
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારો રસ્તાઓ, ખેતરો અને મકાનો ઉપર ધુમ્મસની સફેદ ચાદર પથરાઈ. વહેલી સવારે દ્રશ્યતા (Visibility) ઘટી જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કુદરતનો આ અનોખો નજારો જોઈ સ્થાનિકોને જાણે કોઈ હિલ સ્ટેશન પર હોય તેવો અહેસાસ થયો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાન વચ્ચે આજે ધોરાજીમાં વહેલી સવારથી જ સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા. ચારેતરફ છવાયેલા ધુમ્મસને કારણે માર્ગો પર ખાસ કરીને વહેલી સવારે હાઈવે અને ગ્રામ્ય માર્ગો પર વાહનો ધીમી ગતિએ ચલાવવા પડ્યા હતા. કેટલાક સ્થળોએ 50 મીટર સુધી પણ સ્પષ્ટ દૃશ્યતા ન હોવાથી અકસ્માતની ભીતિ સર્જાઈ હતી, વાહનોની લાઈટો ચાલુ રાખવી પડી હતી. ઠંડી અને ભેજયુક્ત પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે મોર્નિંગ વોક પર નીકળેલા લોકો માટે આ માહોલ આહલાદક રહ્યો હતો.
એક તરફ લોકો આ વાતાવરણનો આનંદ માણી રહ્યા છે, ત્યારે બીજી તરફ જગતનો તાત એટલે કે ખેડૂતો ચિંતામાં ગરકાવ,
કુદરતના આ બદલાતા મિજાજે જનજીવન પર મિશ્ર અસર કરી છે. સામાન્ય નાગરિકો માટે આ ‘ગુલાબી ઠંડી’ અને ધુમ્મસ આનંદદાયક છે, પરંતુ મહેનત કરીને પાક પકવતા ખેડૂતો અત્યારે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે સૂર્યપ્રકાશ નીકળે અને તેમના પાકને જીવનદાન મળે. બદલાતા હવામાનની આ સીધી અસર આગામી દિવસોમાં કૃષિ ઉત્પાદન પર કેવી રહેશે, તે જોવું રહ્યું.
ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો