Gujarat Rain NEWS : દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય-ઉત્તર ગુજરાતમાં આવી પહોંચી મેઘસવારી, જાણો કયાં કેટલો પડયો વરસાદ ?
જામનગર (jamnagar) જિલ્લાના ધ્રોલ તાલુકામાં એક કલાકમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે ધ્રોલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઇ હતી.
Gujarat Rain NEWS : રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢના (junagadh) માંગરોળમાં મેઘરાજા મહેરબાન થયા હતા. અહીં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના (Amreli) કુંકાવાવ અને જામનગરના ધ્રોલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ તરફ યાત્રાધામ પાવાગઢ અને બહુચરાજીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તો વડોદરાના ડભોઈમાં પણ ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા.
પંચમહાલની યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સમી સાંજે ભારે પવન સાથે પાવાગઢમાં વરસાદ ખાબક્યો હતો. અહીં પાવાગઢ મંદિરથી તળેટી સૂધી પગથીયા પર વરસાદી પાણીનો ધોધ વહ્યો હતો. વરસતા વરસાદે ભાવિકોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. અને, પાવાગઢવાસીઓમાં ખુશાલીનો માહોલ છવાયો હતો.
સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. હિમતનગર અને પ્રાંતિજના ત્રણ ગામમાં અંધારપટ સાથે વરસાદ વરસ્યો. ભારે પવનના કારણે હિંમતનગરના આકોદરામાં 10થી વધુ ઘર તેમજ એનિમલ હોસ્ટેલના પતરા ઉડ્યા હતા. તો પાંચ જેટલા વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા હતા. આ તરફ છાદરડામાં બે વીજપોલ ધરાશાયી થતા વીજળી ગૂલ થઈ ગઈ હતી. જ્યારે પતરું વાગતા બે પશુના મોત થયા હતા.
જૂનાગઢ જિલ્લાના માંગરોળના કારેજમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ખેડૂતોએ વરસાદનું પાણી કુવામાં રીચાર્જ કર્યું હતું. જોકે, વરસતા વરસાદ સાથે વીજકાપની સમસ્યા શરૂ થઇ હતી.
વડોદરા જિલ્લામાં પણ ઉકળાટ બાદ વરસાદના અમી છાંટણા પડયા હતા. જેમાં જિલ્લાના ડભોઈ પંથકમાં ભારે વરસાદ નોંધાયો હતો. અહીં, ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યું હતું. શિનોર ચાર રસ્તા, મહુડી ભગોળ, વડોદરી જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં એક કલાકમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે ધ્રોલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઇ હતી. માર્કેટ યાર્ડમાં કપાસ સહિતના પાકને વરસાદથી નુકશાન થયું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાયું હતું
અમરેલી જિલ્લામાં વાવણીટાણે વરસાદ પાછો ખેંચાતા ધરતીપુત્રો મુસીબતમાં મુકાયા છે. જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા અને તેની આસપાસ આવેલા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો કોરાધાકોર જોવા મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કોરોના અને તાઉતે વાવાઝોડા જેવી આફતોનો સામનો કરી માંડ માંડ ખેડૂતો બેઠા થયા છે. ત્યારે હવે મેઘરાજા પણ તેમની કૃપા વરસાવવામાં વિલંબ કરતા જગતના તાત ચિંતાના વાદળોમાં ઘેરાયા છે. વરસાદનો વર્તારો મેળવી આગોતરું વાવેતર કરનારા ખેડૂતો પણ નિરાશ જોવા મળી રહ્યા છે.. અને મોંઘા ભાવનું બિયારણ વેડફાવાની ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગે હજુ વરસાદની આપી આગાહી, જુઓ આ વીડિયો