મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) માર્ગદર્શનમાં રાજયની ઔદ્યોગિક વસાહતોમાં (Industrial estates) રોજગારી મેળવતા શ્રમયોગીઓ (Laborers) અને તેમના આશ્રિતો માટે એક અભિનવની પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે. સરકારના માર્ગ દર્શન હેઠળ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી યોજનાથી શ્રમયોગીઓને તેમના રહેઠાણની ચિંતા નહીં રહે.
ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ માટે ચિંતા કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ શ્રમયોગીઓની ચિંતા કરીને શ્રમનિકેતન યોજના અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. શ્રમયોગીઓના જીવનધોરણને ધ્યાને લેતા તેમની રહેવા માટેની મુશ્કેલી આવી હોસ્ટેલથી મહદઅંશે નિવારી શકાશે.
ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતન હોસ્ટેલનો આરંભ થશે. જે માટે સાણંદ જી.આઇ.ડી.સી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.
શ્રમનિકેતન યોજના માટેના આ એમ.ઓ.યુ પર સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અજીતભાઈ શાહ અને રાજ્ય સરકાર વતી વેલ્ફેર કમિશ્નર દિગંત બ્રહ્મભટે હસ્તાક્ષર કર્યા હતા. આ MoU પર હસ્તાક્ષર થવાના અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્મા, લેબર કમિશનર અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા.