દયામણો ચહેરો બતાવી કામ મેળવી રોજગારી આપનારના ઘરમાંજ ધાપ મારનાર તસ્કર ટોળકીના 4 સાગરીતોને ભરૂચ(Bharuch) ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી સોના – ચાંદીના દાગીના રિકવર કર્યા છે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા જિલ્લામાં મિલ્કત સબંધી તથા ચોરીઓના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અપાયેલી સુચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે ડી મંડોરાએ ભરૂચ લોકલ કામ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી આગુનાઓના ભેદ ઉકેલવા તરફ ભાર મુક્યો હતો.
ભરૂચ LCB એ મિલકત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નિયંત્રણ લાવવા જરૂરી એકશન પ્લાન તૈયાર કરી કામગીરી શરૂ કરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે બાતમી મળેલ કે ” ચાર માસ અગાઉ અકલેશ્વર તાલુકાના અડોલ ગામે સોના – ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરીના બનાવમાં અડોલ ગામના ઇસમો સંડોવાયેલા છે. બાતમી મુજબના 4 ઇસમોની તપાસ કરતા તે મળી આવ્યા હતા . આરોપીઓની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા ચોરી કરેલા ની કબુલાત કરી હતી. આ તસ્કરોએ ચોરીનો મુદ્દામાલ વેચી દીધો હતો. દાગીના ખરીદનાર સોનીની પણ આ બાબતે તપાસ કરતા ખરીદેલ સોના – ચાંદીના દાગીના પીગાળી નાખ્યા હતા જે પણ રિકવર કરવામાં આવ્યા હતા. આ ટોળકીના સાગરીત મહેશ ઉર્ફે મનાએ ખેડૂતના ઘરે નોકરી મેળવી રેકી કરી હતી જે બાદમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. ધરપકડ કરાયેલ ટોળકીની વધુ પુછપરછ દરમ્યાન બે વર્ષ અગાઉ અંક્લેશ્વર તાલુકાના હરીપુરા ગામેથી રાત્રીના સમયે એક બંધ મકાનમાંથી સોના – ચાંદીના દાગીના તથા મોબાઇલની ચોરી ની પણ કબુલાત કરી હતી.
ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ ઈન્સકપેકટર કે ડી મંડોરાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેકટર જેએન ભરવાડ તથા સબ ઇન્સ્પેકટર એન જી પાંચણી તથા પોલીસકર્મીઓ ચંદ્રકાંતભાઈ, અજયભાઇ , વર્ષાબેન , પરેશભાઇ , મયુરભાઇ , કુંદનભાઇ તથા નિમેષભાઇએ જહેમત ઉઠાવી હતી.
Published On - 1:18 pm, Wed, 3 August 22