મૃતક Corona વૉરિયર્સના પરિવારજનો આર્થિક તંગીમાં, સહાય મેળવવા કચેરીઓના ધક્કા ખાવા મજબૂર
Coronaના કપરા કાળમાં ડ્યૂટી કરનાર રાજ્ય સરકારના કર્મચારીઓના પરિવારજનોની હાલત કફોડી બની છે. પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું
કોરોના (Corona) ના કપરા કાળમાં ડ્યૂટી કરનાર રાજ્ય સરકારના કર્મચારીઓના પરિવારજનોની હાલત કફોડી બની છે. પરિવારના મોભી ગુમાવવાની ખોટ તો નહીં પુરાય પરંતુ પોતાનું ગુજરાન ચલાવવું પણ તેમના માટે મુશ્કેલ બની રહ્યુ છે અને હવે તેઓ આર્થિક સહાય મેળવવા માટે કોર્પોરેશન ઓફિસના ધક્કા ખાવા મજબૂર બન્યા છે.
રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો જે પૈકી કોરોના સાથે સંકળાયેલી કોઇ પણ કામગીરી દરમિયાન રાજ્ય સરકારનો કોઇ પણ કર્મચારી કોરોના સંક્રમિત થશે અને કોરોનાને કારણે તેનું મૃત્યુ થશે તો સરકાર તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે. આ નિર્ણયની જાહેરાત ખુદ સીએમ વિજય રૂપાણીએ કરી હતી સાથે જ કેન્દ્ર સરકારે પણ આવા પરિવારને 50 લાખની સહાય કરવાની જાહેરાત કરી હતી. સુરતમાં ફ્રંટ લાઇન વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા મનપાના 1200 કરતા પણ વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા જેમાંથી 24 કર્મચારીઓના કોરોનાને કારણે મોત થયા હતાં. આવા કર્મચારીઓના મૃત્યુને 7 મહિનાથી વધુ સમય વિતી ગયા હોવા છતાં તેમનો પરિવાર આર્થિક સહાયથી વંચિત છે. તેઓને મળવા પાત્ર કોઇ લાભ હજુ સુધી મળ્યા નથી. લાભની રકમની મેળવવા માટે તેઓ કોર્પોરેશન કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. પરિવારના મોભી ગુમાવ્યા બાદ હવે તેમને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.