ગીર સોમનાથ (Gir somnath) જિલ્લાના ઉનામાં આવેલો રાવલ ડેમ છલકાઈ ઉઠ્યો છે અને ડેમ છલકાઈ જતા ડેમના (Dam) બે દરવાજા 0.076 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ડેમના પટમાં આવતા 18 જેટલા ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ રાવલ નદીના (Raval River) પટમાં ન જવા પણ તાકીદ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગીર સોમનાથ તેમજ ગીરના જંગલમાં સતત વરસાદને કારણે જિલ્લાની નદીઓ છલકાઈ ઉઠી છે.
ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી છે, તેના કારણે ડેમમાં પાણીની આવક વધતાં ડેમ તેમના રૂલ લેવલ 148.555 પહોંચ્યો હતો. આ લેવલને ડેમનો એક દરવાજો 0.076 મીટર ખોલવામાં આવ્યો હતો. તેમાં પાણીની આવકમાં વધારો થતાં આજે વધુ એક બીજો દરવાજો ખોલવામાં આવ્યો છે.
જિલ્લાના પાતાપુર, ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ગરાળ, મોઢા, સંજવાપુર, માણેકપુર, સનખડા, ખત્રીવાડા, ચિખલ કુબા, જસાધાર, ધોકડવા, મોહબતપરા, કાધી, મોટા-સમઢીયાળા્, પડા-પાદર ગામને સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં માલ ઢોર ન લઈ જવા તાકીદ કરવામાં આવી છે. ડેમમાં પુષ્કળ માત્રામાં પાણી છોડાયું હોવાથી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે કે નદીના પટમાં સ્થાનિકોએ અવરજવર ન કરવી તેમજ ઢોર ચરાવવા માટે નદીના પટમાં ન લઈ જવા.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ- સોમનાથ, તાલાલા, સુત્રાપાડા કોડીનાર, ઉના અને ગીરગઢડામાં અવિરત મેઘમહેર થઈ રહી છે. જેમાં ગઈકાલે સમગ્ર દિવસમાં વેરાવળ- સોમનાથમાં 2.5 ઈંચ, તાલાલામાં 2 ઈંચ, સુત્રાપાડામાં 3 ઈંચ, કોડીનારમાં 2.5 ઈંચ, ઉનામાં 1 ઈંચ અને ગીરગઢડામાં 1.5 ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારથી મેઘાવી માહોલ સાથે છ તાલુકાઓમાં ઝાપટા વરસી રહ્યા છે. બપોર સુધીમાં સાર્વત્રિક એક ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સતત વરસાદી માહોલના લીધે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ છે.
જુનાગઢ સહિત સમગ્ર પંથકમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઓઝત નદી અને ભાદર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ નદીઓમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાતા પૂરના પાણી ઘેડ પંથકના ગામોમાં ઘુસ્યા છે જેમા અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ છે અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ઘેડ પંથક નીચાણવાળો વિસ્તાર છે, અહીં ઓઝત, ભાદર અને ઉબેર સહિતની ત્રણેય નદીઓના પાણી ઘેડ પંથકમાં જાય છે જેના કારણે દર વર્ષે ઘેડમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાય છે. આ અંગે તંત્રને ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે. જેમા નદીઓ ઉંડી કરવાની અને નદીઓમા પાળા વધુ ઉંચાઈએ બાંધવાની અનેકવાર માગ કરાઈ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી અને દર વર્ષે ચોમાસાએ પૂરના પાણી ગામમાં અને ખેતરોમાં ફરી વળે છે
Published On - 7:05 pm, Thu, 18 August 22