ગુજરાતને આઠ વર્ષથી ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે : સીએમ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)આજે નવરાત્રીના(Navratri 2022 ) પાંચમા નોરતે આદ્યશક્તિ મા અંબાના ધામથી ગુજરાતને 6900 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)આજે નવરાત્રીના(Navratri 2022 ) પાંચમા નોરતે આદ્યશક્તિ મા અંબાના ધામથી ગુજરાતને 6900 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેનાથી ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ અને સરકારની સંકલ્પશક્તિ બંને ઉજાગર થઇ છે. તેમણે કહ્યું હતું કે ભારતભરમાં ‘અંત્યોદયથી સર્વોદય’નો વિચાર મૂર્તિમંત કરનારા વિકાસપુરુષ આદરણીય નરેન્દ્રભાઇએ જનકલ્યાણના આપણા સંકલ્પને નવી શક્તિ-નવી ઊર્જા પ્રદાન કરી છે. દેશના રોલમોડેલ સ્ટેટ ગુજરાતના વિકાસનું વટવૃક્ષ નરેન્દ્ર મોદીએ તેમના પરસેવાથી સિંચ્યું છે. એમાંય છેલ્લા 8 વર્ષથી તો ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું કે આ ડબલ એન્જિન સરકારને કારણે જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતમાં 4 લાખ ગ્રામીણ અને 7 લાખથી વધુ શહેરી ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને પોતાના આવાસ મળ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના જેવી યોજનાઓના 1800 કરોડના કુલ 53 હજાર જેટલાં નવા આવાસોનું લોકાર્પણ કરાયું છે અને રૂપિયા 116 કરોડના 8600 આવાસોનું ખાતમુહૂર્ત થયું છે તથા 50 હજારથી વધારે પરિવારો આવનારી દિવાળીએ પોતાના ઘરના ઘરમાં દિવડા પ્રગટાવી આનંદ ઉલ્લાસથી પોતીકા ઘરે દિવાળી મનાવશે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગરીબોના આંસુ લૂછનારી, જરૂરતમંદની પડખે રહેનારી, સમાજના દરેક વર્ગને સાથે રાખી ચાલનારી, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી આ સરકાર સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સત્તાને સેવાનું માધ્યમ બનાવી ચાલતી સરકાર છે. તેમણે કહ્યું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં ગૌ-ગંગા ગાયત્રી અને ગીતાનો મહિમા ગવાયો છે તેને ઉજાગર કરતાં આજે આદ્યશક્તિ ધામ અંબાજીના આંગણેથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન ધરાવતી ગાય અને ગૌ-વંશના નિભાવ માટે મહત્વપૂર્ણ એવી મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.
અંબાજીમાં હેવી ટ્રાફિકનું નિવારણ થઇ શકશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતે બે લાખ 19 હજાર કિ.મી જેટલા રોડ રસ્તા સહિત રેલ્વે, વોટર-વે, એર-વે દરેક ક્ષેત્રે કનેક્ટિવીટીનું સુદ્રઢ માળખું વિકસાવ્યું છે. આજે એ કડીમાં વધુ એક નવું પ્રકરણ વડાપ્રધાન અંબાજી બાયપાસ રોડના ખાતમૂર્હતથી જોડ્યું છે. 124 કરોડના ખર્ચે નિર્માણ થનારા આ બાયપાસ રોડને પરિણામે અંબાજીમાં હેવી ટ્રાફિકનું નિવારણ થઇ શકશે. મીઠા-થરાદ-ડીસા અને લાખણી ફોર લેન રોડ પણ વડાપ્રધાનના વરદહસ્તે આજે ખુલ્લો મૂકાયો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર ગુજરાતના નાગરિકોની વર્ષોથી માંગણી હતી કે તારંગા હિલ, અંબાજી અને આબુરોડને જોડતી રેલવેલાઈન શરૂ કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ માંગણીને સ્વીકારીને તારંગા-આબુ રોડ રેલ પરિયોજનાને મંજૂરી આપી અને આજે તેનું ભૂમિપૂજન પણ નવરાત્રીના પાવન પર્વમાં તેમના હસ્તે થયું છે.આ રેલવે લાઇન મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ કરશે. આ રેલ પરિયોજનાથી ગુજરાતના માર્બલ ઉદ્યોગને નવું બળ મળશે. સાથોસાથ ધાર્મિક સ્થળો યાત્રાધામોએ આવનારા પ્રવાસીઓને નવી સુવિધા મળશે
3 કિલોમીટર લાંબી પાલનપુર- મહેસાણાની 62 કિલોમીટર રેલ-લાઈનનું લોકાર્પણ
તેમણે કહ્યું કે, આ ઉપરાંત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની 13 કિલોમીટર લાંબી પાલનપુર- મહેસાણાની 62 કિલોમીટર રેલ-લાઈનનું લોકાર્પણ તેઓ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાદ યોજના દ્વારા ભારતના પ્રાચીન ધાર્મિક સ્થળોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો રાહ ચિંધ્યો છે. આજે તેમના વરદ હસ્તે અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત 52 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન થયું છે. રાજ્ય સરકારે વડાપ્રધાનના નેતૃત્વમાં અંબાજી સહિત અન્ય તીર્થક્ષેત્રોની કાયાપલટ કરી છે, પરિણામે ગુજરાત દેશનું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યુ છે.