દવાખાનામાં ઈલાજ કરાવતા પહેલા ક્યારેય આ બાબતની ખાતરી કરી છે ? ભરૂચનો આ કિસ્સો જાણી આંખ ઉઘાડજો
તપાસ દરમ્યાન મોર્નીતલ મનોરંજન હાજરા મૂળ રહે.બરનોડીયા ,જીલ્લા નદીયા વેસ્ટ બંગાળ અને સોહાગ પ્રયદાસ મૂળ રહે . પુરબા પારા જી.નદીયા વેસ્ટ બંગાળ પાસે કોઈપણ જાતની મેડીકલ ડીગ્રી મળી આવી ન હતી.
લાલ – પીળી દવાઓના અખતરાંના આધારે દવાખાના ખોલી ઈલાજના નામે લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા બે ઝોલાછાપ ડોક્ટરો(Fake Doctors)ને ભરૂચ(Bharuch) સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે(SOG) ઝડપી પાડ્યા છે. આ બે ઝોલાછાપ તબીબ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રીઓ વગર દર્દીઓને માત્ર દવાઓ જ નહિ પણ ઇન્જેક્શન પણ લગાડવા મંડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બંને તબીબોની ધરપકડ કરી વાગરા પોલીસને સોંપ્યા છે. મામલે વગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર વી બી કોઠીયા(PI V B Kothiya)ને વાગરા તાલુકામાં ઝોલાછાપ તબીબો હાટડીઓ ખોલી ઇલાજના નામે લોકો ઉપર અખતરાં કરી રહ્યા હોવાની બાતમી મળતા ટીમ રવાના કરવામાં આવી હતી. SOG ના સબ ઇન્સ્પેકટર એમ.આર.શકોરીયા અને એમ.એમ.રાઠોડ એ અલગ અલગ ટીમ બનાવી વાગરા તાલુકાના મુલેર ગામે રેડ કરી હતી. પોલીસે એકસાથે મોર્નીતલ મનોરંજન હાજરા અને સોહાગ પ્રયદાસ ના કહેવાતા દવાખાનાઓ ઉપર રેડ કરી હતી.
તપાસ દરમ્યાન મોર્નીતલ મનોરંજન હાજરા મૂળ રહે.બરનોડીયા ,જીલ્લા નદીયા વેસ્ટ બંગાળ અને સોહાગ પ્રયદાસ મૂળ રહે . પુરબા પારા જી.નદીયા વેસ્ટ બંગાળ પાસે કોઈપણ જાતની મેડીકલ ડીગ્રી મળી આવી ન હતી. તબીબી ડિગ્રીઓ વગર આ બંને મેડીકલના સાધનો , એલોપેથિક દવાઓ , ઇન્જેકશન રાખી દવાખાના ખોલી દર્દીઓના ઈલાજ કરવા માંડ્યા હતા. પોલીસે આ બંને ઝોલાછાપ તબીબો પાસેથી દર્દીઓ માટે જોખમી સાબિત થઇ શકે તેવી તબીબી ચીજો પણ કબ્જે કરી છે. સૂત્રો અનુસાર કેટલીક દવાઓ તબીબી જ્ઞાન વિના આપવી જોખમી સાબિત ઇહૈ શકે છે જયારે ઇન્જેક્શન એક ચોક્કસ પ્રક્રિયા વગર અને પૂરતા જ્ઞાન વિના આપવાથી દર્દીના જીવનું જોખમ ઉભું થઇ શકે છે.
બંન્ને ઝોલાછાપ તબીબો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે. બોગસ તબીબોને ઝડપી પાડવાની કાર્યવાહીમાં પો.સ.ઇ.એમ.આર.શકોરીયા અને પો.સ.ઇ એમ.એમ.રાઠોડ સાથે પોલીસકર્મીઓ દર્શકભાઈ , રવિન્દ્રભાઇ , ગોવિંદરાવ , શૈલેષભાઇ , ધર્મેન્દ્રભાઈ ,સુરેશભાઇ ,સાગરભાઈ , મો.ગુફરાન , ભુમિકાબેન ધરમદાસ અને પ્રહલાદભાઈએ જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે દર્દીઓ દવાખાનું જોઈ ઈલાજ માટે તબીબ પાસે પહોંચી જતા હોય છે પણ ક્યારેય આપણે ડિગ્રી તપાસવાની કે તે અંગે જાણકારી મેળવવાની દરકાર લેતા નથી જેનો લાભ લઈ ઝોલાછાપ તબીબો હાટડીઓ નાખી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરવા માંડે છે.