ગુજરાત હાઇકોર્ટે બેજવાબદાર અધિકારીઓ સામે વ્યક્ત કરી નારાજગી, રાજ્ય સરકારને કરી આ તાકીદ
ગુજરાત રાજ્યની વડી અદાલતના(Gujarat Highcourt) મુખ્ય ન્યાયાધીશ ની ખંડપીઠ સમક્ષ જુદા જુદા કિસ્સા વચ્ચે જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાને કારણે મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર એ રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે અધિકારીઓ મામલે હવે રાજ્ય સરકારે જાગી જવાની જરૂર છે
ગુજરાત (Gujarat) હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારના અધિકારીઓના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટના( Highcourt) હુકમનું પાલન ન કરનાર અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાની તૈયારી પણ ખંડપીઠે દર્શાવી છે. મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ કોર્ટના હુકમ તિરસ્કારની અરજી એટલે કે કન્ટેમ્પટ ઓફ કોર્ટની(Contempt Of Court) સુનાવણી દરમિયાન કેટલાક કિસ્સાઓમાં વિભાગની બેદરકારી સામે આવતી હોય છે. જેને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટ હુકમનો તિરસ્કાર થવા મામલે વિવિધ વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ટકોર કરી કે, હવે કન્ટેમ્પટની અરજીમાં રાજ્ય સરકારને નોટિસની સાથે સંબંધિત અધિકારીને પણ હાજર રાખવા માટે હુકમ કરશે અને બિન જામીન પાત્ર વોરંટ પણ ઈશ્યુ કરશે.
એડવોકેટ જનરલ ઓફિસને પણ જાણ કરવામાં આવી
ભૂતકાળમાં આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જ્યાં સંબંધિત વિભાગને કોર્ટનો ઓર્ડર ન મળવાનું કારણ હાથ ધરીને હુકમનું પાલન ન થતું હોવાની દલીલો કરવામાં આવી હતી. જોકે હવે કોર્ટના ઓર્ડર સંબંધિત વિભાગ સુધી સરળતાથી પહોંચી શકે છે, તેવી વ્યવસ્થા થઈ છે, જે અંગે એડવોકેટ જનરલ ઓફિસને પણ જાણ કરવામાં આવી છે.
અધિકારીઓ મામલે હવે રાજ્ય સરકારે જાગી જવાની જરૂર
મહત્વનું છે કે આજે ગુજરાત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ની ખંડપીઠ સમક્ષ જુદા જુદા કિસ્સા વચ્ચે જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાને કારણે મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર એ રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે અધિકારીઓ મામલે હવે રાજ્ય સરકારે જાગી જવાની જરૂર છે અને કડક પગલાં ભરવાની આવશ્યકતા હોય તો તે પણ કરવાની જરૂર છે ત્યારે તેની સામે રાજ્ય સરકાર દ્વારા પણ હકારાત્મક અભિગમ રાખીને આગામી દિવસોમાં યોગ્ય સુધારા કરવા માટે જણાવવામાં આવ્યું.