ઘરોમાં પાણી ઘૂસે ત્યારે કેવું થાય? સાંભળો દિયોદરના લક્ષ્મીપુરાના લોકોની જુબાની, જુઓ Video
બનાસકાંઠાના દિયોદરમાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદને કારણે લક્ષ્મીપુરા વિસ્તાર જળબંબાકાર બન્યો છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ભારે વરસાદના કારણે દિયોદરના લક્ષ્મીપુરા વિસ્તાર, ખાસ કરીને વોર્ડ નંબર 14, સંપૂર્ણપણે જળબંબાકાર બન્યો છે. સવારથી વરસી રહેલા વરસાદે લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરી દીધા છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
માહિતી અનુસાર, આજે વહેલી સવારે પણ 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવાની સમસ્યાને વધુ વિકટ બનાવી છે. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જતા તેમનો રોજિંદો વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. “હાલત બે દિવસથી એટલી ગંભીર છે કે અમારે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે,” તેમ એક સ્થાનિક નિવાસીએ જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ, તેમના ધંધા-રોજગાર પણ બંધ પડી ગયા છે અને તેમને પાણીના તાત્કાલિક નિકાલની માંગ છે. આ પાણીની સમસ્યા આજની નથી, પરંતુ વર્ષોથી તેમની આ સમસ્યા ચાલી રહી છે.
લક્ષ્મીપુરાના રહીશો છેલ્લા ત્રણ દિવસથી પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. પાણી ભરાવાને કારણે બાળકો અને વૃદ્ધોની હાલત દયનીય બની છે. ઘરોમાં પાણી ભરાઈ જવાથી ખાવા-પીવાની વ્યવસ્થા પણ કથળી છે. એક સ્થાનિક વૃદ્ધે જણાવ્યું કે, “અમારા ઘરમાં કેડ-કેડ સમા પાણી ભરાયા છે, કોઈ નિકાલ નથી. છેલ્લાં બેંસી વર્ષથી આ જ પરિસ્થિતિ છે. અમારે ખૂબ મુશ્કેલી પડે છે. છોકરા-બાળકોને પણ બહાર ચડી રહેવું પડે છે.”
સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની ફરિયાદ છે કે આટલા મોટા પાયે પાણી ભરાયા હોવા છતાં કોઈ અધિકારી કે નેતા તેમના ઘર સુધી પહોંચ્યા નથી. “કોઈ અધિકારીઓ કે નેતાઓ આવે છે અને જોઈને જતા રહે છે,” તેમ એક રહીશે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોની એકમાત્ર માંગ પાણીના નિકાલની છે. તેઓ કહી રહ્યા છે કે, “ગમે તેમ કરીને આ પાણીનો નિકાલ કરો. સાહેબોને, અધિકારીઓને, મીડિયાવાળા સાહેબોને બધાને વિનંતી છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવે.”
લક્ષ્મીપુરા વિસ્તારના લોકોની માંગણી સ્પષ્ટ છે: “જમવાનું નહીં મળે તો ચાલશે પરંતુ ઘરમાંથી પાણીનો નિકાલ થવો જોઈએ.” તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં તંત્ર સામે નારાજગી પ્રવર્તી રહી છે. દિયોદરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે, અને લોકો આ હાલાકીમાંથી મુક્તિ મેળવવા માટે વલખાં મારી રહ્યા છે.
નવસારીમાં પૂરનો હાહાકાર, સંઘવી અને પાટીલની તંત્ર સાથે બેઠક, જુઓ Video