Breaking news : ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપના વિવાદ વચ્ચે કલેક્ટરનું મોટું પગલું: હવે સ્મારકની અંદર ભીડ કરવા પર પ્રતિબંધ
ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં આવેલી અને ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા 'રાષ્ટ્રીય રક્ષિત સ્મારક' તરીકે જાહેર કરાયેલી જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

ભરૂચ : ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય રક્ષિત સ્મારક’ તરીકે જાહેર કરાયેલી જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરના ધાર્મિક વિવાદો બાદ આ પગલું ભરાયું હોવાનું અનુમાન છે.

આ સરકારી જાહેરનામા અનુસાર ઐતિહાસિક સ્મારકની મુલાકાતે હિંદુ તેમજ મુસ્લિમ ધર્મના લોકો આવતા હોય છે. ધાર્મિક વૈમનસ્ય ન ફેલાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુલાકાતીઓની સુરક્ષા થાય અને આ ઐતિહાસિક સ્મારકને કોઈ નુકસાન ન પહોંચે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(સી) હેઠળ અગાઉ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની માર્ગદર્શિકાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના પત્ર અને માર્ગદર્શિકાના આધારે ઘણા ફેરફાર કરાયા છે.

- સૂચનાઓનું પાલન: સ્મારક સ્થળે હાજર પોલીસ અધિકારીઓ તથા પુરાતત્વ વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું મુલાકાતીઓએ ચુસ્ત પાલન કરવાનું રહેશે.
- ભીડ નિયંત્રણ : જો એક સાથે મોટી સંખ્યામાં લોકો સ્મારકની મુલાકાતે આવશે, તો સ્થળની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસની સૂચના મુજબ ઓછી સંખ્યાના જથ્થામાં (તબક્કાવાર) અંદર પ્રવેશ આપવામાં આવશે.
- ASI ના નિયમો : ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા જે પણ માર્ગદર્શિકા કે સૂચના અમલમાં મૂકવામાં આવે, તેનું પાલન કરવું ફરજિયાત રહેશે.
- નુકસાન ન થાય તે રીતે વર્તન : સ્મારકને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે વર્તન કરીને જ મુલાકાત લેવાની રહેશે.
- પ્રતિબંધિત આદેશ : રક્ષિત સ્મારકની દીવાલમાં ખીલ્લી મારવી, કોઈ વસ્તુ ચોંટાડવી, સ્મારકની મિલકતમાંથી કોઈ વસ્તુ ઉખેડવી કે તોડવી, વિસ્ફોટક સામગ્રી રાખવી, મોટો અવાજ ઉત્પન્ન કરતા વાદ્યો વગાડવા કે ત્યાં જમવાનું બનાવવા પર મનાઈ છે. ‘પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો નિયમો ૧૯૫૯’ અંતર્ગત પ્રતિબંધિત આ કૃત્યો કરવા પર સંપૂર્ણ મનાઈ છે.
વાંચો જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું મહત્વપૂર્ણ જાહેરનામું
નિયમભંગ બદલ કડક સજાની જોગવાઈ
જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉચ્ચ કક્ષાના પોલીસ કર્મચારી કે અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.
