તાઉ તે વાવાઝોડાથી ખેતી અને બાગાયત પાકને થયેલા નુકશાનનો સર્વે કરીને ખેડૂતોને સહાય પેકેજ અપાશેઃ રૂપાણી
તાઉ તે વાવાઝોડાથી ( cyclone tauktae ) મકાન-ઘરને થયેલા નુકસાનનો પણ સર્વે કરવા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને મુખ્ય પ્રધાનનો આદેશ.
ગુજરાતમાં 17 અને 18મી મેના રોજ ફુંકાયેલા તાઉ તે વાવાઝોડાથી ( cyclone tauktae )અસરગ્રસ્ત થયેલા ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી કે, ખેતી અને બાગાયત પાકને થયેલા વ્યાપક નુકશાનનો તત્કાલ સર્વે કરીને, અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરીને મદદ કરાશે.
ગીર સોમનાથ જિલ્લાના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉના ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાને વહીવટીતંત્રને તાકીદ કરી હતી કે, તાઉ તે વાવાઝોડાને કારણે જે કોઈ મકાનોને નુકસાન થયુ છે તેમના નુકશાનીનો સર્વે કરો. અને જે કોઈના મકાનોને નુકશાન થયું છે, તેમને નિયમાનુસાર મદદ-સહાય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરો.
તાઉ તે વાવાઝોડાને કારણે, સરકારની જે કોઈ સેવાઓ ઠપ્પ થઈ ગઈ હોય તેને પુનઃ સ્થાપન કરવા માટે આજુ બાજુના જિલ્લા અને તાલુકમાંથી વધુ કર્મચારીઓ બોલાવીને પણ ત્વરીત જનજીવન રાબેતા મુજબ થાય તેની વ્યવસ્થા કરવા ઉપર ભાર મૂક્યો હતો. ખાસ કરીને વીડ પૂરવઠો યથાવત કરવા માટે આજુબાજુના જિલ્લાઓ કે જ્યા વાવાઝોડાની અસર બહુ નથી થઈ ત્યાથી 300 કર્મચારીઓને બોલાવીને વીજ પુરવઠો પુનઃ સ્થાપવા માટે કામગીરી કરાશે.
તાઉ તે વાવાઝોડાને લીધે ગીર સોમનાથ જિલ્લાના 170 ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. જો કે વીજ પુરવઠો ના હોવાથી જનરેટર દ્વારા પિવાના પાણીની જરૂરિયાત પૂરી કરવાની કામગીરી પૂર્ણ થઇ છે. હજુ 64 ગામોમાં પિવાના પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવવાની બાકી છે. જે આવતીકાલ શુક્રવારની સાંજ સુધીમાં આ વ્યવસ્થા ગોઠવી દેવાશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગીરસોમનાથ જિલ્લાના વાવાઝોડા તાઉ તે થી તબાહ થયેલા દરિયાકાંઠાના વિસ્તારોને ઝડપથી બેઠા કરવામાં આવશે. પહેલાની જેમ જ રાબેતા મુજબ ધમધમતા થાય તેવા કરવામાં આવશે. તાઉ તે વાવાઝોડુ ગીર સોમનાથના ઉનાથી જે માર્ગે પસાર થયુ તે માર્ગ ઉપર ગાંધીનગરથી ઉના સુધીના માર્ગે હેલિકોપ્ટર દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું.