ભાજપના નિરીક્ષકો, 24-25 જાન્યુઆરીએ AMCની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી અંગે કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળશે
અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા ભાજપના નિરીક્ષકો 24 અને 25 જાન્યુઆરીએ ભાજપના કાર્યકરોની રજૂઆત સાંભળશે. કાર્યકર્તાઓની રજૂઆતના આધારે નિરીક્ષકો તેમનો અહેવાલ પ્રદેશ ભાજપને સોપશે. અને ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ઉમેદવારો અને યોગ્ય નિર્ણય કરશે.
ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં પણ ચૂંટણીલક્ષી ગતિવિધીઓ તેજ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ, અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણી માટેના ઉમેદવારો પસંદ કરવા પક્ષના કાર્યકરોની રજૂઆતો સાંભળવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જો કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા, ભાજપે નિમેલા નિરીક્ષકોએ કયા દિવસે, કયા વોર્ડના કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળવી તે કાર્યક્રમમાં સતત ફેરફાર કર્યાનો આક્ષેપ કાર્યકરો કરી રહ્યાં છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો, અમદાવાદ મહાનગરપાલિકાના તમામે તમામ વોર્ડના ઉમેદવારોની પસંદગી કરવા માટે, આગામી 2 દિવસ એટલે કે 24 અને 25 જાન્યુઆરીએ, ભાજપના કાર્યકર્તાની રજૂઆતો સાંભળશે. પક્ષના કાર્યકરોની ઉમેદવારો બાબતની રજૂઆતો સાંભળ્યા બાદ નિરીક્ષક તેમનો અહેવાલ, પ્રદેશ ભાજપને સોપશે. જેના આધારે તાજેતરમાં જ રચાયેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિરીક્ષકોના અહેવાલ ઉપર ચર્ચા વિચારણા કરીને ઉમેદવારો અંગે નિર્ણય કરશે.