
સુરતામાં ખાબકેલા 18 ઈંચ જેટલા વરસાદ બાદ ચારેતરફ ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હાલ પૂરની સ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સુરત દોડી ગયો છે અને પૂરની સ્થિતિ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે રિવ્યુ મિટીંગ કરી હતી. આ દરમિયાન સુરતની હાલત જોઈને મુખ્યમંત્રી કોર્પોરેશનના અધિકારીઓ પર લાલઘુમ થયા છે. હાલ પૂરે સુરતની જે હાલત કરી છે તેમા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતા છતી થઈ છે. જે જોઈને CMની સ્પષ્ટ નારાજગી જોવા મળી છે. સમીક્ષા બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો રીતસરનો ઉધડો લીધો હતો.
સુરતમાં પ્રિમોન્સુન કામગીરીની નબળી કામગીરીને જોતા મુખ્યમંત્રીએ કોર્પોરેશનના પદાધિકારીઓને ખખડાવ્યા. અને પૂરની સ્થિતિને લઈને ચેતવ્યા હતા. નબળી કામગીરી બદલ મુખ્યમંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપી છે. હાલ સુરતના પરિસ્થિતિને સામાન્ય કરવા માટે તાત્કાલિક અસરથી જરૂરી તમામ પગલા લેવા આદેશ કર્યો છે. જ્યાં જરૂર પડે ત્યાં મશીનરીને કામે લગાડવા અને વ્યવસ્થા ઉભી કરવા માટે સ્પષ્ટ તાકીદ કરી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં આ સમીક્ષા બેઠક મળી હતી. CM ની સાથે ડિપ્ટી સીએમ હર્ષ સંઘવી, નવસારી સાંસદ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. હાલ સુરતની જે સ્થિતિ છે તેમાંથી સુરતને વહેલી તકે બહાર લાવવા અને પરિસ્થિતિને થાળે પાડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ સુરતના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જતા એશિયાની સૌથી મોટી ટેક્સ્ટાઈલ માર્કેટને પારાવાર નુકસાન પહોંચ્યુ છે, અનેક શો રૂમમાં પૂરનુ પાણી ભરાઈ જતા વેપારીઓનો ભારે મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે તેમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે પણ સમીક્ષા બેઠકમાં કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે સુરતમાં એકસાથે 18 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જેના કારણે સુરતના સેંકડો વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. CM આ તમામ અસરગ્રસ્ત વિસ્તારો અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને સુરતમાં ખાડીના પૂરના પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે દર વર્ષે આ જ પ્રકારે પૂરની સ્થિતિ સર્જાય છે જેના કારણે અનેક દુકાનદારો,વેપારીઓને પારાવાર આર્થિક નુકસાની વેઠવી પડે છે. આ પરિસ્થિતિનું કાયમી નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે પણ સૂચનો માગવામાં આવ્યા છે.
ખાડીપૂરની સ્થિતિ અંગે અગાઉ પણ અનેકવાર સ્થાનિક ધારાસભ્યે સવાલ ઉઠાવ્યા હતા અને ખાડીપૂરની આજુબાજૂના વિસ્તારમાં થયેલા દબાણને કારણે પાણીનો પ્રવાહ રોકાઈ જાય છે અને પાણી આજુબાજુના વિસ્તારમાં બે થી ત્રણ દિવસ સુધી આ પાણી ભરાઈ જાય છે, જેના કારણે આસપાસની અનેક સોસાયટીના રહીશોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવે છે. આ માત્ર એક બે વર્ષની સમસ્યા નથી. વર્ષોથી સુરતની આજ દશા છે અને કોર્પોરેશનના અધિકારીઓ દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીના નામે મસમોટા બજેટ તો પાસ કરાવી લે છે પરંતુ જમીન પર આ કાર્યવાહી ક્યારેય જોવા મળતી નથી. હાલ તો ભ્રષ્ટ અધિકારીઓના પાપે સુરતના વેપારીઓ અને રહીશોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Input Credit- Baldev Suthar-Surat
Published On - 2:13 pm, Thu, 9 July 26