Chhota Udaipur: બોડેલીમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ, આ વખતે લડાઈ માત્ર ભાજપ અને AAP વચ્ચે
Chhota Udaipur: વડોદરાથી છોટાઉદેપુર પહોંચેલા કેજરૂવાલે બોડેલીમાં જનસભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે અને ખુદ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે આ વખતે લડાઈ માત્ર ભાજપ અને AAP વચ્ચે જ છે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાથી સીધા છોટાઉદેપુર (Chhota Udaipur) પહોંચ્યા હતા. અહીં બોડેલી(Bodeli)માં તેમણે જનસભાને સંબોધિત કરી હતી. જો કે કેજરીવાલની સભા પહેલા જ વરસાદનું વિઘ્ન નડ્યુ હતુ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. સભાસ્થળે વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યો હતો પરંતુ વરસાદને કારણે લોકો વોટર પ્રુફ ડોમમાં આવી જતા અવ્યવસ્થાના દૃશ્યો જોવા મળ્યા હતા. જો કે બાદમાં કેજરીવાલનું આગમન થતા જ સભા સ્થળે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કેજરીવાલે તેમના સંબોધનમાં પણ વરસાદનો ઉલ્લેખ કરતા ભાજપ પર પ્રહાર કર્યો કે આજે જે વરસાદ થઈ રહ્યો છે એ દર્શાવી રહ્યો છે કે ભાજપ(BJP)નો હવે જવાનો સમય આવી ગયો છે ગુજરાતમાં નવી પાર્ટી આવશે, નવા ચહેરાઓ આવશે અને મોટા ફેરફાર થશે.
ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે: કેજરીવાલ
આ દરમિયાન કેજરીવાલે ગુજરાતમાં બોટાદમાં થયેલી લઠ્ઠાકાંડની ઘટનાને યાદ કરતા કહ્યુ કે બોટાદ અને આસપાસના ગામોમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા અને અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા. તેમની સ્થિતિ ઘણી ગંભીર હતી. મને એ ઘટનાની જાણ થઈ તો હું અસરગ્રસ્ત પીડિત પરિવારોને મળવા ગયો હતો. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી કે સી.આર. પાટિલ એ લોકોને મળવા નથી ગયા. કેજરીવાલે રાજ્યની દારૂબંધી પર પણ સવાલ ઉઠાવ્યા કે, હું જ્યારે બોટાદ ગયો ત્યારે મે લોકોને પૂછ્યુ હતુ કે શું અહીં છૂપી રીતે દારૂ વેચાય છે, તો લોકોએ કહ્યુ અહીં તો ખુલ્લેઆમ દારૂ વેચાય છે.
કેજરીવાલે કહ્યુ, ગુજરાતમાં પહેલા ભાજપ-કોંગ્રેસ બંને એકબીજા વચ્ચે ઇલુ ઇલુ કરતા હતા. બંને મળેલા જ હતા. આ વખતે કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ બગાડશો નહીં. અનેક કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે અને હજુ કેટલાક છોડીને જવાના છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે, કંઈ નથી. આ વખતે માત્ર ભાજપ અને AAP વચ્ચે જ લડાઈ છે.
હું આદિવાસી સમાજને ગેરંટી આપવા આવ્યો છું: કેજરીવાલ
આદિવાસી સમાજને ઉદ્દેશીને કેજરીવાલે કહ્યુ કે આજે હું તમને ગેરંટી આપવા આવ્યો છુ જે ભાજપ-કોંગ્રેસના લોકો ક્યારેય નહીં આપે. આદિવાસી સમાજ માટે બંધારણમાં જે અલગ જોગવાઈ કરવામાં આવી છે તેના પર કોઈ સરકાર કામ નથી કરી રહી. અમે તેમને ગેરંટી આપી રહ્યા છીએ. બંધારણમાં આદિવાસી સમાજને જે આપવામાં આવ્યું છે તે બધું અમે તેમને અપાવશુ. PESA કાયદો લાવીને રહેશુ.
આદિજાતિ સલાહકાર સમિતિ(Tribal Advisory Committee)ના ચેરમેન આદિવાસી હોવા જોઈએ, પરંતુ ગુજરાતમાં આ ચેરમેન મુખ્યમંત્રી છે. અમે તેને બદલીશું. આદિવાસી જ ચેરમેન બનશે. આદિવાસી ગામોની અંદર સારી શાળાઓ બનશે, મેડિકલ સુવિધા આપવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં વિશેષ હોસ્પિટલો બનાવવામાં આવશે અને મોહલ્લા ક્લિનિક પણ તૈયાર કરવામાં આવશે.