Banaskantha : પાણીનો પ્રશ્ન ઉકેલાશે, કરમાવત તળાવ ભરવા માટે મુખ્યમંત્રીનો હકારાત્મક અભિગમ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓ અને સચિવોને સૂચના આપી હતી.

Banaskantha : પાણીનો પ્રશ્ન ઉકેલાશે, કરમાવત તળાવ ભરવા માટે મુખ્યમંત્રીનો હકારાત્મક અભિગમ
Gujarat CM Bhupendra Patel Meeting
| Edited By: | Updated on: May 25, 2022 | 9:33 PM

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું કરમાવત તળાવ(Karmavat lake)ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગે તળાવ ભરવા માટે વિધેયાત્મક અભિગમ દાખવ્યો છે. જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી.આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી જીતુભાઇ ચૌધરી તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ અને રાજ્ય મંત્રી કિર્તિસિંહ, ગજેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાનું આ કરમાવત તળાવ ભરવા અંગે જિલ્લાના ગ્રામીણ પ્રજાજનોની રજૂઆત સંદર્ભમાં સાંસદ પરબતપટેલ, દિનેશભાઇ અનાવાડિયા, ધારાસભ્ય શશીકાંત પંડયા, પૂર્વ મંત્રી હરિભાઇ ચૌધરી, બનાસડેરીના સવશીભાઇ, જિલ્લા કિસાન મોરચાના શ્રી મેઘરાજભાઇ, તાલુકા પ્રમુખ મોતીભાઇ, કેશાજી ચૌહાણ તેમજ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી અને પદાધિકારી તથા અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી અને વરિષ્ઠ મંત્રીઓ તથા અધિકારીઓ સાથે વિશદ ચર્ચા-પરામર્શ કર્યા હતા.

મુખ્યમંત્રીએ આ તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓ અને સચિવોને સૂચના આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી, જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલ, સચિવ વિવેક કાપડીયા તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ વગેરે આ બેઠકમાં જોડાયા હતા.

Published On - 9:28 pm, Wed, 25 May 22

Follow Us