Namo@71 : વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં ગુજરાત BJP દ્વારા 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરીનું લક્ષ્ય, 15 બાળકોની સર્જરી પૂર્ણ
ગુજરાત સહિત આઠ રાજ્યોના 71 બાળકોની હાર્ટ સર્જરી માટે સત્યસાઈ હોસ્પિટલને પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
GANDHINAGAR : આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો 71મો જન્મદિવસ છે. આજના દિવસે રાજ્ય તેમજ દેશભરમાં મેગા રસીકરણ અભિયાન તેમજ જનસુખાકારી તેમજ આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના બક્ષીપાંચ મોરચા અને સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. લગભગ 15 જેટલા ભુલકાઓની હાર્ટ સર્જરી હોસ્પિટલમાં થઈ ચૂકી છે અને આગામી એક મહિનામાં તમામ 71 બાળકોની હાર્ટ સર્જરી કરી આપવામાં આવશે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સત્ય સાઈ હોસ્પિટલમાંથી હૃદયરોગની સારવાર મેળવી સાજા થયેલા બાળકોને રિલીવ લેટર આપી તંદુરસ્ત ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પ્રતીકાત્મક ઉજવણી સત્ય સાઈ હોસ્પિટલમાંથી સાજા થઇ ઘરે પરત ફરી રહેલા બાળકોની સાથે મંચ પર કેક કાપીને કરવામાં આવી હતી.ગુજરાત સહિત આઠ રાજ્યોના 71 બાળકોની હાર્ટ સર્જરી માટે સત્યસાઈ હોસ્પિટલને પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાના બાળકો- ભૂલકાઓની હાર્ટ સર્જરી માટે કોઇ રાજકીય પક્ષ કે સંગઠન દ્વારા રૂપિયા 25 લાખની માતબર રકમ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હોય તેવી આ વિરલ અને ઐતિહાસિક ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મદિવસે ભાજપા પ્રદેશ બક્ષીપંચ મોરચાએ જનસેવાનું અનોખું કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, તેમનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી હોય તે દેશના ઉજ્વળ ભવિષ્ય માટે જરૂરી છે. 71 બાળકોની હૃદયની બિમારી દુર કરવાનો પ્રદેશ બક્ષીપંચ મોરચાનો આ ભગીરથ પ્રયાસ કાબીલે દાદ છે.
મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય અંગે હર હંમેશ ચિંતિત રહી છે. બાળકોનું સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત થાય તે માટે છેલ્લા બે દાયકામાં સરકારે અનેક પગલા ભર્યા છે.
તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ થકી ગુજરાત સરકારે રાજ્યના અનેક જરૂરતમંદ બાળકોની શારીરીક તકલીફ દુર કરી છે. કોકીલીયર ઇમ્પ્લાન્ટ જેવા ઓપરેશનથી જન્મજાત મૂક-બધીર બાળકોને વાચા આપી છે.
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, લોકશાહી શાસનમાં ચૂંટાયેલી સરકારોની એ નૈતિક જવાબદારી બને છે કે નાગરિકોની-લોકોની આરોગ્ય સુખાકારીની સાર-સંભાળ અને સ્વસ્થતાની બાબતોને અહેમિયત આપવામાં આવે. ગુજરાત સરકારે નાગરીકોને સુદ્રઢ આરોગ્ય માળખુ આપવામાં ક્યારેય પાછી પાની કરી નથી.મુખ્યપ્રધાને ગુજરાત સરકાર જનતા જનાર્દનની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે અદ્યતન અને વર્લ્ડ કલાસ સુવિધાઓ પ્રદાન કરતી રહેશે તેમ પણ આ તકે જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભા.જ.પા ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ, શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને હૃદયરોગની સારવાર મેળવી રહેલા બાળકોના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.