આજે શરદપૂર્ણિમાનું (Shardpoonam ) પાવન પર્વ છે ત્યારે શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે માઇભક્તો મોટી સંખ્યામાં પૂનમાં દર્શન કરવા માટે ઉમટ્યા હતા. સવારના સમયે અંબાજી શક્તિપીઠ ખાતે મંગળા આરતીમાં મોટી સંખ્યામા ભાવિકોએ દર્શન કર્યા હતા. શરદ પૂર્ણિમાએ સવારના 6 વાગ્યે મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. તેમજ રાત્રે 12 વાગ્યે પણ શરદ પૂનમની વિશેષ આરતી કરવામાં આવશે. સાથે સાથે રાત્રે 12 વાગ્યે શરદપૂનમની મહાઆરતી થશે જેમાં 30 હજાર દીવડા પ્રગટાવવામાં આવશે. શરદ પૂનમ પણ ભાદરવી પૂનમની જેમ મોટી પૂનમ ગણાતી હોવાથી ગત રાતથી જ ભાવિકો મંદિર ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. આજે રાત્રે 12 વાગ્યે વિશેષ આરતી બાદ દૂધ પૌઆનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.
અંબાજી ખાતે મોટી સંખ્યામાં દૂધ પૌંઆનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને ભાવિક ભક્તો દ્વારા આ પ્રસાદ લેવા માટે લાંબી કતારો લાગે છે રાત્રે બાર વાગ્યે આરતી સંપન્ન થયા બાદ આ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. અંબાજી સહિત આજે વિવિધ શક્તિમંદિરોમાં શરદ પૂનમ નિમિત્તે દૂધ પૌંઆના વિશેષ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેમજ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ તરફથી દર્શન માટેની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. આ પૂનમે પણ કેટલાક સંઘો પગપાળા આવી મા અંબાના શિખરે ધજાઓ ચઢાવવા માટે પહોંચ્યા હતા.
કહેવાય છે કે શરદપૂર્ણિમાના દિવસથી શીતળતાનો અનુભવ થતો હોય છે. આ દિવસથી ચોમાસુ સંપૂર્ણ પણે વિદાય લઇને શરદ ઋતુમાં ઠંડીનો અનુભવ થાય છે. શરદપૂનમ ગુજરાતી પંચાગની છેલ્લી પૂનમ ગણાય છે જેને લઈને વ્રતની પૂનમ ભરવા માટે વિવિધ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
તો પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલે આઠમના રોજ અંબાજીમાં દર્શનનો લાભ લીધો હતો અને ચાચર ચોકમાં માતાજીની આરતી ઉતારી હતી. જે બાદ અનુરાધા પૌડવાલે શ્લોક સ્તુતિ સાથે ગરબાની રમઝટ પણ બોલાવી હતી. આ સમયે ચાચર ચોકમાં ગરબા રમવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા