બિસમાર ભરૂચ-દહેજ રોડથી ત્રસ્ત સ્થાનિકો વિફર્યા, ચક્કાજામ કરી તંત્રનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો
ભરૂચ-દહેજ માર્ગ ઉપરથી રોજિંદી કંપનીની બસો, અન્ય ભારે વાહનો સહિતની અવરજવર રહેતી હોય બિસ્માર માર્ગના પગલે લોકોનો વધુ સમય બરબાદ થવા સાથે વાહનોને પણ નુકસાન પહોચી રહ્યું છે. સાથે જ અકસ્માતોનું જોખમ પણ ખાડાઓને પગલે તોળાઈ રહ્યું છે.
ભરૂચ(Bharuch)થી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસમાર બનવાથીકંપનીની લકઝરી બસો, અન્ય વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોને પડી રહેલી હાલાકીને લઈ શુક્રવારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ પ્લાઝા પાસે વાહન ચાલકો અને સ્થાનીક રહેવાસીઓએ બિસ્માર રસ્તાના પગલે ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનીક રહીશો ચક્કાજામના દ્રશ્યો સર્જ્યા હતા.
દહેજ જીઆઇડીસીની વિવિઘ કપનીઓમાં પ્રથમ શિફ્ટનો સમય થતા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી પરત આવતા તેમજ પ્રથમ અને જનરલ શિફટમાં ફરજ પર જતા કર્મચારીઓને લઈ જતી મોટી સંખ્યામા લક્ઝરી બસના ચાલકો તેમજ વિવિઘ કંપનીઓના કર્મચારીઓ પણ ચક્કાજામ કાર્યક્ર્મમાં જોડાયા હતા.
કેશરોલ તેમજ આજુબાજુના ગામોના રહીશો પણ આ ચક્કાજામમાં જોડાતા જોત જોતામાં વાહનોની કતારો પડી હતી. ભરૂચ-દહેજ બન્ને તરફની જવા આવવાની લેન ઉપર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનો કતારો સર્જાતા ભરૂચ ગ્રામ્ય પોલિસ પણ આંદોલનના સ્થળ પર પહોંચી ગઇ હતી. દોઢ કલાક સુધી વાહનવ્યવહાર ઠપ્પ રહ્યો હતો જોકે બાદમાં ધીમે ધીમે ટ્રાફિક યથાવત થયો હતો. આ ચક્કા જામ આંદોલનના પગલે દહેજ જીઆઇડીસીમાં કંપનીઓના શિફ્ટના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા.
ભરૂચ-દહેજ માર્ગ ઉપરથી રોજિંદી કંપનીની બસો, અન્ય ભારે વાહનો સહિતની અવરજવર રહેતી હોય બિસ્માર માર્ગના પગલે લોકોનો વધુ સમય બરબાદ થવા સાથે વાહનોને પણ નુકસાન પહોચી રહ્યું છે. અકસ્માતોનું જોખમ પણ ખાડાઓને પગલે તોળાઈ રહ્યું છે. વહેલી તકે આ માર્ગને દુરસ્ત કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો તેમજ આસપાસના ગામની પ્રજાએ કરી છે. ભારે વાહનો પાસેથી ટોલ ઉઘરાવવા છતાં રસ્તાની જાળવણી કરવામાં આવતી નહિ હોવાનો પણ રોષ ઠાલવવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતને જાેડતા માર્ગોની હાલત બદતર છે અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.દહેજ ઔદ્યોગિક વસાહતને જાેડતો માર્ગ અત્યંત બિસ્માર હોવા છતાં કેસરોલ ગામ નજીક આવેલ જીઆરડીસી દ્વારા માર્ગો બિસ્માર હોવા છતાં વાહન ચાલકો પાસે થી ટોલ વસૂલવામાં આવતા લોકો રોષે ભરાયા હતા. બિસ્માર માર્ગ મુદ્દે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે, ગ્રામજનોને પણ હાલાકી ભોગવી પડી રહી છે, તે સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.જેના પગલે શુક્રવારની સવારે માર્ગના કારણે ત્રાસી ગયેલા ગ્રામજનોને વાહન ચાલકો રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા.