Anand: તળાવમાંથી શિવલિંગ આકારનો સ્તંભ મળવા મામલે તપાસ થશે, સોમવારે પુરાતત્વ વિભાગ ઘટના સ્થળની લેશે મુલાકાત
શનિવારના રોજ આણંદ (Anand) ના બોરસદ તાલુકામાં અભેટાપુરાના તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી.
આણંદના (Anand) બોરસદ તાલુકામાં (Borsad) અભેટાપુરા ગામની સીમના તળાવમાંથી શનિવારે એક શિવલીંગના આકાર જેવો સ્તંભ મળ્યો હતો. જેને જોઇને આસપાસના લોકો શિવલિંગ મળ્યુ હોવાનું જાણીને મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. જો કે આ સ્તંભ મળવા અંગે હવે તપાસ કરવામાં આવશે. આવતીકાલે એટલે કે સોમવારે ભૂસ્તર શાસ્ત્રીઓ (Geologists) અને પુરાતત્વ વિભાગ ઘટના સ્થળની મુલાકાત લેશે અને આ સ્થંભ છે કે અન્ય કંઇ તે અંગે તપાસ કરી રિપોર્ટ આપશે.
મળેલો સ્તંભ શિવલિંગ જેવી કૃતિ
શનિવારના રોજ આણંદના બોરસદ તાલુકામાં અભેટાપુરાના તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી. ગામમાં રેલવે કોરીડોર માટે કામગીરી કરવામાં આવી રહી હતી. તે માટે અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતુ. ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકોએ પહેલા તેને વૃક્ષનુ મોટુ થડ સમજી લીધુ હતું. ત્યારબાદ બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા સ્થંભ જેવી દેખાઈ રહેલી કૃતિ પરથી પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો હતો.
મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટ્યા
આ વાતની જાણ આજુબાજુના ગામોમાં વાયુવેગે ફરી વળતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને સ્તંભ આકારના પથ્થરને શિવલિંગ માની દર્શન કરી રહ્યાં છે. હાલ તો આજુબાજુ ગામના લોકો પણ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી રહ્યાં છે. ત્યારે હવે સોમવારે ભૂસ્તર શાસ્ત્રીઓ ઘટના સ્થળની મુલાકાત લેશે અને આ સ્થંભ છે કે અન્ય કંઇ તે અંગે તપાસ કરી રિપોર્ટ આપશે. રિપોર્ટ આવશે ત્યારબાદ જ નક્કર વિગતો બહાર આવશે.
ભૂસ્તર શાસ્ત્રીઓ બનાવશે તપાસ રિપોર્ટ
હાલ તો મોટી સંખ્યામાં લોકો અહી દર્શન કરવા આવી રહ્યાં છે. લોકો આ સ્તંભને આસ્થા સાથે સરકાવી રહ્યાં છે. જોકે, આ બાબત ભૂસ્તર શાસ્ત્રીઓની હોવાથી તે અંગે વિભાગ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે. પછી જ આ રહસ્ય પરથી પડદો ઉકલાશે કે આ ખરેખર શું છે.