રહે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે વિગતવાર સર્વે હાથ ધરવામાં આવશે. સર્વેના આધારે નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાયની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
બીજી તરફ ભારે વરસાદ દરમિયાન પણ રાજ્યના ઉર્જા વિભાગે વીજ પુરવઠો જાળવી રાખવા માટે સતત કામગીરી કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ દરમિયાન રાજ્યના કુલ 1,997 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી, પરંતુ ઝડપી કામગીરીના કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજ સેવા ટૂંકા સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
વરસાદના કારણે માત્ર પાંચ જેટલા ટ્રાન્સફોર્મરને અસર થઈ હતી, જેને પણ તાત્કાલિક મરામત કરીને કાર્યરત બનાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં 3,400થી વધુ વીજ કર્મચારીઓ સતત મેદાનમાં રહીને સેવા આપી રહ્યા હતા. ભારે વરસાદ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ વીજ કર્મચારીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી તમામ સાવચેતીઓનું પાલન કરવામાં આવ્યું હતું.
વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોએ પાણી ઉતર્યા બાદ સ્વચ્છતા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી રોગચાળો ફેલાવાની શક્યતા ઘટાડી શકાય.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવામાં આવી છે. તબીબી ટીમો દ્વારા આરોગ્ય ચકાસણી, જરૂરી દવાઓનું વિતરણ તેમજ ચેપી રોગોથી બચવા માટે જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે વરસાદથી અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે રાહત મળે અને જનજીવન સામાન્ય બને તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે.