ગુજરાત (Gujarat) સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે,મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં(Cabinet) મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રીએ મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે રાજ્યના યુવાનો સૈન્યમાં જોડાઈને પોતાની કારકીર્દિ ઘડીને દેશ સેવામાં જોડાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા પાલનપુર અને મહેસાણા ખાતે નવી સૈનિક સ્કૂલ(Sainik School) શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.જેમાં પાલનપુર ખાતે બનાસ ડેરીમાં અને મહેસાણા ખાતે દૂધસાગર ડેરીમાં આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવશે. આ સૈનિક સ્કૂલમાં CBSC અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય અને સૈનિક તાલીમ આપવામાં આવશે. જેનો લાભ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના હજારો યુવાનોને થશે.
પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનુ પ્રત્યેક બાળક શિક્ષણ મેળવે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા જાગૃત થાય તે આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન થકી રાજ્યમાં પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે રાજ્યમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.23 થી 25 મી જૂન-2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તેમજ મંત્રીમંડળના સભ્યો, સંસદઓ, ધારાસભ્યઓ, આઈએએસ તથા આઈપીએસ સહિતના ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા મથકોએ કાર્યક્રમ યોજાશે.
આ દરેક મહાનુભાવો દિવસની ત્રણ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ ભૂલકાઓને પ્રવેશ અપાવશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રકલ્પોની ક્લસ્ટર કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમીક્ષા કરવામાં આવશે. જેમાં બાળકો નામાંકનની સ્થિતિ, ઓનલાઈન હાજરીની સમીક્ષા, ગુણોત્સવ-2.0ના પરિણામોની સમીક્ષા, એકમ કસોટી અને સત્રાંત કસોટીની સમીક્ષા, લર્નિંગ લોસ સંદર્ભે સમયદાનમાં થયેલ કામગીરી, કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન/ ઓફલાઇન કામગીરી, શાળાઓ તથા કલસ્ટરના ડ્રોપ આઉટની સમીક્ષા, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાશે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં લીંબાયત, વરાછા, જશદણ, બગસરા અને પાલીતાણા ખાતે બિન આદિજાતિ વિસ્તારમાં નવી સરકારી કોલેજો શરૂ કરાશે. જેમાં લીંબાયત ખાતે નવી આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજ, વરાછા, જશદણ ખાતે વિજ્ઞાન કોલેજ અને પાલીતાણા ખાતે આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ થશે. તે ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં સંતરામપુર ખાતે વિજ્ઞાન પ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે. જયારે કાછલ, ડેડીયાપાડા, ખેરગામ ખાતે વિજ્ઞાન પ્રવાહની અને ઉમરપાડા ખાતેની કોલેજોમાં વાણિજય અને વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજયમાં યોજાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત જનભાગીદારી થકી ચાલુ વર્ષે કુલ 18,790 કામોનું આયોજન છે તે પૈકી આજ સુધી 17,880 કામો હાથ ધરી 95 ટકા લક્ષ્યાંક સિદ્ધ કરી દેવાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ કામો ચાલુ વર્ષે થયા છે. જેના થકી 20.48 લાખ માનવદિન રોજગારીનુ નિર્માણ કરાયુ છે. જેમા 10,190 ચેક ડેમ અને તળાવો ઉડા કરાયા છે અને 487 નવા તળાવો તથા ચેકડેમનુ નિર્માણ કરાયુ છે. આ અભિયાન અંતર્ગત જળસંગ્રહમાં 23,000 લાખ ઘન ફૂટનો વધારો થશે તે ઉપરાંત 23,000 લાખ ઘન ફૂટ ખોદકામમાંથી ખેડૂતો માટે માટીનો વપરાશ થયો છે.
મંત્રીએ રાજ્ય સરકારની સિંધુ દર્શન યોજના અંગે માહિતી આપતા જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ-લદ્દાખ ખાતે સિંધુ નદીના દર્શન માટેની સામાન્ય રીતે જૂન માસમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતમાં વસવાટ કરનાર યાત્રિક દીઠ રૂ. 15,000 ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 751 યાત્રિકોને આર્થિક સહાય પેટે કુલ રૂ.112.65 લાખ ચૂકવવામાં આવ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં આવેલા યાત્રાધામોના સિનિયર સિટીઝન સરળતાથી દર્શન કરી શકે તે અર્થે ગુજરાત સરકારે ‘ શ્રવણ તીર્થ દર્શન યોજના’ અમલમાં મુકેલી છે.