વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં ફરી ફેરફાર, હવે 29 મેના બદલે હવે 28 મે ના રોજ ગુજરાત આવશે
ગુજરાત PMO તરફથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના ગુજરાત પ્રવાસની તારીખેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તેઓ 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હોવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ તેમાં ફેરફાર કરાયો છે અને તેઓ એક દિવસ વહેલા એટલે કે 28મી તારીખે ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવશે. 28 મે શનિવારના રોજ પીએમ મોદી સવારે ગાંધીનગરમાં સહકાર મહા સંમેલનને સંબોધશે ત્યાર બાદ સાંજે રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. દરમિયાન પીએમ મોદી 2 લાખ પાટીદારોને સંબોધન કરશે તેવી માહિતી મળી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને ભાજપ (BJP) સજ્જ બની ગયુ છે. ભાજપે એક પછી એક ગુજરાતના દરેક વિસ્તારની વોટબેંક મજબૂત કરવાનું આયોજન પણ બનાવી લીધુ છે. ભાજપના સ્થાનિક નેતાઓ તો પ્રચાર પ્રસારના કામે લાગી જ ગયા છે. સાથે જ કેન્દ્રીય નેતાઓ અને મહાનેતાઓના ગુજરાતમાં સતત પ્રવાસ થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં એક પછી એક મુલાકાત વધારી રહ્યા છે. હવે 28 મેએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. આ વખતના પ્રવાસમાં વડાપ્રધાન રાજકોટની મુલાકાત લેશે.
ગુજરાતનો ગઢ કબજે કરવા ભાજપે કમર કસી છે. ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર ગુજરાતને પ્રવાસે આવી રહ્યા છે. આગામી 28 મેના રોજ પીએમ મોદી રાજકોટની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ આટકોટ પાસે બનેલી અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી 200 બેડની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને ખુલ્લી મુકશે. ઉપરાંત પીએમ મોદી બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.
ગુજરાત PMO તરફથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઇને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનુ માર્ગદર્શન આપતા રહેશે.
વડાપ્રધાન મોદી આ પહેલા 11 માર્ચે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની શરુઆત કરાવી હતી. સાથે જ ખેલ મહાકુંભનો (Khel Mahakumbh)પ્રારંભ કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પછી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેઓ 18થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે સાંજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમો કર્યા હતા.