Botad: ભારે વરસાદ પડતાં ઢસા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયાં
અમરેલી જિલ્લામાં ઉપરવાસનાં ગામડાઓમાં ત્રણ ઈંચ વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. બાબરામાં સીમ વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા સફલ નદીમાં પૂર આવ્યું હતું.
બોટાદ (Botad) જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ (Rain) ના કારણે અનેક નદીઓમાં પૂર (Flood) આવ્યાં છે ત્યારે ઢસા ગામમાં પાણી ભરાઈ ગયાં છે. ગામમાં ઠેર ઠેર પાણી ભરાવાની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયાં છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતાં દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરના નિવેદન મુજબ 11 ગામોને આવરી લેતું છે આ આરોગ્ય કેન્દ્ર છે. આરોગ્ય કેન્દ્ર નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય અને પાણીનો નિકાલ ન હોય દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.
અમરેલી જિલ્લામાં બાબરાના પાંચાળ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરાના મોટી કુંડળ, જામ બરવાળા, લીંબડીયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બાબરાના ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ચમારડીની ઠેબી નદીમાં પૂર આવ્યુ છે. જ્યારે ચરખાની કાળુભાર નદીમાં પણ પૂર આવ્યુ હતું. નદીમાં પૂર આવતાં બાબરાના ચમારડી-ચરખાના માર્ગ બંધ થયા હતા.
અમરેલી જિલ્લામાં ઉપરવાસનાં ગામડાઓમાં ત્રણ ઈંચ વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. બાબરામાં સીમ વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા સફલ નદીમાં પૂર આવ્યું હતું. સારો વરસાદ થતાં સફલ નદીમાં આવેલ ચેકડેમો અવર ફ્લો થયા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી રામપરા ડેમમાં નવા નીર આવ્યાં છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલા વિજપડી, ચીખલી, નવાગામ, જબુડા, ગોરાડકા છાપરી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 05 થી 10 જુલાઇના પાંચ દિવસ દરમ્યાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની(Rain)આગાહી કરી છે. જેમાં આગામી દ્વારકા, પોરબંદર અને વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેની માટે ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. 05 જુલાઈ થી 10 જુલાઈ-2022 સુધી દ્વારકા, પોરબંદર,વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જામનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સાથે જ નદી કિનારા તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં ન જવા પણ અપીલ કરી છે. જામનગર જિલ્લામાં 7થી 9 જૂલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.