સમગ્ર દેશ અને રાજયમાં કોરોના વાઈરસ બેકાબુ બન્યો છે. તેવી સ્થિતી સૌરાષ્ટ્રના તમામ જીલ્લામાં પણ જોવા મળી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગરની હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ છે. મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી નથી. જામનગરમાં છેલ્લા બે સપ્તાહથી કોરોના બેકાબુ બન્યો છે અને સતત 7 દિવસથી 300થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જે સ્થિતીને અનુલક્ષીને રાજય સરકાર દોડી આવી.
જામનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, આરોગ્યમંત્રી નીતીન પટેલ સહિતનો કાફલો જામનગર પહોંચ્યા અને સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદસભ્ય પૂનમ માડમ, આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિ, કલેકટર રવિશંકર તેમજ હોસ્પિટલના સીનિયર તબીબો સહીતના સભ્યો સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરીષદમાં જાહેર કર્યુ કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ જામનગર અને રાજકોટમાં હોવાથી અન્ય જીલ્લામાંથી દર્દીઓ આવી રહ્યા છે. તેથી જામનગરમાં જરૂરીયાત હશે તેવી તમામ સુવિધાઓ પુરી પાડવા માટે સરકાર કટીબદ્ધ છે.
સાથોસાથે અન્ય જીલ્લામાં જરૂરી સુવિધા પુરી પાડવામાં આવશે. જેના કારણે અન્ય જીલ્લાના દર્દીઓની સંખ્યા ઘટી શકે. જેમાં મોરબી અને દેવભુમિદ્વારકાના ખંભાળીયામાં વધુ સવલતો ઉભી કરાશે. જેમાં ખંભાળીયામાં આરટીપીસીઆર કોરોના ટેસ્ટ માટેની લેબ કાર્યરત કરાશે. તેમજ 200 બેડની સુવિધા કોવિડ હોસ્પિટલ માટે કરાશે. આ ઉપરાંત જામનગરમાં વધુ 60 વેન્ટીલેટર આપવામાં આવશે અને 370 બેડની વધુ સુવિધા ઉપલબ્ધ કરાશે.
આ પણ વાંચો: સરકાર આટલું કરે હોસ્પિટલોમાં નહીં થાય એમ્બ્યુલન્સની લાઈનો, આ રહી તેની સાબિતી ભાવનગરમાં
Published On - 7:05 pm, Sat, 17 April 21