ખમૈયા કરો મેઘરાજ : હજુ નવસારીમાં જળબંબાકાર, સુરતમાં વરસાદનું જોર ઘટ્યું, ભરૂચમાં ડૂબી જવાથી બે ના મોત
આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને નવસારી જિલ્લામાં આકાશી કહેર હજુ પણ યથાવત છે.નવસારી(Navsari) અને જલાલપોર ભારે વરસાદ પડ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી વધતા નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. જળ સ્તર વધવાના કારણે અનેક ઘર પાણીમાં ગરકાવ થતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. નવસારી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 50 હજારથી વધારે લોકો પૂરની સ્થિતિના કારણે પ્રભાવિત થયા છે. વલસાડમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. નદીઓના પાણી રસ્તા પર ફરી વળતા વાહનવ્યવહારને પણ ભારે અસર થઇ છે. ડાંગમાં હજુ સાપુતારા ગુજરાતથી સંપર્કવિહોણું છે.

નવસારી જળબંબાકાર
આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તારીખ 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારીના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ચાર દિવસથી ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. નવસારીના વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ઉનાઈના મુખ્ય માર્ગો પર ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે.

ડાંગમાં હજુ 28 માર્ગ બંધ
ડાંગ જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજે સવારે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામા ૧૯૩ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૫૩૩ મી.મી.), વઘઇનો ૨૪૭ મી.મી. (કુલ ૧૪૬૨ મી.મી.), સુબિર તાલુકાનો ૨૭૦ મી.મી. (કુલ ૧૪૩૨ મી.મી.), અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો ૧૬૯ મી.મી. (મોસમનો કુલ ૧૨૮૮ મી.મી.) મળી જિલ્લામા કુલ ૮૭૯ મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ ૨૧૯.૭૫ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૫૭૧૫ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૨૮.૭૫ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.
ડાંગમા સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે અહીંની પૂર્ણાં, અંબિકા, ખાપરી, અને ગીરા નદીઓમા ઘોડાપુરની સ્થિતિ સર્જાવા પામી છે. જેને લઈને હેઠવાસના જિલ્લાઓ ખાસ કરીને નવસારી અને સુરત સાથે, જિલ્લાના ડિઝાસ્ટર તંત્રએ સતત સંપર્ક સેતુ જાળવી અગમચેતીના પગલા હાથ ધરવાની અપીલ કરી છે. ડાંગમા ઠેર ઠેર નિચાણવાળા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, તો ઘાટ માર્ગમા ભુસ્ખલન, વૃક્ષો વિગેરે ઘરાશાઇ થતા જનજીવન પ્રભાવિત થયુ છે. જિલ્લા કલેકટર ભાવિન પંડયા સતત સ્થિતિ ઉપર નજર રાખી અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
ડાંગમા ભારે વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના ૨૯ જેટલા માર્ગો અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે.
જિલ્લાના જે માર્ગો અસરગ્રસ્ત થયા છે તેમા (૧) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (૨) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, (૩) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, (૪) ટાકલીપાડા-લહાન દભાસ-મોટી દભાસ રોડ,(૫) બારીપાડા-રાનપાડા-ભાપખલ, (૬) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, (૭) પીપલદહાડ-જોગથવા રોડ, (૮) બંધપાડા વી.એ. રોડ, (૯) શિંગાણા-ધુલદા રોડ, (૧૦) ચીખલી-લવચાલી રોડ, (૧૧) પીપલાઈદેવી-જુન્નેર-ચીંચવિહીર રોડ, (૧૨) લવચાલી-ચિંચલી રોડ, (૧૩) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૧૪) આંબાપાડા વી.એ.રોડ, (૧૫) ઘોડવહળ વી.એ.રોડ, (૧૬) આહેરડી-બોરદહાડ રોડ, (૧૭) ખાતળ-માછળી રોડ, (૧૮) ચીખલદા વી.એ.રોડ, (૧૯) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૨૦) સુસરદા વી.એ.રોડ, (૨૧) ધાનગડી-કાનત ફળિયા રોડ, (૨૨) માછળી-ચીખલા-દિવડયાવન રોડ, (૨૩) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, (૨૪) કુડકસ-કોશિમપાતળ રોડ, (૨૫) ઢાઢરા વી.એ.રોડ, (૨૬) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (૨૭) પાતળી-ગોદડીયા રોડ (૨૮) ભેંસકાતરી-કાકરદા-ભોન્ગડીયા-એન્જીંનપાડા રોડ, અને (૨૯) દોડીપાડા-ચિકાર ફળિયા રોડનો સમાવેશ થાય છે.

ભરૂચમાં ડૂબી જવાથી બે ના મોત
ભરૂચ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે. નેત્રંગ તાલુકાને બાદ કરતા અન્ય 8 જિલ્લાઓમાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. અંકલેશ્વરના પિલુદ્રા અને જંબુસરમાં વરસાદી પાણીમાં તણાઈ જવાના કારણે 1 -1 વ્યક્તિના મોત નિપજ્યા છે.છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા આ મુજબ છે.
અંકલેશ્વર 16 મી.મી. આમોદ 14 મી.મી. જંબુસર 2 ઇંચ ઝઘડિયા 16 મી.મી. નેત્રંગ 3.5 ઇંચ ભરૂચ 10 મી.મી. વાગરા 10 મી.મી. વાલિયા 20 મી.મી. હાંસોટ 10 મી.મી.
સુરતમાં વરસાદનું જોર ઘટ્યું
સુરત જિલ્લામાં પણ વરસાદનું જોર ઘટ્યું છે. સુરતમાં સામાન્ય વરસાદી ઝડપ વરસી રહ્યા છે. મેઘરાજા ખમૈયા કરતા હવે જનજીવન સામાન્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. મહુવા તાલુકા બે કાચા મકાન ધરાશાયી થયા હતા. અંબિકા નદીના કાંઠે વેલ સામબા ગામમાં અને દેડવાસન ગામે મકાન ધરાશાયી થયા હતા. સદનશીબે બને ઘટનાઓમાં કોઈ જાનહાની થવા પામી નથી. વહીવટી તંત્ર દ્વારા નુકસાનીના સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી છે.