ગાંધીનગર (Gandhinagar)માં આયોજિત શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગેના ઇન્ટરનેશનલ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના શીપીંગ, પોર્ટસ, વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ તથા રાજ્યના શિક્ષણ સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા નોર્વે અને ડેન્માર્ક રાષ્ટ્રો સહિત ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ આ ઇન્ટરનેશનલ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) કહ્યું કે, દેશનો સૌથી લાંબો 1600 કિ.મીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલું જ નહિ, મેરિટાઇમ સેક્ટરમાં પ્રાચીન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ અને સુદીર્ધ ઇતિહાસ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું (Green Ship Recycling) હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે. દેશનું 40 ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરો 21-22 ના વર્ષમાં 405 મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું છે તેનો પણ મુખ્યમંત્રીએ ગૌરવ સાથે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળ ભારતના શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપીંગ ઉદ્યોગોના વિકાસનો અમૃતકાળ બનશે અને આ ઇન્ટરનેશનલ સેમિનાર તેમાં ઉદ્દીપક બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સુગ્રથિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને કનેક્ટીવિટીના પરિણામે લીડસ ઇન્ડેક્સમાં ત્રણ વર્ષથી ગુજરાત પ્રથમ રહ્યું છે.
આ ઉપરાંત પી.એમ. ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે. દેશના ગ્રોથ એન્જીન એવા ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગોને વિકસાવવાનો પૂરો અવકાશ મળી રહે તેમ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પહેલાં શિપ બ્રેકીંગનો જમાનો હતો હવે શીપ-રિસાયક્લિંગ અને ગ્રીન શિપ રિસાયક્લિંગનો સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને લગતો શિપ રિસાયક્લિંગ એકટ-2019 ઘડીને દેશમાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના દ્વાર ખોલી આપ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જેમ શિપ-બ્રેકીંગ, રિસાયક્લિંગ ક્ષેત્રે ગુજરાતના અલંગનો દબદબો છે તેવી જ રીતે ગ્રીન શિપ રિસાયક્લિંગમાં પણ અલંગ અગ્રેસર રહેશે.
કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે એ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજન માટે ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાત 1600 કિ.મી દરિયા કિનારા સાથે વ્યવસાયિક ક્ષેત્રે ભારતનો ગેટ-વે છે અને ગુજરાત હવે વિશ્વનું પસંદ કરેલ દરિયાઇ સ્થળોમાંનું એક છે. તે 40 ટકા ભારતના કાર્ગોથી વધુ સંભાળે છે અને પોર્ટ ક્ષેત્રના ખાનગીકરણ માટે ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત બધા મુખ્ય પોર્ટ-આધારિત વેપાર માર્ગો અને વિશ્વના મુખ્ય વેપાર કેન્દ્રોને બહેતર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી સાથે સારી રીતે જોડાયેલું છે, આમ વિશાળ આંતરરાષ્ટ્રીય વેપાર તકો પ્રદાન કરે છે.
શિપિંગના ડાયરેકટર જનરલ અમિતાભકુમારે કહ્યુ હતું કે, જો શિપિંગ નહીં હોય તો અડધું વિશ્વ ફ્રીઝ થઈ જશે. ગ્લોબલ સપ્લાય ચેઇનને મેઇન્ટટેઇન કરવા માટે વિશ્વને શિપ્સની જરૂર છે. ભારતમાં પણ લગભગ 95 ટકા જેટલો વ્યાપાર શિપિંગ (વહાણો) દ્વારા થતો હોય છે. દરિયાના મોજાઓ ક્યારેય થાકતા નથી, તે સતત વહાણો પર અથડાયા કરતા હોય છે, અને તેનો અર્થ એ છે કે આ વહાણોને સતત રાઉન્ડ ધ ક્લોક જાળવણી અને નિયમિત રિપેરિંગની જરૂર પડે છે એટલે જ જરૂરી છે કે વહાણોનું સમયસર એસેસમેન્ટ કરવામાં આવે છે અને દરિયાના મોજાથી તેની મજબૂતીને થતા નુકસાનનું સમયાંતરે એનાલિસિસ કરવામાં આવે, કારણકે, દરરોજની મુસાફરી ખેડતા વહાણોને થયેલા નુકસાનની આકારણી ન થાય તો એવા વહાણોમાં ભવિષ્યની દરિયાઇ સફર કરવી સુરક્ષિત નથી.