અંબાજી પદયાત્રીકોની સુરક્ષા માટે RTO અને પોલીસે રિફ્લેક્ટર અને જેકેટનો ઉપાય અજમાવ્યો, શ્રદ્ધાળુઓને સુરક્ષીત રાત્રી યાત્રા માટે કરાઈ અપીલ
ખેડબ્રહ્મા નજીક રાત્રી દરમિયાન પોલીસ દ્વારા પગપાળા અંબાજી જતા યાત્રીકોના સામાનને રિફ્લેક્ટર લગાડવામાં આવી રહ્યા છે, જ્યારે આરટીઓ દ્વારા રિફ્લેક્ટીવ જેકેટ (Reflective Jackets) વિતરણ કરાયા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના માર્ગો પરથી હાલમાં અંબાજી (Ambaji) પદયાત્રી ઓ મોટા પ્રમાણમાં પસાર થઈ રહ્યા છે. ભાદરવી પૂર્ણીમાને લઈ લાખો પદયાત્રીઓ અંબાજી ભણી આગળ વધી રહ્યા છે. બંને જિલ્લાના સ્ટેટ હાઈવે અને અંતરિયાળ માર્ગો પર અંબાજી જનારા યાત્રીકોની ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન પદયાત્રીઓમાં અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. માલપુર નજીક પદયાત્રીઓને કારે અડફેટે લેતા મોત નિપજ્યા હતા. આવી ઘટનાઓથી બચવા માટે સાબરકાંઠા આરટીઓ (Himmatnagar RTO) અને સાબરકાંઠા પોલીસ (Sabarkantha Police) દ્વારા રિફ્લેક્ટર લગાવવામાં આવી રહ્યા છે.
અંબાજી તરફ પસાર થતા માર્ગો પર સાબરકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા રિફ્લેક્ટર પદયાત્રીઓને લગાવવામાં આવી રહ્યા છે. આરટીઓ દ્વારા રિફ્લેક્ટીવ જેકેટનુ વિતરણ હિંમતનગર નજીક કરવામાં આવ્યુ હતુ. હિંમતનગરના વક્તાપુર નજીક આરટીઓ દ્વારા રિફ્લેરક્ટીવ જેકેટનુ વિતરણ કરી પદયાત્રીઓને રાત્રી દરમિયાન સુરક્ષીત પદયાત્રા કરવા માટે અપીલ આરટીઓ અધિકારી આરપી પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. રાત્રી દરમિયાન પગપાળા ચાલવા દ્વારા વાહનચાલકોને પગપાળા યાત્રીકો યોગ્ય રીતે નજરમાં જણાઈ આવી અને અકસ્માત ટાળી શકાય એ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા
પોલિસ દ્વારા પણ રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા હતા. ખાસ કરીને ખેડબ્રહ્મા નજીકથી પસાર થતા માર્ગો પર રાત્રી દરમિયાન પદયાત્રીકોની સલમાત યાત્રા માટે થઈને રિફ્લેક્ટર યાત્રીકોની ધજા, અને પીઠ પાછળ ભરાવેલ થેલાઓ પર લગાડવામાં આવ્યા હતા. જેને લઈ રિફ્લેક્ટરથી પદયાત્રીઓની સલામતિમાં વધારો થાય. ખેડબ્રહ્માના પોલીસ મથકના પીએસઆઈ પીપી જાની અને તેમના સ્ટાફ દ્વારા રાત્રી દરમિયાન રિફ્લેક્ટર લગાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સાબરકાંઠા પોલીસ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને રાત્રિ દરમિયાન રોડ અકસ્માત થી બચાવવા રેડિયમ પટ્ટી લગાડવામાં આવી. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #Sabarkantha #ambaji pic.twitter.com/PPDQSW7ab9
— Sabarkantha Police (@SPSabarkantha) September 3, 2022
આવી જ રીતે પ્રાંતિજ થી હિંમતનગર હાઈવે પર પણ સલાલ નજીક પણ રિફ્લેક્ટર લગાડવામાં આવ્યા હતા. જે રીતે અંબાજી પદયાત્રીકોને વાહન ચાલકોની અડફેટે લેવાની ઘટના ઘટવાના કિસ્સા સામે આવ્યા છે, બીજી તરફ મોટી ભીડ હોવાને લઈ અકસ્માતના ભયને ટાળવા માટે પ્રયાસ રુપ કામગીરી હાથ ધરાઈ છે. ટ્રાફીક પોલીસ દ્વારા પણ સતત આ માટે પગપાળા અંબાજી જઈ રહેલા યાત્રીકોને અને વાહનચાલકોને સલામતી માટે અપીલ કરવામાં આવી રહી છે. યાત્રિકોને ડાબી બાજુએ ચાલવા માટે અપિલ કરાઈ રહી છે અને વાહન ચાલકોને જમણી તરફ વાહન હંકારવા માટે અપીલ કરાઈ રહી છે.
ઈનપુટ ક્રેડિટ-અવનિશ ગોસ્વામી, સાબરકાંઠા