દિપાવલી પર્વ અને નૂતનવર્ષની મુખ્યપ્રધાને શુભેચ્છા પાઠવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દિવાળીના તહેવારો-ઉત્સવોમાં સકારાત્મકતાની દીપ જ્યોત ઝળહળાવીએ, સાથે જ આપણી શક્તિ-ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’નો સંકલ્પ સાકાર કરીએ, તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રત્યેક ગુજરાતી માટે દિપાવલી અને નૂતનવર્ષ પ્રકાશ પર્વ સાથે વિકાસ પર્વ બને.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ દિપાવલી શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજજીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે.
તેમણે દિપાવલીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી છે. મુખ્યમંત્રીએ વિક્રમ સંવત ર૦૭૮નું નૂતનવર્ષ સૌ માટે સમૃદ્ધિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, આપણી શક્તિ, ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ નૂતનવર્ષે સૌ સાથે મળીને સાકાર કરીયે. મુખ્યમંત્રીએ સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં નક્કર કદમ માંડીને ગુજરાત વિકાસના રોલ મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થયું છે તે પરંપરા સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ તથા પ્રયાસથી વિક્રમ સંવત ર૦૭૮ના નૂતનવર્ષમાં પણ જળવાય અને ગુજરાત તથા ગુજરાતીઓ સામાજિક, આર્થિક, વાણિજ્યીક તમામ ક્ષેત્રે અગ્રેસર રહે તેવી અભિલાષા દર્શાવી છે.
આ પણ વાંચો : અમદાવાદ : ગુરૂકુળ સ્વામી નારાયણ મંદિર ખાતે ચોપડા પુજનનું આયોજન, ધંધા-રોજગારમાં વૃદ્ધિની સૌ-કોઇની કામના
આ પણ વાંચો : PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા : ‘પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લઈને આવે’
Published On - 12:14 pm, Thu, 4 November 21