ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) પૂર્ણ થઇ ગયુ હોવા છતા અનેક જિલ્લામાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમરેલી (Amreli) જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. રાજુલા શહેર અને આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અમરેલી જિલ્લામાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ખેડૂતોને તેમના કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતી છે.
અમરેલી જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર અને આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. કેટલાક વિસ્તારોમાં તો વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ વરસ્યો હતો. રાજુલાના જૂની માંડરડી, ઝાપોદરમાં વરસાદ વરસ્યો છે. ધારેશ્વર,આગરિયા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.
જાફરાબાદ તાલુકાના કેટલાક ગામડામાં પણ ધીમીધારે વરસાદ થયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકમાં પાણી ફરી વળ્યુ છે. ખેડૂતોને તૈયાર થઇ ગયેલો પાક બરબાદ થઇ જશે તેવી ચિંતા છે.
મહત્વનું છે કે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પૂર્ણાહુતી થઈ ગઈ છે. પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવામાન પર તેની અસર જોવા મળી છે. ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થઇ ગયુ હોવા છતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. સુરત શહેરના વરાછા, કાપોદ્રા, સ્ટેશન રોડ, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. પીપલોદ, રાંદેર, અડાજણ, ડુમ્મસ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના પગલે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોને મોટા નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ડાંગર નો ઉભો પાક નાશ પામે તેવી શક્યતા વર્તાય રહી છે. એક અંદાજ મુજબ, આશરે 50 કરોડ નું અંદાજિત નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 લાખ ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે. જેમાં 8 થી 12 હજાર હેકટરમાં ડાંગર નું વાવેતર કરવામાં આવે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે 500 કરોડ ની આવક ડાંગરની ખેતી માંથી ખેડૂતોને થાય છે.
Published On - 5:11 pm, Tue, 11 October 22