Botad: બરવાળા ગામથી કાપડીયાળી ઢાઢોદરનો રોડ એવા કે છકડામાં બેસો પણ લાગે ઉંટ પર બેઠા બરાબર, લોકોએ રોડ સરખા ન થાય તો મતદાન બહિષ્કારની ચીમકી આપી
બરવાળા (Barwala) તાલુકાના બરવાળા ગામથી કાપડીયાળી ઢાઢોદરનો રોડ (Road) અતિ બિસ્માર છે. ખખડી ગયેલો રોડ કમરતોડ છે. અહીં રોડના ખાડામાંથી આસપાસના 7 ગામોના લોકો પસાર થાય છે
બોટાદ (Botad) જિલ્લાના બરવાળા (Barwala) તાલુકામાં અનેક ઠેકાણે રોડ (Road) તૂટેલા અને બિસ્માર હાલતમાં છે. આ રોડની આસપાસમાં એક બે નહીં સંખ્યાબંધ ગામના લોકો અહીંથી અવરજવર રહે છે. નાગરિકો પૂરતો ટેક્સ ભરે છે પણ તેમના નસીબમાં સારા રોડ પણ નથી. લોકો બાઈક પર હોય, કારમાં હોય કે છકડામાં રોડ એવા ઉબડખાબડ છે કે તમામ વાહનોમાં બેઠા પછી ય ઉંટ પર બેઠા હોય એવું લાગે છે.
બરવાળા તાલુકાના બરવાળા ગામથી કાપડીયાળી ઢાઢોદરનો રોડ અતિ બિસ્માર છે. ખખડી ગયેલો રોડ કમરતોડ છે. અહીં રોડના ખાડામાંથી આસપાસના 7 ગામોના લોકો પસાર થાય છે કેમકે તેમની મજબૂરી છે. એક પણ બસ સુવિધા આ ગામોમાં નથી ત્યારે વિદ્યાર્થીઓ પણ ખાનગી વાહનમાં અભ્યાસ માટે જાય છે. એમની મુશ્કેલી પણ કોઈને સમજાતી નથી.
કાપડિયાળી, ઢાઢોદર, વાઢેળા, જીવાપર, માલપરા, લુણધરા દાત્રેટીયા સહિત આસપાસના 7 ગામોના લોકો તેમજ વાડીઓ ખેતરમાં જવા માટેનો એકમાત્ર મુખ્ય માર્ગ છે. ગામના લોકોની મુશ્કેલી એ છે કે તેમને સારવાર માટે જવું હોય કે ડિલીવરી માટે જતી બહેનોને આ રસ્તા પરથી નીકળવું હોય. તો અહીંથી પસાર થતાં સાચા અર્થમાં જીવ જતો રહે છે.
આ માર્ગ પર તાલુકાનો એકમાત્ર અને સૌથી મોટો CNG પમ્પ આવેલો છે. સૌરાષ્ટ્રનો મુખ્ય પ્રવેશદ્વાર તેમજ સાળંગપુર ગઢડા અને કુંડળ જેવા યાત્રાધામો આવતા હોવાથી હજારો CNG વાહનો અહીં ગેસ પુરાવા આવતા હોય તે પણ અહીંથી પસાર થાય છે. રીક્ષાચાલકો અને ગ્રામજનો એટલા કંટાળ્યા છે કે તેઓની માગ છે કે ચોમાસા પહેલાં જો આ રોડનું કામ નહીં થાય તો તેઓ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે.
સૌથી વધુ નવાઈની વાત એ છે કે આ રોડ બનાવવાનું બજેટ બે વર્ષ પહેલા મંજૂર થઈ ચુક્યું છે. 2020ના મે મહિનામાં રાજ્યના તત્કાલીન પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગ મંત્રી નિતીન પટેલે બરવાળાથી વાયા કાપડિયાળીથી ઢાઢોદર ગામ સુધીનો 8.97 કિલોમીટરની લંબાઈનો રોડ 442.27 લાખની રકમ સાથે મંજૂર કર્યો છે. તેને પણ બે વર્ષ વીતી ચુક્યા છે તેમ છતાં કામ શરૂ ન થતાં ગામલોકોની ધીરજ હવે ખૂટી છે. આ જોતાં હવે આંદોલનનું શસ્ત્ર ઉગામીને સ્થાનિકો રણશિંગુ ફૂંકશે અથવા તો ચૂંટણીનો બહિષ્કાર કરશે ત્યારે જ તંત્રની અને શાસકોની આંખ ઉઘડશે.