આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વરની મળી બેઠક, પ્રભારી રઘુ શર્માની ઉપસ્થિતિમાં કોંગ્રેસના મિશન 125ને લઈને ચર્ચા
Congress Meeting: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માની ઉપસ્થિતિમાં કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વરની બેઠક મળી હતી જેમા કોંગ્રેસના મિશન 125 સહિત બેઠકોની રણનીતિ પર મંથન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. જેને લઈને કોંગ્રેસ (Congress)ના સિનિયર ઓબ્ઝર્વરની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) સહિત પાર્ટીના સિનિયર હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા હતા. જેમા આગામી ચૂંટણીમાં કોંગ્રેસના મિશન 125ને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતની દરેક વિધાનસભા બેઠકો દીઠ આયોજનો અને વ્યુહરચના અંગે વિચારણા કરવામા આવી હતી. કોંગ્રેસની આ બેઠકમાં (Congress Meeting) ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમે઼દવારોને લડાવવા અંગે પણ મંથન કરવામાં આવ્યુ હતુ. તો બૂથ સ્થિતિ મજબુત કરવા પર પણ ભાર મુકવામાં આવ્યો હતો.
આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પક્ષ છોડીને જનારા સિનિયર નેતાઓ પર નિશાન સાધ્યુ હતુ. રઘુ શર્માએ કહ્યુ કે ભૂતકાળમાં પાર્ટીએ ઘણુ આપ્યુ છે તેવા નેતાઓ મુશ્કેલીના સમયમાં આ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આ નેતાઓના જવાથી કોંગ્રેસને કોઈ ફર્ક નહીં પડે તેમ રઘુ શર્માએ જણાવ્યુ હતુ. આ સાથે તેમણે જણાવ્યુ કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ વધુ મજબુતાઈ લડશે.
કોંગ્રેસ છોડીને જનારા નેતાઓના જવાથી કોંગ્રેસને કોઈ ફર્ક નહીં પડેઃ રઘુ શર્મા
કોંગ્રેસ છોડીને જનારા નેતાઓ અંગે મીડિયાના સવાલ પર રઘુ શર્માએ કહ્યુ કે તેમની જેવી મરજી. તેના ઉપર મારે કંઈ કહેવુ નથી. પરંતુ તેનાથી કોંગ્રેસને કોઈ ફર્ક નહીં પડશે નહી, કોંગ્રેસ મજબુતી સાથે ચૂંટણી લડશે. શર્માએ વધુમાં જણાવ્યુ કે જે વ્યક્તિના દિલમાં જ એવી લાગણી હોય કે મારે પાર્ટીમાં નથી રહેવુ એવા વ્યક્તિના જવાથી કોંગ્રેસને શું ફર્ક પડે? જો કે રઘુ શર્માએ આવા નેતાઓને વાતવાતમાં જણાવી જ દીધુ કે આ રીતે પાર્ટી છોડીને જવુ એ તમારો વ્યક્તિગત એજન્ડા હોઈ શકે, કોંગ્રેસે એ લોકોને ઘણુ આપ્યુ છે ત્યારે પાર્ટી છોડીને જવુ એ યોગ્ય નથી.
કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત
આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે દરેક રાજકીય પાર્ટી ચૂંટણીમાં જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેમા ગુજરાતમાં 20 વર્ષથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી છે. એક બાદ એક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીમાંથી છેડો ફાડી રહ્યા છે. હજુ ગઈકાલે એટલે કે બુધવારે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પણ ચૂંટણીમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરવા પર મંથન કરવા સિનિય હોદ્દેદારોની હાજરીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના નિરીક્ષક ટી.એસ. સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિન્દ દેવરા પણ હાજર હતા.