Botad News: બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ખેડૂતો કપાસ, મગફળી સહિત અન્ય પાકોનું વાવેતર કરતા હોય છે. બોટાદ જિલ્લાના અનેક એવા ખેડૂતો છે જે બીજી ખેતી તરફ વળતા થયા છે. રાસાયણિક ખાતરની ખેતી છોડીને કુદરતી ખેતી તરફ વળ્યા છે. ગઢડા તાલુકાના ખેડૂત ભોળાભાઇ ધલવાણિયા જેઓએ પોતાના 3 વિઘાના ખેતરમાં સીતાફળનું વાવેતર કર્યું છે.
પરંતુ આ સીતાફળ રેગ્યુલર સીતાફળ કરતા અલગ છે એટલે કે લાલ સીતાફળનું તેમના દ્વારા વાવેતર કરવામાં આવ્યુ છે. પોતાના 3 વિધા ખેતરમાં 300 જેટલા સીતાફળના છોડનું વાવેતર કર્યું છે અને તેમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામા આવતો નથી. ખેડૂતે પોતાના ખેતરમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો છે. હાલ તો ખેડૂતના ખેતરમાં આજુબાજુના ગામડામાંથી ખેડૂતો આ સીતાફળ ની ખેતી જોવા આવી રહ્યા છે.
બોટાદ જિલ્લાના સૌ પ્રથમ એવા ખેડૂત હશે જેને લાલ સીતાફળનું વાવેતર કર્યું છે ત્યારે ભોળાભાઇ ધલવાણિયાએ જણાવેલ કે તેઓ સોસીયલ મીડિયામાં વીડિયો જોતા હતા અને આ લાલ સીતાફળ જોયા અને ત્યારબાદ વડોદ ખાતેથી 300 જેટલા લાલ સીતાફળના છોડ લાવ્યા અને પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે.
છેલ્લા 2 વર્ષથી આ વાવેતર તેમના દ્વારા કરવામાં આવેલ છે અને રેગ્યુલર સીતાફળ કરતા લાલ સીતાફળ વધુ સ્વાદિષ્ટ હોય છે અને બજારમાં તેના ભાવ વધુ મળતા હોય છે અને મહેનત પણ ઓછી થતી હોય છે.
બોટાદ જિલ્લામા કેટલાક ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેનુ ઉત્તમ ઉદાહરણ છે ગઢડા તાલુકાનું સમઢીયાળા ગામ. સમઢીયાળા ગામના ખેડૂત ભોળાભાઇ ધલવાણીયાએ પોતાની વાડીમાં ત્રણ વિઘા જમીનમાં લાલ સીતાફળની ખેતી કરી છે.
બજારમાં આવતા સફેદ સીતાફળ કરતા લાલ સીતાફળનો ભાવ વધારે આવતો હોય છે અને લાલ સીતાફળ ઓછા પ્રમાણ જોવા મળે છે ત્યારે હાલમાં ખેડુતો મોટા પ્રમાણમાં કપાસ, મગફળી, જુવાર, તલ, બાજરી સહિતના પાકની ખેતી કરતા હોય છે.
પરંતુ આ બધી ખેતીમા વધારે વરસાદ કે ઓછા વરસાદમાં સુકારા જેવા અનેક પ્રકારના રોગ આવતા હોય છે, જેથી ખેડૂતની મહેનત પાણીમાં જાય છે, ત્યારે બાગાયતી ખેતીમાં દવા, પાણી અને ખાતરની જરૂરીયાત ઓછી પડે છે, જેથી ઓછા ખર્ચે વધુ નફો મળે છે, ત્યારે સમઢીયાળા ગામના ખેડૂત ભોળાભાઇ ધલવાણીયાએ બાગાયતી ખેતી કરી અન્ય ખેડૂતોના પ્રેરણારૂપ સાબીત થયા છે.
(Input Credit: Brijesh Sakariya)
Published On - 4:14 pm, Sat, 14 October 23