લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બનાસકાંઠા બેઠક રસપ્રદ બનતી જોવા મળી રહી છે. કેમકે આ બેઠક પર બેન vs બેનની લડાઈ થવા જઈ રહી છે સાથે જ જાતિગત સમીકરણની વાત કરીએ તો ઠાકોર vs ચૌધરીનો પણ જંગ જામશે. જ્યાં એક તરફ ભાજપે મહિલા ચહેરા તરીકે રેખા ચૌધરીની પસંદગી કરી છે, તો બીજી તરફ કોંગ્રેસે પોતાના મજબૂત નેતા ગેનીબેન ઠાકોરને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.
રેખા ચૌધરી પ્રથમ વખત રાજનીતિના દાવ પેચ શીખી રહ્યા છે અને ગેનીબેન છેલ્લા દાયકાથી રાજનીતિક દાવ પેચ રમી રહ્યા છે જેના કારણે ગેનીબેનની જાહેરાત થતાની સાથે જ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ઝાખા પડતા જોવા મળી રહ્યા છે. અને એ જ કારણ છે કે ભાજપમાં ઉમેદવાર બદલાશે તેવો સ્થાનિક ગણગણાટ પણ ચાલી રહ્યો છે.
રેખા ચૌધરીની વાત કરવામાં આવે તો તે સાધ્ય હોવાની સાથે ગલબાજીના પૌત્રી છે. જેમણે બનાસ ડેરીની સ્થાપના કરી હતી અને જેના કારણે આજે બનાસ ડેરી સાથે સંકળાયેલી અનેક મહિલાઓ પગભર અને સધ્ધર છે. પરંતુ રાજનીતિક દાવ પેજની વાત કરવામાં આવે તો ચોક્કસ રેખાબેન પાપા પગલી કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણી કેમ્પેઇનમાં સતત તેમને બદલવાનો ગણગણાટ શરૂ થયો છે ત્યારે ભાજપ એવું માને છે કે આ ગણગણાટ વિરોધ પક્ષમાંથી શરૂ કરવામાં આવી રહ્યો છે.
ભાજપે પણ ગેનીબેન સામે પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે અને ગેનીબેન બદલાશે તેવી વાર્તા વહેતી થઈ છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ એક રાત્રી બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, ગેનીબેને પણ આનો જડબાતોડ જવાબ આજે જાહેર મંચ પરથી આપ્યો છે અને કહ્યું છે કે મને 28 વર્ષ રાજકારણમાં થયાં જેમાં ભારતીય જનતા પાર્ટી હોય કે સીબીઆઇ હોય કે પોલીસ હોય કે તમામ એજન્સીઓ દબાવવાનો પ્રયત્ન કરે તો મારી કાયમી એક વાત રહી છે કે તમે આ ગેનીબેન ઠાકોરને નઇ દબાવી શકો. તમે ગમે તેટલા જુલમ કરો ગમે એટલા કેસ કરો પણ ગેનીબેન ઠાકોરને નઇ જીતી શકો માટે મને કોઈની બીક નથી.