પ્રખ્યાત જ્યોતિર્લિંગ સોમનાથ (Somnath) મંદિર નજીક 30 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય પાર્વતી મંદિર નિર્માણ પામશે. આ મંદિર નિર્માણ પૂર્વે સ્તંભ પૂજન કરવામાં આવ્યું હતું. સોમનાથ ખાતે મુખ્ય મંદિરના પ્રાંગણમાં શ્રી પાર્વતી મંદિરનું (Parvati mandir) નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર સફેદ આરસમાંથી ( White Marble) બનાવવામાં આવશે. આ નૂતન પાર્વતી મંદિર માટે દાનવીર ભીખુભાઈ ધામેલીયા પરીવાર તરફથી દાન મળ્યું છે. મંદિરમાં કુલ 44 સ્તંભ બનશે, જેને માર્બલમાં સુંદર કોતરણી કામ કરીને મઢવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા વર્ચ્યૂઅલી પાર્વતી મંદિરની શિલાન્યાસ વિધિ ગત શ્રાવણ માસમાં કરી હતી.
આજરોજ સ્તંભ વિધિ મુખ્ય પૂજારી વિજય ભટ્ટ અને બ્રાહ્મણો દ્વારા સવારે 9-00 કલાકે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય યજમાન ભીખુભાઇ ધામેલીયા પરિવાર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રો. જે ડી પરમાર પ્રવિણ લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે સોમનાથ મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓ માટે વિવધ આકર્ષણો તેમજ સોમનાથની આસપાસ આવેલા દેવાલયોમાં પણ વિશેષ સુવિધા વધારવામાં આવી રહી છે. હાલમાં શ્રાવણ માસમાં સતત અહીં ભક્ત મહેરામણ ઉમટેલો રહે છે, ત્યારે મંદિર તંત્ર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે સોમનાથ મંદિર નજીક શક્તિ સ્વરૂપા પાર્વતી મંદિર નિર્માણ પામતા ભક્તજનો મહાદેવ અને પાર્વતીના અલભ્ય દર્શનનો લાભ લઈ શકશે.
સદીયો પહેલા સોમનાથ (Somnath) અને પાર્વતીજી બન્ને મંદિરોને લૂંટી તોડી પડાયા હતા. આથી કાળક્રમે સોમનાથ મહાદેવનું મંદિર નવનિર્માણ પામ્યું, પરંતુ માતા પાર્વતીનું મંદિર નિર્માણ પામ્યું નહોતું, આથી હવે ખાતમુર્હુત બાદ તેના સ્તંભનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે, તેમણે ગત વર્ષે સોમનાથ ખાતે 4 પ્રોજેકટનું વર્ચ્યુલ લોકાર્પણ કર્યું હતું. જૈ પૈકી સોમનાથ મહાદેવ મંદિર અને અરબી સમુદ્રની વચ્ચે બનાવેલા વોક વેને તેમણે ખૂલ્લો મૂક્યો હતો. સાથે જ જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર, જે લગભગ 400 વર્ષથી વધુ જૂનું મંદિર, જેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. અહલ્યા બાઇ મંદિરના નવીનીકરણને લઇ સ્થાનિકો ઘણા ખુશ થયા હતા. જેટલું જ સોમનાથ મહાદેવ મંદિરનું મહત્વ છે તેટલું જ અહીં અહલ્યા બાઈ મદિરનું મહત્વ પણ છે.
તો પ્રધાનમંત્રી મોદીએ પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરની ભવ્યતાની યાદ અપાવતા મ્યુઝિયમનું પણ લોકાર્પણ કર્યું હતું . લગભગ 1955ની આસપાસ સોમનાથ મહાદેવ મંદિર પરિસર આસપાસ થયેલા ખોદકામમાં સદીઓ પહેલા ધ્વંશ થયેલા સોમનાથ મંદિરના અવશેષ મળ્યા હતા, જે અવશેષોની અહીં સાચવણી થઈ રહી છે. સોમનાથ મહાદેવ મંદિરના અવશેષોની સાચવણી થઈ શકે સાથે જ લોકો તેને જોઈ શકે તેના વિશે જાણી શકે તે હેતુથી ભવ્ય મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે.
વિથ ઇનપુટ,યોગેશ જોષી, ગીર સોમનાથ
Published On - 11:15 pm, Sun, 7 August 22