સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં લમ્પી વાયરસનો કહેર, થરાદ અને વાવ તાલુકામાં લમ્પીના 50થી વધુ કેસ સામે આવ્યા

સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તરગુજરાતમાં લમ્પી વાયરસનો કેર વધ્યો છે. જેમા બનાસકાંઠાના થરાદ અને વાવ તાલુકામાં લમ્પી વાયરસના 50થી વધુ કેસ નોંધાયા છે. જેને લઈને હવે તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી છે.

સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં લમ્પી વાયરસનો કહેર, થરાદ અને વાવ તાલુકામાં લમ્પીના 50થી વધુ કેસ સામે આવ્યા
બનાસકાંઠામાં લમ્પી વાયરસના 50 કેસ
| Edited By: | Updated on: Jul 22, 2022 | 9:35 AM

પશુઓમાં જોવા મળતો લમ્પી રોગ (Lumpy Disease) હવે ઉત્તરગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે ઉત્તરગુજરાતમાં પણ તેનો ફેલાવો વધ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા(Banaskatha)ના થરાદ અને વાવ તાલુકામાં લમ્પી વાયરસના 50થી વધુ કેસ સામે આવ્યા છે. થરાદના નાગલ ગામમાં 10 પશુમાં લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. વાવના અસારા ગામમાં 20 અને ભટરવાસમાં બે પશુઓમાં આ વાયરસ દેખાયો છે. ખાસ કરીને ગાય-ભેંસમાં આ વાયરસ ફેલાઈ રહ્યો છે. જેને લઈને પશુપાલકોમાં પણ ચિંતા ફેલાઈ છે. બનાસકાંઠામાં લમ્પી વાયરસે (Lumpy Virus) દેખાતા તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમા વાયરસ ગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ કરી દેવામાં આવ્યા છે.

શું છે લમ્પી વાયરસના લક્ષણો ?

લમ્પી વાયરસ એ ચામડી (LUMPY SKIN DISEASE)નો રોગ છે. આ રોગમાં પશુઓના શરીર પર મોટા મોટા ચાઠા પડી જાય છે. જેમાંથી મોટા-મોટા ફોડલાઓ અને ગઠ્ઠા થવા લાગે છે. આ રોગમાં સપડાયેલ પશુઓની દૂધ આપવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. પશુ એકદમ દુર્બળ દેખાવા લાગે છે. તેના મોઢામાંથી સતત લાળ પડ્યા કરે છે. પશુઓનો ખોરાક પણ ઘટી જાય છે, પશુ ખાવાનું ઓછુ કરી દે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે. પશુઓમાં આ રોગ ફેલાયાના એક સપ્તાહની અંદર તેના ચિન્હો જોવા મળે છે. જેમા પશુઓને સૌપ્રથમ તો તાવ આવે છે.

શેનાથી ફેલાય છે લમ્પી વાયરસ ?

આ રોગ કેપ્રીપોક્ષ નામના વાયરસથી ફેલાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તેમજ ઈતરડીથી ફેલાય છે. આ રોગની સંક્રમણ ક્ષમતા પણ ઘણી વધારે છે. આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

રોગમાંથી પશુને કેવી રીતે બહાર લાવી શકાય

રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2થી 3 અઠવાડિયામાં સાજુ થઈ જાય છે, રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી. આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે.