Arvalli: ઝાંઝરીના ધોધમાં નહાવા પડેલા અમદાવાદના ત્રણ યુવકો ડૂબ્યા, રાતભર નદીમાં શોધખોળ હાથ ધરાઈ
ઈદના તહેવારોની રજાઓને લઈને અમદાવાદના યુવાનો ઝાંઝરીમાં ફરવા માટે આવ્યા હતા. જ્યાં વાત્રક નદીના ધોધમાં નહાવા ડતા ડૂબી ગયા હતા.
અરવલ્લી (Arvalli) જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરીના ધોધ (Zanzari WaterFall) થી વધુ એકવાર અણગમતા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ થી ઈદના તહેવારોના આનંદ ઉત્સાહને મનાવવા માટે આવેલા યુવકો પૈકી 3 યુવાનો ડૂબી જતા શોકનો માહોલ ફેલાયો છે. અમદાવાદથી ઝાંઝરી ધોધ ખાતે તહેવારના દિવસો મનાવવા માટે યુવકો અહી આવ્યા હતા અને વાત્રક નદી (Watrak River) ના ધોધમાં નહાવા માટે પડ્યા હતા. પરંતુ યુવકો ડૂબવા લાગતા સ્થાનિક લોકોએ તેમને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના બચાવના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. જેને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી અને તેમની મદદ વડે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બાયડ મામલતદાર તરફ થી મળતી વિગતો મુજબ અમદાવાદ બાપુનગરના આ યુવાનો અહીં ફરવા માટે આવ્યા હતા. જેમાંથી (1) ઈસ્તિયા કમરુભાઈ મનસુરી, (2) હસન ઈર્શાદભાઈ મનસુરી અને (3) ઈરફાન મનસુરી વાત્રક નદીના ધોધમાં નહાવા પડ્યા હતા. ત્રણેય યુવાનોની ઉંમર આશરે 20 થી 22 વર્ષની છે. મામલતદાર ને પણ આ અંગેની પ્રાથમિક વિગતો ડાભા ગામના સ્થાનિકો દ્વારા આ અંગેની વિગતો મળી હોવાની જાણકારી આપી છે.
ઘટનાને લઈને સ્થાનિક ફાયર બ્રિગેડ તેમજ વિસ્તારના અનુભવી તરવૈયાઓ દ્વારા યુવાનોની નદીમાં શોધખોળ હાથ ધરી છે. પરંતુ મોડી રાત્રી દરમિયાન એક યુવાનની લાશ નદીમાંથી બહાર નિકાળી શકાઈ હતી. જ્યારે અન્ય 2 યુવકોની શોધખોળ જારી રહી હતી.
એનડીઆરએફની ટીમને મદદ માટે જાણ કરાઈ
સ્થાનિક મામલતદાર દ્વારા આ અંગે એનડીઆરએફની ટીમની માંગણી કરવામાં આવી છે. આ માટે રાત્રી દરમિયાન જિલ્લા કલેકટરને પત્ર લખીને ટીમની માંગણી કરવામાં આવી હતી. આ માટે નદીનો ધરો ઉંડો હોવાનુ અને શોધખોળ બાદ પણ જલદી કોઈ જ બચાવકામગીરીમાં સફળતા હાથ નહી લાગતા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી માટે ટીમની માંગ કરવામાં આવી હતી.