મેઘરાજા હવે તો ખમૈયા કરો : સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થતા જગતના તાતને વ્યાપક નુકસાન, જુઓ VIDEO
સાબરકાંઠા જીલ્લાના ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કારણ કે વરસાદે ડાંગરના ઊભા પાકનો સોથ વાળી દીધો છે.
સાબરકાંઠા (sabarkantha) જીલ્લાનું પ્રાંતિજ તાલુકાએ એ ડાંગરનું હબ કહેવાય છે. જ્યાં સૌથી વધુ ડાંગર સોનાસણ, પલ્લાચર, પોગલુ, અમીનપુર સહિતના ગામોમાં તેનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે જીલ્લામાં બે લાખ 29 હજાર 436 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ હતું. જેમાં સૌથી વધુ વાવેતર મગફળી અને ત્યારબાદ કપાસનું (Cotton) થયું છે. ડાંગરનું (Dangar) 6722 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ પ્રાંતિજ (Prantij) તાલુકામાં 6324 હેક્ટરમાં કરવામાં આવ્યું હતું. ખેડૂતો ખુશ હતા કેમકે ઘણા સારા પ્રમાણમાં ખેતી કરવામાં આવી હતી. જો કે તેમની ખુશી લાંબો સમય ના ચાલી અને બીજા જ દિવસે કુદરતી આફત સમાન વરસાદ (Rain) એવો તુટી પડ્યો કે તેમનુ સ્મિત છીનવાઇ ગયું.
ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો
ખેડૂત જણાવી રહ્યા છે કે પાકમાં કેવી રીતે બગડ્યો અને બજારમાં કેવી રીતે તેમના પાકનો ભાવ તૂટશે. ડાંગર જમીનદોસ્ત થઇ જવાને કારણે પોચી પડી ચૂકી છે અને કાળી પડી જવાને કારણે ઉત્પાદન ઓછુ થશે જેનો આર્થિક ફટકો ખેડૂતોને સહન કરવાનો આવશે. ન માત્ર એટલુ પણ પશુઓ માટે નીકળતો ઘાસચારો પણ મળે તેવી શક્યાતો ઓછી હોવાથી ડબલ માર સહન કરવાનો વારો આવશે.
તેવામાં વરસાદની આગાહી હોવાને કારણે થોડું ધણું પણ હાથમાં આવવાનુ હતુ હવે એ પણ આવશે કે કેમ તે પણ સવાલ ખેડૂતોને મુંઝવી રહ્યો છે. તો ખેડૂતોનો ડાંગરનો પાક જ નહીં પણ તેમની મહામહેનત ધોવાઇ ગઇ છે, ત્યારે આ મહામુસીબતમાં તેમની પડતર પણ તેમને મળશે કે કેમ તે વિચારમાત્ર ખેડૂત નિરાશા અનુભવી રહ્યો છે.