આજે સવારથી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના વાતાવરણમાં પલટો નોંધાયો છે અને વાદળછાયા વાતાવરણની સાથે સાથે ક્યાંક વરસાદી ઝાપટાં પણ પડ્યા છે ત્યારે બનાસકાંઠા (Banaskantha) તેમજ પાલનપુર પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા. પાલનપુરના જગાણા, બાગલ અને લાલાવાડા સહિતના ગામોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ખાસ તો આ વાતાવરણથી ખેડૂતોને મગફળીના (Ground nut crop) પાકમાં નુકસાન થાય તેનો ભય સતાવી રહ્યો છે. અથાગ મહેનત બાદ ઉગેલો મોલ હવે લેવાની તૈયારી છે ત્યારે આ પ્રકારનું વાતાવરણ પાકને નુકસાન કરી શકે છે.
આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે પરંતુ અન્ય રાજ્યોમાં મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસ હજુ પણ વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હાલ આંધ્ર પ્રદેશ પર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી રહી છે. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, પરંતુ વરસાદને પગલે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઇ શકે છે
નોરુ વાવાઝોડાને કારણે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું પુરુ થવામાં વિલંબ થઈ શકે છે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની અસર યથાવત છે. ટર્ફ લાઈન આંધ્ર પ્રદેશના લો પ્રેશરવાળા વિસ્તારથી પર બીજા ચક્રવાત સુધી પસાર થઈ રહી છે. જેના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી અસર જોવા મળશે. ગઈકાલથી વરસી રહેલા વરસાદને કારણે વહેલા રવી વાવણી કરતા રાજ્યોના ખેડૂતોને રાહત થશે, તો બીજીબાજુ શાકભાજી અને ફૂલોની ખેતી પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે.
ઇનપુટ ક્રેડિટ: અતુલ પુરોહિત ટીવી9 બનાસકાંઠા