ગુજરાત(Gujarat) સરકારે રાજ્યના આરોગ્ય અને પંચાયત વિભાગના કર્મીઓ(Health Worker) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં તેમના પગારમાં(Salary) માસિક ચાર હજાર રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 42 દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW,FHS,MPHWઅને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી આવતી કાલથી જ ફરજ પર હાજર થઈ જવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીના સભ્યોએ આ કર્મચારી મંડળના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજી છે અને તંદુરસ્ત સંવાદ સાથે વ્યાજબી માંગણીઓ પણ કલાકો સુધી ચર્ચાઓ પણ થઈ છે.
આજે નાણાં મંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથાર તેમજ પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂપિયા ચાર હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ કર્મીઓને 130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને 8 કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રીએ ઉમેર્યું કે, તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા 15 જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી ત્રણ દિવસમાં થઈ જશે
Published On - 9:12 pm, Thu, 22 September 22