બેદરકારી કે મિલીભગત ? મતદાન મથકો પર અવ્યવસ્થા અને બોગસ વોટિંગની ફરિયાદોથી રાજકીય માહોલ ગરમાયો

ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. કામરેજમાં 400 જેટલા મતદારોને મતદાન મથકની જાણકારી ન મળતા આક્રોશ જોવા મળ્યો છે, જ્યારે અન્ય એક વિસ્તારમાં મહિલાના નામે અન્ય કોઈએ મતદાન કરી દીધું હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે.

બેદરકારી કે મિલીભગત ? મતદાન મથકો પર અવ્યવસ્થા અને બોગસ વોટિંગની ફરિયાદોથી રાજકીય માહોલ ગરમાયો
Image Credit source: Tv9Gujarati
| Updated on: Apr 26, 2026 | 5:42 PM

એક તરફ વહીવટી તંત્ર દ્વારા 100 ટકા મતદાનની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મતદાનના દિવસે જ ગંભીર ક્ષતિઓ અને આક્ષેપો સામે આવતા ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે.

બૂથની માહિતીના અભાવે મતદારો મૂંઝવણમાં

કામરેજ ગામની રામદેવ સોસાયટીના અંદાજે 400 જેટલા રહીશો આજે ભારે અવઢવમાં મુકાયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર કે કોઈ રાજકીય પક્ષ દ્વારા તેમને મતદાનની સ્લીપ પહોંચાડવામાં આવી નથી. કયા બૂથ પર જઈને મતદાન કરવું તેની કોઈ જ માહિતી ન હોવાથી આ મતદારો મતદાનથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. નારાજ રહીશોએ સૂત્રોચ્ચાર કરીને તંત્રની બેદરકારી સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

બોગસ વોટિંગનો ગંભીર આક્ષેપ

બીજી તરફ, વોર્ડ નંબર 4 માં આવેલી શાળા નંબર 77 માં બોગસ વોટિંગ થયું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે જરીયા સુગરવાલા નામની મહિલા મતદાન કરવા પહોંચી ત્યારે ખબર પડી કે તેમના નામે અન્ય કોઈ મહિલાએ પહેલેથી જ વોટ નાખી દીધો છે. આ ઘટનાને પગલે ભારે હોબાળો થયો હતો અને મામલો ગરમાતા અંતે પ્રિસાઇડિંગ ઓફિસરે આ ભૂલ બદલ માફી માંગવી પડી હતી.

તંત્ર સામે સવાલો

ચૂંટણી કાર્ડ અને સ્લીપના અભાવે મતદારો રઝળી રહ્યા છે, તો બીજી તરફ ઓળખની ચોકસાઈ વિના મતદાન થઈ જતું હોવાની ફરિયાદો ઉઠતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. શું વહીવટી તંત્ર આ ભૂલો સુધારીને તમામ નાગરિકોને તેમનો મતાધિકાર અપાવી શકશે કે કેમ તે હવે મોટો પ્રશ્ન છે.

 

રાજકોટ, સુરત પછી અમદાવાદમાં પણ દખા

અમદાવાદમાં મતદાન દરમિયાન અનેક વિસ્તારોમાં મતદાર યાદીના છબરડા સામે આવ્યા છે, જેમા ખાસ કરીને નારણપુરા વોર્ડ નંબર 9માં મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વર્ષોથી જે નાગરિકોના નામ મતદાર યાદીમાં હતા, તેમના નામ અચાનક ગાયબ થઈ જતા લોકો એક બૂથથી બીજા બૂથ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. નારણપુરાની સૂરજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચેલા એક જાણીતા ડૉક્ટર દંપતીના નામ પણ યાદીમાં ન હોવાથી તેઓ મતદાન કરી શક્યા નહોતા.

ડૉક્ટર દંપતીના જણાવ્યા અનુસાર, બૂથ પર તૈનાત કર્મચારીઓ દ્વારા તેમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી, અને માત્ર ‘નામ અપડેટ થયા નથી’ તેવું જણાવીને હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે. દંપતીએ દાવો કર્યો છે કે તેમના સિવાય પણ મોટી સંખ્યામાં એવા મતદારો છે જેમના નામ ગાયબ હોવાથી તેઓ રોષે ભરાયા છે. ચૂંટણી પંચની આ પ્રકારની કામગીરીને પગલે જાગૃત નાગરિકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

Breaking News: વધતી ગરમી, ઘટતું મતદાન! ગુજરાતના મહાનગરોમાં 43 ડિગ્રી ગરમી વચ્ચે મતદાનની ટકાવારીમાં ઘટાડો

Published On - 4:58 pm, Sun, 26 April 26

Follow Us