અમરેલીમાં સાવરકુંડલા (Savarkundla)– લીલીયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સંવાદ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી (Paresh Dhanani) સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ અમરેલી સંસદીય બેઠકના રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress) પ્રભારી અને રાજસ્થાનના મંત્રી સુખરામ બિશનોઈ અને રાષ્ટ્રીય કોંગ્રેસ સહ પ્રભારી ગોપાલ મીણાજી ખાસ ઉપસ્થિત રહ્યા. વિધાનસભા ચૂંટણી (Vidhan sabha Election 2022) અંતર્ગત સાવરકુંડલા બેઠક કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા. અને ગુજરાતમાં કોંગ્રેસી સરકાર બનશે તેવો વિશ્વાસ કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી સક્રિય થઈ રહી છે. આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર,રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેર સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અમરેલી જિલ્લાની 5 બેઠક ઉપર રાજસ્થાનના મંત્રી સુખરામ બિશ્રોઇ,સહ પ્રભારી ગોપાલ મીણા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ગઈકાલે લાઠી વિધાનસભા બેઠક ઉપર બેઠક મળ્યા બાદ આજે અમરેલીની બેઠક ઉપર મિટિંગ મળી ત્યારબાદ રાજુલા વિધાન સભા બેઠક ઉપર બેઠક કરી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના અગેવાનો દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. છેલ્લા થોડા દિવસથી આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. નોંધનીય છેકે ગત રોજ તિરંગા યાત્રા દરમિયાન જૂનાગઢમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની મુલાકાતે અવારનવાર આવે છે તેઓએ તાજેતરની ગુજરાત મુલાકાત વખતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખૂબ ભ્રષ્ટાચાર છે અને તેમને કામ કરવામાં મુશ્કેલી પડે છે. આપની સરકાર બનશે તો વેપારીઓને ભય વગર વેપાર કરવાનું વાતાવરણ બનશે. તેમણે કહ્યું હતું કે, પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વિનામૂલ્યે વીજળીના બિલ આવતા થશે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાથી સીધા છોટાઉદેપુર પહોંચ્યા હતા. અહીં બોડેલીમાં તેમણે જનસભાને સંબોધિત કરી હતી. જો કે કેજરીવાલની સભા પહેલા જ વરસાદનું વિઘ્ન નડ્યુ હતુ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. સભાસ્થળે વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યો હતો પરંતુ વરસાદને કારણે લોકો વોટર પ્રુફ ડોમમાં આવી જતા અવ્યવસ્થાના દૃશ્યો જોવા મળ્યા હતા. કેજરીવાલે તેમના સંબોધનમાં પણ વરસાદનો ઉલ્લેખ કરતા ભાજપ પર પ્રહાર કર્યો કે આજે જે વરસાદ થઈ રહ્યો છે એ દર્શાવી રહ્યો છે કે ભાજપ(BJP)નો હવે જવાનો સમય આવી ગયો છે ગુજરાતમાં નવી પાર્ટી આવશે, નવા ચહેરાઓ આવશે અને મોટા ફેરફાર થશે.
જે રીતે ગુજરાતમાં મોટા માથાની આવાનજાવન વધી છે તે જોતા લાગે છે કે આ વખેત ગુજરાતમાં 2022નો ચૂંટણીજંગ રસપ્રદ બની રહેશે.